આગામી 21 ડિસેમ્બર-શનિવારે અમદાવાદમાં 13 કલાકે 17 મિનિટ સાથે વર્ષની લાંબામાં લાંબી રાત હશે. આ પછી 22 ડિસેમ્બર-રવિવારથી સેકન્ડની ગણતરીએ દિવસ લાંબો થશે. આ એક ખગોળકીય ઘટના છે.
જાણો આવું શા માટે થાય છે
પૃથ્વી ભમરડાની જેમ સીધી ફરતી નથી પરંતુ 23.5 ડિગ્રીએ ઝૂકીને સૂર્યનું પરિભ્રમણ કરે છે. જેના કારણે દિવસ-રાત લાંબા અને ટૂંકા થાય છે. 22 ડિસેમ્બરે, પૃથ્વી અને સૂર્યની સ્થિતિ એવી છે કે સૂર્ય મકર ઉષ્ણકટિબંધ સાથે સુસંગત થશે. જેના કારણે ઉત્તર ગોળાર્ધના દેશોમાં લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ ન પહોંચે અને આ જ કારણથી ઉત્તરીય ગોળાર્ધના દેશોમાં 22 ડિસેમ્બર સૌથી નાનો દિવસ થશે.
લગભગ 10 કલાક જ રહેશે સૂર્ય પ્રકાશ
શનિવારે રાજકોટમાં 13 કલાક 18 મિનિટ સાથે સૌથી લાંબામાં લાંબી રાત્રિનો લોકો અનુભવ કરશે. આ સિવાય ભાવનગરમાં 13 કલાક 14 મિનિટ, જુનાગઢમાં 13 કલાકમાં 11 મિનિટ, દ્વારકામાં 13 કલાકમાં 13 મિનિટ, અમદાવાદમાં 13 કલાક 17 મિનિટ, મુંબઇમાં 13 કલાક 1 મિનિટની રાત રહેશે. ત્યારબાદ 22 ડિસેમ્બરથી રાત્રિ ક્રમશઃ ટૂંકી અને દિવસ ક્રમશઃ લાંબો થતો જશે.
22 ડિસેમ્બરને શિયાળુ અયનકાળ પણ કહે છે
વૈજ્ઞાનિકોના મતે 22 ડિસેમ્બરે સૂર્ય કર્કવૃતમાંથી દક્ષિણ તરફ મકરવૃત તરફ જાય છે. આ દિવસથી હિમવર્ષા વધુ વધે છે અને મેદાની વિસ્તારોમાં ઠંડી પણ વધવા લાગે છે. આ દિવસને શિયાળુ અયન (Winter solstice)પણ કહેવામાં આવે છે.
સોલ્સ્ટિસ એ લેટિન શબ્દ છે જે સોલ્સ્ટિટિયમ પરથી આવ્યો છે. લેટિન શબ્દ સોલ (sōl) નો અર્થ સૂર્ય થાય છે જ્યારે સેસ્ટીર (સિસ્ટર) નો અર્થ થાય છે સ્થિર રહેવું. આ બે શબ્દોને જોડીને સોલ્સ્ટિસ શબ્દ બને છે જેનો અર્થ થાય છે સૂર્ય સ્થિર રહે છે.