Andaman,તા.17
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ પુરીએ સોમવારે જણાવ્યું હતું કે આંદામાન સમુદ્રમાં કાચા તેલ અને ગેસનો આ વિશાળ ભંડાર મળી આવ્યો છે. જેમાં ભારત લગભગ બે લાખ કરોડ લિટર કાચા તેલનો ભંડાર શોધી શકે છે.
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ કહ્યું કે, ‘જો આ અંદાજ સાચો નીકળે છે, તો ભારતની GDP લગભગ પાંચ ગણી વધી શકે છે. આ પેટ્રોલિયમ ભંડાર તાજેતરમાં ગુયાનામાં મળેલા ક્રૂડ ઓઇલ રિઝર્વ (11.6 બિલિયન બેરલ) જેટલો હોઈ શકે છે. ભારત સરકાર ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આંદામાનમાં તેલની શોધ આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. જો આ પ્રયાસ સફળ થશે, તો ભારતને ઊર્જા ક્ષેત્રમાં એક નવી ઓળખ મળશે.’
એવું માનવામાં આવે છે કે કાચા તેલનો ભંડાર મળ્યા પછી ભારત તેલની આયાત ઘણી હદ સુધી ઘટાડી શકે છે, જેથી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર ભારત પર દેખાશે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે યુદ્ધને કારણે ભારત પર આર્થિક સંકટનું જોખમ વધી રહ્યું છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) વિશે ચિંતાઓ છે. જો તે બંધ થાય છે, તો ભારત માટે તેલ અને ગેસની આયાત મોંઘી થઈ જશે.
જો હોર્મુઝ સ્ટ્રેટની વાત કરીએ તો તે ઓમાન અને ઈરાન વચ્ચે આવેલી છે. જે ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન, કતાર અને સંયુક્ત આરબ અમીરાતને અરબી સમુદ્ર સાથે જોડે છે. આ સામુદ્રધુની તેના સૌથી સાંકડા બિંદુએ માત્ર 33 કિમી પહોળી છે. અહીં દરરોજ લગભગ 20 મિલિયન બેરલ તેલ અને તેલ ઉત્પાદનો જહાજો લોડ કરવામાં આવે છે.