ૐ હિંદુ ધર્મમાં પવિત્ર ધ્વનિ અને આધ્યાત્મિકતાનું પ્રતિક છે જે પરમ વાસ્તવિકતા કે ચેતનાનો સાર છે.તેને મોટા ભાગે પ્રાર્થનાની શરૂઆત અને અંતમાં ઉચ્ચારણ કરવામાં આવે છે જે બ્રહ્માંડની કંપન ઉર્જાનું પ્રતિક છે જે આધ્યાત્મિક જાગૃતિ વધારે છે.બધા મંત્રોમાં ॐકાર ઉત્તમ છે. ॐકાર એટલે વેદત્રયીનો સાર. ॐકારની વિદ્યા એ અક્ષરવિદ્યા છે.અક્ષર એટલે અવિનાશી અને અવિનાશી એટલે પરબ્રહ્મ પરમાત્મા. બ્રહ્મવાદીઓના યજ્ઞ,દાન,તપ..વગેરે ક્રિયાઓનો ॐકારનો ઉચ્ચાર કરીને જ શરૂ થાય છે.ટૂંકમાં ॐકાર પરબ્રહ્મનું પ્રતિક છે.
ફક્ત પાંચ મિનિટ ૐકારના ઉચ્ચારણથી ચમત્કારિક શારીરિક અને માનસિક લાભ થાય છે.ૐકાર ત્રણ અક્ષરોથી બનેલ છેઃઅ ઉ મ્.. અ-નો અર્થ થાય છે ઉત્પન્ન થવું, ઉ-નો અર્થ છે ઉઠવું-ઉડવું એટલે કે વિકાસ અને મ-નો અર્થ છે મૌન થઇ જવું એટલે કે બ્રહ્મમાં લીન થઇ જવું.સવારે વહેલા ઉઠીને પવિત્ર થઇને ॐકારનું ઉચ્ચારણ કરવું જોઇએ.
ૐકારનું ઉચ્ચારણ કરવાથી સમગ્ર શરીર તનાવ રહિત બની જાય છે,શરીરમાંના ઝેરી તત્વો દૂર થાય છે,હ્રદય અને લોહીના પ્રવાહને સંતુલિત કરે છે,પાચનશક્તિ તેજ બને છે.શરીરમાં યુવાવસ્થા જેવી સ્ફૂર્તિ આવે છે,થાક લાગતો નથી,જેને અનિદ્રાની બિમારી હોય તે દૂર થાય છે,પ્રાણાયામની સાથે ॐકારનું ઉચ્ચારણ કરવાથી ફેફસા મજબૂત થાય છે,ॐકારનું ઉચ્ચારણ કરવાથી ગળામાં કંપન પેદા થાય છે જેનાથી થાઇરોઇડ ગ્રંથી ઉપર પ્રભાવ પડતાં થાઇરોઇડની બિમારી થતી નથી.
મનની ઉપર નિયંત્રણ કરીને શબ્દોથી ઉચ્ચારણ કરવાની ક્રિયાને મંત્ર કહે છે.મંત્રવિજ્ઞાનનો સૌથી વધારે પ્રભાવ અમારા મન અને તન ઉપર પડે છે.મંત્રનો જપ એક માનસિક ક્રિયા છે.કહેવામાં આવે છે કે જેવું મન તેવું તન..એટલે કે જો અમે માનસિક રૂપથી સ્વસ્થ્ય છીએ તો અમારૂં તન પણ સ્વસ્થ્ય રહેશે. મનને સ્વસ્થ્ય રાખવા માટે મંત્રનો જપ કરવો આવશ્યક છે.ૐકારનો જપ કરવાથી શારીરિક અને માનસિક પીડાનું શમન થાય છે,ૐના જપથી અનિષ્ટનો નાશ થાય છે અને વ્યક્તિની બુદ્ધિ ક્ષમતામાં વધારો કરે છે.ૐનું ઉચ્ચારણ કરવાથી ઘણી બધી સમસ્યા તનાવ તથા બિમારીઓ દૂર થાય છે.ૐતમામ મંત્રોનો બીજ મંત્ર છે.ઘરમાં ૐનું નિયમિત ઉચ્ચારણ કરવાથી વાસ્તુદોષો દૂર થાય છે,તન અને મન શુદ્ધ રહે છે અને માનસિક શાંતિ મળે છે. ૐમાં ત્રિદેવોનો વાસ હોય છે. ૐ સમસ્ત સૃષ્ટિનું પ્રાણતત્વ મનાય છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા(અ.૮/૧૨-૧૩)માં ભગવાન કહે છે કેઃ “બધી ઇન્દ્રિયોના તમામ દ્વારોને રોકીને મનને હ્રદય-પ્રદેશમાં સ્થિર કરીને પોતાના પ્રાણોને મસ્તકમાં સ્થાપીને યોગધારણામાં સમ્યક પ્રકારે સ્થિત થઇને જે સાધક ૐ એ એક અક્ષર બ્રહ્મનું માનસિક ઉચ્ચારણ અને મારૂં એટલે કે નિર્ગુણ નિરાકાર પરમ અક્ષરબ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે એ મનુષ્ય પરમગતિને પામે છે.”
અંત સમયે તમામ ઇન્દ્રિયોના દ્વારોનો સંયમ કરી લે એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ-આ પાંચેય વિષયોથી કાન ત્વચા નેત્ર રસના અને નાક-આ પાંચેય જ્ઞાનેન્દ્રિયોને તથા બોલવું, ગ્રહણ કરવું, ચાલવું, મૂત્રત્યાગ અને મળત્યાગ-આ પાંચેય ક્રિયાઓથી વાણી હાથ પગ ઉપસ્થ અને ગુદા- આ પાંચેય કર્મેન્દ્રિયોને હટાવી લે એનાથી ઇન્દ્રિયો પોતાના સ્થાનમાં રહેશે.મનનો હ્રદયમાં જ નિરોધ કરી લેવો એટલે કે મનને વિષયો તરફ ના જવા દેવું એથી મન પોતાના સ્થાન હ્રદયમાં રહેશે.પ્રાણોને મસ્તકમાં ધારણ કરી લેવા એટલે કે પ્રાણો ઉપર પોતાનો અધિકાર પ્રાપ્ત કરીને દશમા દ્વાર બ્રહ્મરંધમાં પ્રાણોને રોકી લેવા.મનથી સંકલ્પ વિકલ્પ ન કરવા અને પ્રાણો ઉપર અધિકાર પ્રાપ્ત કરવો એને જ યોગધારણામાં સ્થિત થવું કહે છે. ત્યાર પછી એક અક્ષર બ્રહ્મ ૐ (પ્રણવ)નું માનસિક ઉચ્ચારણ કરવું અને પરમાત્માનું એટલે કે નિર્ગુણ નિરાકાર પરમ અક્ષર બ્રહ્મનું સ્મરણ કરવું. જે મનુષ્ય ૐ આ એક અક્ષર પ્રણવનું ઉચ્ચારણ કરીને અને ભગવાનનું સ્મરણ કરીને શરીર છોડીને જાય છે તે પરમગતિને પ્રાપ્ત થાય છે.
ૐ તત્ સત્ આ ત્રણ પ્રકારના નામોથી જે પરમાત્માનો નિર્દેશ(સંકેત) કરવામાં આવ્યો છે તે પરમાત્માથી સૃષ્ટિના પ્રારંભે વેદો તથા બ્રાહ્મણો અને યજ્ઞોની રચના થઇ છે માટે વૈદિક સિદ્ધાંતોને માનવાવાળા શાસ્ત્રવિધિથી નિયત યજ્ઞ-દાન અને તપરૂપી ક્રિયાઓ હંમેશાં ૐ એ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને જ શરૂ થાય છે.(ગીતાઃ૧૭/૨૪-૨૫)
ૐ શબ્દ ત્રણ અક્ષરોથી બનેલ છે જે બ્રહ્મા-વિષ્ણુ અને મહેશનું પ્રતિક છે. ૐનો એક અર્થ પ્રાર્થના કે સ્તુતિ કરવી એવો થાય છે.અ ઉ મ પ્રત્યેક અક્ષરમાં ઇશ્વરના અલગ અલગ નામો સમાયેલ છે. અ-થી વ્યાપક-સર્વદેશીય અને ઉપાસના કરવા યોગ્ય, ઉ-થી બુદ્ધિમાન, સૂક્ષ્મ, તમામ સદગુણોનું મૂળ અને નિયમ બનાવનાર અને મ-થી અનંત અમર જ્ઞાનવાન અને પાલનહાર. બીજો અર્થ જોઇએ તો ‘અ’ એટલે સમાન અને જાગ્રત અવસ્થા, ‘ઉ’ એટલે સ્વપ્નાવસ્થા અને ‘મ’ એટલે આત્મા કે મનની સ્વપ્નરહીત નિદ્રા કે સુષુપ્ત અવસ્થા. ૐમાં ઉપર અર્ધચંદ્ર અને ટપકું છે તે ચોથી અવસ્થા ‘તુરીયાવસ્થા’ થાય છે.
ૐકારના ત્રણ અક્ષરો લંબાઈ-પહોળાઈ અને ઉંડાણના માપસૂચક છે.કોઈપણ પ્રકારના માપ-રૂપ કે આકારથી પર રહેલા પરમાત્માનું સૂચન કરે છે.આ ત્રણ વર્ણ ઈચ્છા-ભય અને ક્રોધનો અભાવ સૂચવે છે.આ ત્રણ અક્ષરો નર-નારી અને નાન્યતર જાતિનું સૂચન કરે છે. ત્રણે મળીને સર્જક અને સર્જન બંનેને પોતાનામાં સમાવી લેતાં પરમપુરૂષનું પ્રતીક બને છે.આ ત્રણ અક્ષરો સત્વ-રજસ અને તમસના ગુણ સૂચવે છે.આ ત્રણ અક્ષરો ભૂત-ભવિષ્ય અને વર્તમાનના ત્રણ કાળનું સૂચન કરે છે.આ ત્રણ અક્ષરો વિદ્યા આપનાર માતા-પિતા અને ગુરૂનું સૂચન કરે છે.યોગાભ્યાસની ત્રણ કક્ષા આસન-પ્રાણાયામ અને પ્રત્યાહારના સોપાનથી પ્રાપ્ત થતી સમાધિનું પ્રતિક બને છે.આ ત્રણેય વિશ્વના સર્જક બ્રહ્મા-વિષ્ણુ અને સંહારક ભગવાન શિવની દિવ્ય ત્રિમૂર્તિના પ્રતીક તથા આત્મસાક્ષાત્કારનું પ્રતિક બને છે.
અનેકવાર ૐનું ઉચ્ચારણ કરવાથી શરીર તનાવરહિત બને છે,શરીરમાંના ઝેરી તત્વોને દૂર થાય છે, હ્રદય અને લોહીના પ્રવાહને સંતુલિત રાખે છે,પાચનશક્તિ તેજ બને છે, થાક દૂર થાય છે, અનિદ્રાની સમસ્યા દૂર થાય છે, ફેફસા મજબૂત બને છે,આસપાસ સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે.
ૐકારના જપ માટે પ્રભુની કોઈ તસવીર સામે રાખવાની જરૂર નથી કે દીવો-ધૂપ કે અગરબત્તી પ્રગટાવવાની પણ જરૂર નથી ફક્ત આસન પાથરીને ૐકારનું ઉચ્ચારણ કરે તે ઈચ્છનિય છે.ક્યારેય પલંગ કે સોફા પર બેસીને ૐનો જાપ ન કરવો.ૐકારના જપ માટે માળાનો પ્રયોગ કરી શકાય છે.જપ પૂર્ણ થયા બાદ શક્ય હોય તો બે મિનિટ ધ્યાન લગાવવું જોઇએ તેનાથી ચિત્તને પરમ શાંતિની અનુભૂતિ થશે. યોગદર્શનના પ્રણેતા પતંજલિએ ૐકારની મહત્તા વર્ણવતા કહ્યું છે “તસ્ય વાચકઃ પ્રણવઃ” એટલે કે પરમાત્માનું વાચક જ ઓમકાર છે,પરમાત્મા સ્વયં ઓમકાર છે.
ૐકારં બિન્દુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનાઃ કામદં મોક્ષદં ચૈવ ૐકારાય નમો નમઃ
ૐકાર સર્વ પ્રકારની કામનાઓને પૂરી કરનાર અને મોક્ષ આપનાર છે,એ બિંદુ સાથેના ૐકારનું યોગીઓ નિત્યનિરંતર ધ્યાન કરે છે એવા ૐકારને હું નમસ્કાર કરૂં છું એવો અર્થ થાય છે. ૐ મંત્ર ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરૂષાર્થ આપનાર છે.