Jasdan. તા.01
જસદણના સાણથલી ગામમાં ખોટા વારસાઈ આંબાના આધારે પિતા-પુત્રીનું છુપાવી 36 વિઘા જમીન પચાવી પાડનાર સગા દાદા, કાકા અને વારસાઈ આંબામાં પંચ રહેનાર બે શખ્સો સહિતના આરોપી સામે આટકોટ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે હાલ સુરતમાં પાસોદરા વિસ્તારમાં રહેતાં મૂળ કુંકાવાવના વતની ભાવનાબેન બાલુભાઈ ગઢીયા (ઉ.વ.48) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શામજી રામ કચ્છી, જેન્તી શામજી કચ્છી, મગન શામજી કચ્છી, રમેશ લવા પાનસુરીયા, રૂપા ખીમા ઝાપડા (રહે. તમામ સાણથલી, જસદણ) નું નામ આપતાં આટકોટ પોલીસે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણીને સંતાનમા એક દિકરો તથા એક દિકરી છે. તેમના પિતાને ત્રણ ભાઈઓ તથા ત્રણ બહેનો છે, જેમા તેણીના પિતા સૌથી મોટા છે. તેનાથી નાના બે ફઈ છે. તેનાથી નાના કાકા મગનભાઈ અને સોથી નાના કાકા જેન્તીભાઈ છે જેઓ સાણથલી ગામે રહે છે.
ફરીયાદી ત્રણ ભાઈ બહેન છે. જેમા તે સૌથી મોટી, તેનાથી નાના ભાઈ ઘનશ્યામભાઈ અને સૌથી નાની બહેન શિલ્પાબેન છે જેઓ બંને નાની ઉંમરે મરણ ગયેલ છે, હાલ તે પોતે એક જ હયાત છે. તેમના પિતા ઘણા વર્ષો પહેલા ઘર છોડી જતા રહેલ છે, માતા જયાબેને હાલ બીજા લગ્ન કરી લીધેલ અને તેઓ ગઢડાના લીંબડીયા ગામે રહે છે. તેમના પિતા ઘણા વર્ષો પહેલા તેણી નાના હતા ત્યારથી ઘર છોડીને જતા રહેલ છે અને હાલ ક્યા છે તે બાબતે કોઇ જાણકારી નથી.
એકાદ વર્ષ પહેલા જાણવા મળેલ કે, તેણીના દાદા શામજીભાઈ રામભાઈ કચ્છીની સાણથલી ગામે રેવન્યુ સર્વે નં-219 ની હે.આરે.ચોમી-5-04-86 તથા સર્વે નં-220 ની હે.આરે.ચો.મી- 0-05-06 તથા સર્વે નં-221 ની હે.આરે.ચો.મી-01-27-47 ની વડીલો પાર્જીત જમીન આવેલ છે. તે બન્ને કાકાના નામે થઈ ગયેલ છે, તેણીના પિતાની કે તેણીની વારસાઈ નોંધ કરવામા આવેલ નથી.
જેથી આ બાબતે તપાસ કરતા જણાય આવેલ કે, ગઈ તા.06/05/2017 ના જસદણ ખાતે સ્ટેમ્પ વેન્ડર મેહુલ અંબાણી પાસેથી 100 રૂપિયાનો સ્ટેમ્પ કાકા જેન્તીભાઈએ દાદા શામજીભાઈ રામભાઈ કચ્છીના નામનો ખરીદેલ અને તેમા દાદાએ નોટરી રુબરુ વારસાઈ અંગેનુ સોગંદનામું કરેલ અને વારસદારો તરીકે તેમા જીવતીબેન શામજીભાઈ કચ્છી, મગનભાઈ શામજીભાઈ કચ્છી, જેન્તીભાઈ શામજીભાઈ કચ્છી, મુક્તાબેન શામજીભાઈ કચ્છી, હંસાબેન શામજીભાઈ કચ્છી અને રસીલાબેન શામજીભાઈ કચ્છીના નામ વારસદારો તરીકે જણાવેલ હતાં. તેણીના પિતા તથા તેઓ કાયદેસરના વારસદાર હોવા છતા તેઓના નામો છુપાવીને ખોટું સોગંદનામું કરી દાદાએ અંગુઠાનું નિશાન કરેલ તે નિશાન કાકા મગનભાઈએ ઓળખી બતાવી પોતાની સહી કરેલ હતી.
આ સોગંદનામું સાણથલી ગામના તલાટીકમ મંત્રી સમક્ષ રજુ કરી સોગંદનામા આધારે ગઈ તા.12/05/2017 ના રોજ તલાટીક્રમ મંત્રી પાસે ખોટો વારસાઈ આંબો પંચો રમેશ પાનસુરીયા તથા રૂપા ઝાપડાની રૂબરૂમાં કરેલ અને પંચો સાચી હકિકત જાણતા હોવા છતા બન્ને પંચોએ પોતાની સહિઓ કરેલ હતી. તે જમીનમા જસદણ મામલતદાર કચેરી ખાતે ગઈ તા.13/05/2017 ના રોજ હૈયાતીમા વારસાઈ હક્ક દાખલ કરવા બાબતે દાદાએ અરજી કરેલ અને વારસદારો તરીકેના નામ દાખલ કરાવી દીધેલ છે. બનાવ અંગેની ફરીયાદ પરથી આટકોટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

