Bhavnagar, તા. 23
દિવાળી બેસતા વર્ષ થી કાર્તિકી પૂનમ સુધી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ દર્શને પધારશે. ત્યારે ગુરુઆશ્રમ ખાતે દર્શનાર્થી-યાત્રાળુઓની સેવા સગવડ માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે વ્યવસ્થા માટે શ્રી ગુરુઆશ્રમ બગદાણા ખાતે જુદા જુદા ગામના સેવા મંડળોના પ્રમુખ ની મીટીંગ મળી હતી.પ્રથમ ગુરુ વંદના ત્યારબાદ કામની વહેંચણીની ચર્ચા વિચારણા કરી થઈ હતી. આ બેઠકમાં સંસ્થા દ્વારા લેવાયેલ વ્યસન મુક્તિનો નિર્ણય સૌને જણાવવામાં આવ્યો હતો. આ નિર્ણયને હાજર સૌ સ્વયંસેવકો એ ઉત્સાહ સાથે વધાવ્યો હતો. અને સૌના કલ્યાણ માટેની આ વાતને હાજર સૌ એ સ્વૈચ્છિક વ્યસન મુક્તિના આ અભિયાનને ટેકો આપી વ્યસન મુક્તિના શપથ લીધા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે દિવાળીની રજાના દિવસોમાં ગુરૂઆશ્રમ બગદાણા ધામ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો આવીને દર્શન સહિતનો લાભ લે છે. ત્યારે આ દિવસોમાં તૈયારીઓના ભાગરૂપે વિવિધ સેવા મંડળોના સેવાભાવી ભાઈઓ બહેનોને અહી માર્ગદર્શન આપીને કામગીરીની વહેચણી કરવામાં આવી હતી. જેમાં આશ્રમના સ્વયંમસેવક અને વડીલોએ માર્ગદર્શન કર્યું હતું. દર વર્ષે ગુરુ આશ્રમ બગદાણા ખાતે આગોતરું આયોજન કરવામાં આવે છે, જેથી બજરંગદાસ બાપાના ધામમાં આવતા ભકતજનો અગવડતા વગર સરળતાથી લાભ લઇ શકે.