હની ટ્રેપ અને મુસ્લિમો માટે ચાર ટકા અનામત મામલે ભાજપના ધારાસભ્યોએ હંગામો કર્યો
Bangalore,તા.૨૨
કર્ણાટક વિધાનસભામાં શુક્રવારના દિવસે ભારે હંગામો થયો હતો. હની ટ્રેપ અને મુસ્લિમો માટે ચાર ટકા અનામત મામલે ગૃહમાં ભાજપના ધારાસભ્યોએ જોરદાર સૂત્રોચ્ચાર કર્યો હતો. આ ઘટનાક્રમમાં કર્ણાટક વિધાનસભામાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના ૧૮ ધારાસભ્યોને શિસ્તભંગના આક્ષેપમાં તાત્કાલિક અસરથી છ મહિના મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યાર પછી માર્શલોએ તેમને બળજબરીથી બહાર કાઢ્યા હતા. જોકે આ શોરબકોર વચ્ચે ગૃહમાં મુસ્લિમો માટે જાહેર કોન્ટ્રાક્ટ્સમાં ચાર ટકા અનામત આપતું એક બિલ પસાર કરી દેવાયું હતું.પ્રાથમિક માહિતી મુજબ કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ યુટી ખાદરે વિધાનસભાની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાના ભાગરૂપે ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે. આક્ષેપ છે કે વિધાનસભામાં હંગામો કરી રહેલા ભાજપના ધારાસભ્યોએ ફક્ત અધ્યક્ષના આદેશની અવગણના જ નહીં પરંતુ શિસ્તભંગ તથા અપમાનજનક વ્યવહાર પણ કર્યો. ત્યાર પછી કર્ણાટકના કાયદો અને સંસદીય મામલાઓના મંત્રી એચ.કે.પાટિલે તેમને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, ત્યાર પછી વિધાનસભા અધ્યક્ષે કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવા માટે ભાજપના ૧૮ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો. સસ્પેન્ડના આદેશમાં ઉલ્લેખ કરાયો છે કે, આગામી છ મહિના માટે આ ૧૮ ધારાસભ્યોને વિધાનસભા હોલ, લોબી અને ગેલેરીમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.તેમને કોઈ પણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા અને વિધાનસભાના એજન્ડામાં પોતાના નામથી કોઈ પણ વિષયને સૂચિબદ્ધ કરવાથી પણ રોકી દીધા છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન આ ધારાસભ્યો દ્વારા અપાયેલી કોઈ પણ સૂચના સ્વીકારવામાં આવશે નહીં. એટલું જ નહીં, સમિતિની ચૂંટણીમાં મતદાનની મંજૂરી પણ અપાશે નહીં. આ મુદ્દત દરમિયાન તેમને કોઈ દૈનિક ભથ્થા પણ મળશે નહીં. સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોમાં વિપક્ષા મુખ્ય દંડક ડોડ્ડનગૌડા એચ પાટિલ, અશ્વથ નારાયણ સીએન, એસઆર વિશ્વનાથ, બીએ બસવરાજ, શ્રી એમઆર પાટિલ સહિત અન્ય ધારાસભ્યો સામેલ છે. ગૃહમાંથી ભાજપના ૧૮ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીને સરકારના મંત્રી એમ.બી.પાટિલે વાજબી ઠેરવી છે.