Ahmedabad તા.૧૨
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૦૩ કેસ નોંધાયા હતા. નવા કેસની સાથે રાજ્યમાં હાલ કોરોનાના કુલ એક હજાર ૨૮૧ એક્ટિવ કેસ છે. જેમાંથી ૨૩ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે એક હજાર ૨૫૮ દર્દીઓ ઓપીડી બેઝ સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સાજા થયેલા ૧૪૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો કે સત્તાવાર રીતે રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી.અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં કોરોનાના નવા ૧૬૯ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક ૮૫૯ પર પહોંચ્યો હતો. શહેરમાં અત્યાર સુધી કોરોનાના ૧,૨૬૦ કેસ નોંધાયા હતા. પાલડી, વાસણા, નવરંગપુરા, સાબરમતી સહિતના વિસ્તારોમાં ૨૪૩ એક્ટિવ કેસ નોંધાયા છે. તે સિવાય જોધપુર-બોપલ-સરખેજ સહિતના વિસ્તારોમાં ૧૫૨ એક્ટિવ કેસ છે. ઉપરાંત મણિનગર-દાણીલીમડા-બહેરામપુરા સહિતના વિસ્તારોમાં ૯૯ એક્ટિવ કેસ નોંધાયા હતા.
અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૬૯ કેસ નોંધાયા હતા પણ તેની સામે માત્ર ૭૧ દર્દી સ્વસ્થ થયા હતા. છેલ્લા ૪૨ દિવસમાં કોરોનાના ૧ હજાર ૨૬૦ કેસ નોંધાયા હતા. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે લોકોને તાવ, શરદી, ખાંસી હોય તો ૨૭ જૂનના જગન્નાથજીની રથયાત્રામાં જોડાવવાનું ટાળવા અપીલ કરી હતી. કોરોનાની સ્થિતિ હાલ ગંભીર નથી પરંતુ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ત્યારે લોકોને કોરોનાના લક્ષણો હોય તો રથયાત્રામાં જવાનું ટાળવાની સલાહ આપી છે. લક્ષણોવાળા વ્યકિતને હોમ આઈસોલેશનમાં જ રહીને ટીવી ચેનલ પર ભગવાનના દર્શન કરી લેવા જોઈએ.
ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા ૭,૦૦૦ને વટાવી ગઈ છે. ગુજરાત, કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી કેસ સતત વધી રહ્યા છે. ૨૨ મેના રોજ ફક્ત ૨૫૭ કેસ હતા, પરંતુ હવે આ આંકડો ૭,૦૦૦થી વધુ થઈ ગયો છે, જેના કારણે ફરી એકવાર કોરોનાની ગંભીરતા અંગે ચિંતા વધી છે. જેમ જેમ કેસ વધે છે તેમ તેમ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયો છે અને લોકોને માસ્ક પહેરવા અને ભીડ ટાળવાની સલાહ આપવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધીમાં ૭૪ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે. કેરળ પછી મહારાષ્ટ્ર અને દિલ્હી હાલમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે.