Prabhas-Patan, તા.૨૪
ગીરસોમનાથ ૧૧૦ કી.મી. સાગર કાંઠો અને સમુદ્ર ધરાવતો સાગર આગામી તા.૧ જૂનથી તા.૩૧ જૂલાઈ ૨૦૨૫ એટલે ૬૧ દિવસનુ સાગરખેડૂઓ માટે વેકેશન રહેશે. ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદો ૨૦૦૩ અને નિયમ તથા સરકારના નોટીફીકેશન ૨૦૨૦ માં ગુજરાત રાજ્યના જાહેરનામા અનુસાર રાજ્યમાં દરીયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તા.૧ જૂન ૨૦૨૫ થી તા.૧૫ ઓગષ્ટ ૨૦૨૫ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. રાજ્યના આ પ્રતિબંધથી નોનમોટરાઈઝડ ક્રાફટ લાકડાની બિનયાંત્રિક એક લક્કી હોડી અને સઢવાળી હોડી તથા પગડીયા માછીમારોને બાકાત રાખવામાં આવે છે. આ આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદો ૨૦૦૩ ની કલમ ૬/૧(૨)ના ભંગ બદલ દંડ પાત્ર થશે. તેવુ મત્સ્ય ઉદ્યોગ કમિશ્નર તરફથી જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. દરીયાઈ વેકેશન દરમ્યાન સાગરખેડૂત સમાજ લગ્નોત્સવ, બોટ રીપેરીંગ કે નવી બોટ બનાવવી, બોટ કલરકામ, જાળ ગુંથાવવી, પવિત્ર તીર્થધામોનો પ્રવાસ સહિતના કાર્યક્રમો યોજતા રહેતા હોય છે.