આણંદ મનપા દ્વારા તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૫થી તા.૨૮ ફેબુ્રઆરી ૨૦૨૫ સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા પ્રથમ અઠવાડિયામાં નવું બસ સ્ટેન્ડ, જૂનું બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, વીટકોસ સિટી બસ સ્ટેન્ડ, શાળા-આંગણવાડીમાં, બીજા અઠવાડિયામાં મહાપુરૂષોની પ્રતિમાઓ, શહેરના મુખ્ય એન્ટ્રી પોઈન્ટની તથા ત્રીજા અઠવાડિયામાં સરકારી હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, રૂપાપુરા બ્રિજની જ્યારે ચોથા અઠવાડિયામાં વિવિધ ધાર્મિક સ્થળો, જૂના રસ્તા ભાથીજી મંદિર, બેઠક મંદિર, સિદ્ધિ વિનાયક મંદિર, વલાસણનું રામજી મંદિર, આદ્યશક્તિ મંદિર, ગાયત્રી મંદિર, રાધા-કૃષ્ણ મંદિરની સાફ-સફાઈ હાથ ધરાઈ હતી.
ઉપરાંત શહેરના ગાર્બેજ વર્નેબલ પોઈન્ટ એટલે કે કચરો ભેગો થતો હોય તેવા વિસ્તારો, જાહેર શૌચાલયોની સફાઈ કરાઈ હતી. તેમજ મનપામાં સમાવિષ્ટ કરમસદ, વિદ્યાનગર, ગામડી, લાંભવેલ, જીટોડિયા અને મોગરીમાં પણ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાયું હતું. મનપા વિસ્તારની સોસાયટીઓમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરાયું હતું.
અભિયાન અંતર્ગત કુલ ૨૬૫ ટન કચરો એકત્ર કરી ડમ્પિંગ સાઈટ ઉપર પ્રોસેસ કરાયો હતો. ઉપરાંત મનપાના મેલેરિયા વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફોગિંગ તથા પોરા નાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તેમજ વરસાદી ચેમ્બરની સફાઈ કરાઈ હતી. સ્વચ્છતા અભિયાનમાં સામાજિક કાર્યકરો, સેલ્ફ હેલ્પ ગુ્રપનાં મહિલાઓ સહિત નાગરિકો સહભાગી બન્યાં હતાં.