New Delhi,તા.27
ગણતંત્ર દિવસ પરેડને લઈ કર્તવ્ય પથ પર આશરે 97 મિનિટ કાર્યક્રમ ચાલ્યો હતો. 30 ઝાંખીઓ નીકળી હતી. આ વખતે મુખ્ય મહેમાન યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર હતા. પીએમ મોદીએ તમામનું સ્વાગત કર્યું હતું. કર્તવ્ય પથ પર ગુજરાતની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના અવસર પર કર્તવ્ય પથ પર એક વિશેષ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ભારતી સાંસ્કૃતિક વિવિધતાને એક તાંતણે બાંધીને રજૂ કરવામાં આવી હતી. જેને જોઈ તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
ગૃહ મંત્રાલયના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એનડીઆરએફની ઝાંખીમાં કચ્છ ભૂકંપના 25 વર્ષને રજૂ કરાયા હતા. ઉત્તરાખંડના ડાયરેક્ટોરેટ સીનિયર વિંગ ગર્લ્સની કમાન્ડર સીનિયર અંડર ઓફિસર માનસી વિશ્વકર્માએ 148 ગર્લ્સ કેડેટવાળી એનસીસીનું નેતૃત્વ કર્યું હતું.
વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે, ગુજરાતની ઝાંખીમાં ભીખાઈજી કામાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમણે ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદાર સિંહ રાણા સાથે મળીને વિદેશી ધરતી પર ભારતની આઝાદીનો સંદેશ પહોંચાડ્યો હતો.
ઝાંખીની આગળના ભાગમાં ભીખાઈજી કામા તેમના દ્વારા ડિઝાઇન કરાયેલો વંદે માતરમ ધ્વજ પકડેલા જોવા મળ્યા હતા, જેની નીચે બંધારણ માન્ય વિવિધ ભાષાઓમાં વંદે માતરમ લખાયેલું હતું.
મધ્ય ભાગમાં રાષ્ટ્રધ્વજના વિકાસના તબક્કાઓ દર્શાવવામાં આવ્યા હતા – 1906ના કોલકાતાના સ્વદેશી આંદોલનથી લઈને 1921માં પિંગલી વેંકૈયા દ્વારા ગાંધીજીને અપાયેલ ડિઝાઇન અને અંતે 22 જુલાઈ 1947ના રોજ સ્વીકારાયેલ ધર્મચક્ર સાથેના ત્રિરંગા સુધીની સફર રજૂ કરાઈ હતી.
ઝાંખીના અંતમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્વદેશી અને ચરખાના પ્રતીક તરીકે સ્થાપિત હતી. ઝવેરચંદ મેઘાણી રચિત ‘કસુંબીનો રંગ’ ગીત પર લોકકલાકારોની પ્રસ્તુતિએ કર્તવ્ય પથ પર દેશભક્તિનો જોશ ભરી દીધો હતો.

