મુસાફરો માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી
Thiruvananthapuram, તા.૪
એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ (IX- 549)નું શુક્રવારે તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ટેકઓફના થોડા સમય બાદ ફ્લાઈટમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ ફ્લાઈટ મસ્કત જઈ રહી હતી અને તેમાં ૧૪૮ મુસાફરો સવાર હતા. મળતી માહિતી મુજબ, તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. માહિતી આપતા એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ કહ્યું કે, મુસાફરોની આગળની મુસાફરી માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “તિરુવનંતપુરમથી મસ્કત જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX- 549 ટેકઓફ દરમિયાન ધુમાડો નીકળવાની જાણ કરી હતી. આ ઘટના સવારે ૮ઃ૩૯ વાગ્યે તિરુવનંતપુરમ એરપોર્ટ પર બની હતી. રનવે પર ધુમાડો જોયા બાદ સલામત રીતે મુસાફરોને પાછા લાવવામાં આવ્યા હતા. એપોર્ટ અધિકારીએ પુષ્ટિ કરી કે, કોઈ આગ લાગી ન હતી અને ધુમાડો નીકળવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. બધા મુસાફરો સુરક્ષિત છે.
પોતાના નિવેદનમાં એર ઈન્ડિયા એક્સપ્રેસે વધુમાં જણાવ્યું કે, “અમારા મુસાફરોની આગળની મુસાફરી માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઘટનાની તપાસ કરવામાં આવશે. અમે અમારા મુસાફરોની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખીએ છીએ. મુસાફરોને થયેલી અસુવિધા માટે અમે ક્ષમાપ્રાર્થી છીએ, માફ કરજો.”
અગાઉ ૪ સપ્ટેમ્બરે નવી દિલ્હીથી બહેરીન જતી ફ્લાઈટના ટેકઓફના થોડા સમય પહેલા જ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ પછી પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. રેગ્યુલેટરી બોડી પણ આ ઘટનાની નોંધ લીધી હતી. તેમણે તપાસના આદેશ પણ આપ્યા હતા.