Surat,તા.22
ચોમાસાની ઋતુ વચ્ચે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો પ્રતિદિન વકરી રહ્યો છે. આ દરમિયાન તાવ આવ્યા બાદ રાંદેરમાં બાળકી, સચીનમાં ધોરણ 12ના વિધાથી અને કાપોદ્રમાં યુવાન તથા લિંબાયતમાં ઝાડા-ઉલ્ટી થયા બાદ વૃદ્ધાની તબિયત બગડતા મોત નિરજ્યું હતું.
સુરત સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, રાંદેરના પાલનપુર પાટિયા રોડ પર રામનગર ખાતે રહેતા કરસન સોલંકીની સાત વર્ષીય પુત્રી ક્રિષ્નાને બે દિવસથી તાવ કણસતી હતી. ત્યારે ગુરુવારે (20મી ઓગસ્ટ) સવારે તેની તબિયત વધુ બગડતા સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કરી હતી. બીજા બનાવમાં સચીનમાં પારડી કણદે ખાતે શિવનગર સોસાયટીમાં રહેતા 16 વર્ષીય અક્ષ બ્રહ્મભટ્ટને તાવ સહિતની તકલીફ શરૂ થઈ હતી. જેથી મેડીકલ સ્ટોરમાંથી તેની દવા લાવ્યા હતા. જોકે આજે સવારે તેને સારુ નહીં લાગતા ઘરમાં સુઈ ગયો હતો. તે બપોરે તેની માતાએ તેને જગાડ્યો હતો, પરંતુ તે ઉઠ્યો નહતો, તરત તેને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જાકે, ત્યા ડૉક્ટરોએ તને મૃત જાહેર કર્યો હતો. અક્ષ સચીની શાળામાં ધોરણ 12માં કૉર્મસમાં અભ્યાસ કરતો હતો.
અન્ય બનાવમાં મૂળ દાહોદના વતની અને લિબાયતમાં સંજય નગરમાં રહેતા 65 વર્ષીય મીરાબેન ગુપ્તાને 19મી ઓગસ્ટે બપોરે અચાનક ઉલ્ટી થઈ હતી. બાદમા તેમને ઝાડા થતા ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી નવી સિવિલ હોસ્પિટલમાં લવાયા પણ મૃત જાહેર કરાયા હતા.જ્યારે કાપોદ્રામાં નાના વરાછામાં ચોપાટી નજીક ગંજાનંદ કોમ્પ્લેક્ષ પાસે રહેતા 32 વર્ષીય રાકેશ કલારાને છેલ્લા 6થી 7દિવસથી તાવ આવતો હતો. ગત બપોરે તેને ચક્કર આવતા ઢળી પડતા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા ડૉકટરે મૃત જાહેર કર્યો હતો.