Mumbai,તા.21
દેશનાં સમૃદ્ધ રાજય તરીકે ગુજરાત પ્રથમ હરોળમાં સ્થાન ધરાવે છે અને ગુજરાતના ઉદ્યોગપતિઓ આજે દેશભરમાં અનેક ક્ષેત્રોમાં પ્રથમ ક્રમે છે તે સમયે સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલી એક પોષ્ટમાં દેશમાં અત્યાર સુધીમાં જે 191 અબજોપતિઓ બન્યા તેમાં 108 એકમાત્ર ગુજરાતમાંથી જ સર્જાયા હોવાના સ્ટોકીફીના ફાઉન્ડર અભિજીત ચોકસીની પોષ્ટે જબરી ચર્ચા જગાવી છે અને ફકત એક રાજય આટલા બધા અબજોપતિઓ કઈ રીતે સર્જી શકે તે પ્રશ્ન પણ પૂછાવા લાગ્યો છે.
દેશની કુલ વસ્તીના પાંચ ટકા લોકો ગુજરાતમાં વસે છે અને દેશની જીડીપીમાં તેનો આઠ ટકા ફાળો છે અને દેશના નિકાસમાં 25 ટકા ફાળો ગુજરાતનો છે. જયારે ભારતના કુલ ક્ષેત્રમાં 6 ટકા જમીન જ ગુજરાતમાં છે. પરંતુ ચોકસીની પોષ્ટ મુજબ ગુજરાતીઓ કે જે આગવી વ્યાપારી સૂઝબુઝ અને સાહસ કરવાની માનસીકતા ધરાવે છે તે તેને આગળ લઈ જાય છે.
નોકરી તો ફકત ગરીબો માટે જ હોય છે અને ગુજરાતીઓ ધંધો કરવા જ જીવતા હોય તેવી બાબત આ પોષ્ટમાં અપાય છે. આ ઉપરાંત ગણતરીપુર્વકનું જોખમ લેવામાં ગુજરાતીઓ પ્રથમ ક્રમે છે. આ માટે તેને સુરતના હિરાઉદ્યોગનું ઉદાહરણ આપ્યુ હતું જે વિશ્વના ડાયમંડ ઉદ્યોગનો 90 ટકા પ્રોસેસીંગ કરે છે.
જયારે અમેરિકામાં 60 ટકા મોટેલ ગુજરાતીઓના હાથમાં છે. ફાઈનાન્સ ટેક્ષટાઈલ અને ટેકનોલોજી ત્રણેયમાં ગુજરાતીઓ આગળ છે. આ માટે તેણે મુકેશ અંબાણી કે જેની સંપતિ 8.13 લાખ કરોડ અને ગૌતમ અદાણી કે જેની સંપતિ 1.04 લાખ કરોડ હોવાનું બતાવ્યું છે.
આ ઉપરાંત કરશનભાઈ પટેલ, અજીમ પ્રેમજી, ઉદય કોટક આ તમામ નામો તો ફકત ટોચના લોકોના છે તેવું અભિજીતે પોતાની પોષ્ટમાં લખ્યું છે. આ ઉપરાંત અમેરિકામાં વસતા ગુજરાતીઓ ત્યાંના સ્થાનિક નાગરિકોની સંખ્યામાં ત્રણગણુ કમાય છે તેવો દાવો કરાયો છે.