Jamnagar,તા.22
જામનગર શહેર અને જિલ્લામાં હાર્ટ એટેક થી મૃત્યુના બનાવમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, અને ગઈકાલે સાંજે વધુ એક યુવાન હૃદય રોગના હુમલાથી મૃત્યુને ભેટ્યો છે.
કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં કેશુભાઈ પટેલ નામના ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ છોટા ઉદેપુરના વતની શ્રમિક નગીનભાઈ માનસિંગભાઈ નાયકા (ઉંમર વર્ષ ૩૦), કે જેને ગઈકાલે ખેતી કામ દરમિયાન અચાનક ચક્કર આવતાં બેશુદ્ધ થઈને પડી ગયો હતો. જેને તાત્કાલિક અસરથી સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને હાર્ટ એટેક આવી ગયો હોવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના સંબંધી નવલભાઇ નાયકાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના એએસઆઇ આર વી ગોહિલ બનાવના સ્થળે તેમજ સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.