Patna, તા.10
બિહારના દાનાપુર દિયારાના અકિલપુર વિસ્તારમાં રવિવારે રાત્રે એક અત્યંત દુઃખદ અને કણ ઘટના બની હતી, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યો કાળનો કોળિયો બની ગયા હતા.
રાત્રે ઘરમાં નિંદ્રાધીન પરિવાર પર અચાનક મકાનની છત તૂટી પડતાં પતિ-પત્ની અને તેમના ત્રણ માસૂમ બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા, જેના કારણે સૌના મૃત્યુ થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, માનસ નયા પાનાપુર 42 પટ્ટી વિસ્તારમાં રહેતા 32 વર્ષીય બબલૂ ખાન પોતાની 30 વર્ષીય પત્ની રૌશન ખાતૂન અને બાળકો સાથે રહેતા હતા. રવિવારે રાત્રે પરિવારના તમામ સભ્યો ઘરમાં સૂઈ રહ્યા હતા, ત્યારે લગભગ દસ વાગ્યે અચાનક તેમના મકાનની છત જોરદાર અવાજ સાથે નીચે તૂટી પડી હતી.
આ દુર્ઘટનામાં, બબલૂ ખાન, તેમની પત્ની રૌશન ખાતૂન, તેમની બે દીકરીઓ – 12 વર્ષીય રૂખશાર અને 2 વર્ષીય ચાંદની, તેમજ 10 વર્ષીય પુત્ર મોહમ્મદ ચાંદ, સૌ કાટમાળ નીચે જીવંત દટાઈ ગયા હતા. છત પડવાનો અવાજ અને ચીસો સાંભળીને આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અને સ્થાનિક લોકોએ સાથે મળીને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી. ભારે જહેમત બાદ જ્યારે પરિવારના સભ્યોને બહાર કાઢવામાં આવ્યા, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને સૌના શ્વાસ થંભી ગયા હતા.

