New Delhi,તા.03
ભારત સરકારે આઈફોન અને મેક વપરાશકારોને વોટ્સએપની મોટી સ્પાયવેર નબળાઈના જોખમો અંગે ચેતવણી આપી છે, જે હેકર્સને ડિવાઈસની અધિકૃતતાને બાયપાસ કરીને ડેટા અને અન્ય વિગતો મેળવવા સક્ષમ બનાવે છે. ટેકક્રન્ચના અહેવાલ મુજબ એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના સંશોધકોએ વોટ્સએપના યુઝર્સ પરના સ્પાય હુમલાને તાજેતરના સમયના સૌથી અત્યાધુનિક હુમલામાંનો એક ગણાવ્યો હતો, જેમાં યુઝર્સે કશું જ ના કર્યું તો પણ તેની ડિવાઈસ હેક થઈ હતી.
કંપનીએ દાવો કર્યો છે કે આ ખામીઓને સુધારી લેવાઈ છે અને અપડેટ રોલઆઉટ કરાયા છે. સાથે જ જે યુઝર્સ પર હેકિંગ એટેક થયો હતો તેમને એપમાં નોટિફિકેશન મોકલીને ચેતવણી આપી દેવાઈ છે. એપલે પણ તેની સિસ્ટમ્સ માટે નવા સિક્યોરિટી અપડેટ રિલિઝ કર્યા છે, જેથી હેકર્સ આ ખામીનો ફાયદો ફરી ઉઠાવી શકે નહીં.
વોટ્સએપે તેની સિસ્ટમમાં ગંભીર સુરક્ષા હેકિંગ એટેકનો ખુલાસો કર્યો હતો. કંપનીએ જણાવ્યું કે, એક એવો સાયબર હુમલો સામે આવ્યો છે, જેમાં હેકર્સ કોઈપણ લિંક પર ક્લિક કરાવ્યા વિના અથવા કોઈ ઈન્ટરએક્શન વિના સીધા જ યુઝર્સની ડિવાઈસને ટાર્ગેટ કરી શક્યા હતા. આ પ્રકારના સાયબર હુમલાને ‘ઝીરો ક્લિક એટેક’ કહેવાય છે.
વોટ્સએપની સિસ્ટમમાં બે મોટી ખામી સામે આવી છે. આ અંગેની પેહલી નબળાઈ વોટ્સએપમાં મળી હતી, જેથી હેકર કોઈપણ પ્રકારનું કન્ટેન્ટ યુઝરની ડિવાઈસ સુધી મોકલી શકતા હતા. બીજી ખામી એપલની ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે આઈઓએસ અથવા મેકઓએસમાં મળી હતી. આઈઓએસથી ચાલતી ડિવાઈસમાં વોટ્સએપ હોય ત્યારે હેકર્સ માટે આવી ડિવાઈસીસને ટાર્ગેટ કરવું સરળ બની ગયું હતું. આ ખામીઓના કારણે હેકર્સે કેટલાક પસંદગીના લોકોની ડિવાઈસ પર જ હુમલો કર્યો હતો. વોટ્સએપ અને એપલ બંનેએ તેમની સિસ્ટમની ખામીઓ સુધારી લીધી છે.
વોટ્સએપના જણાવ્યા મુજબ આ હેકિંગનો શિકાર ૨૦૦થી ઓછા લોકો થયા છે, જેમાં પત્રકારો, માનવાધિકાર કાર્યકરો અને સિટિઝન સોસાયટી સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. આ કારણે આ હુમલો અત્યંત ટાર્ગેટેડ અને સેન્સિટિવ હતો.