New Delhi,તા.23
કેટલાંક શેરહોલ્ડર્સને પબ્લિક શેરહોલ્ડર્સ તરીકે ખોટી રીતે વર્ગીકૃત કરવાની કથિત ગેરરીતિ બદલ અદાણી જૂથની પાવર ટ્રાન્સમિશન કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (એઈએસએલ)ને બજાર નિયામક સેબીએ નોટિસ પાઠવી છે.
અદાણી જૂથે નોટિસ મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, અમે આ નોટિસનો સંબંધિત માહિતી અને સ્પષ્ટતા સાથે જવાબ આપીશું. જૂથની રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડને સેબી તરફથી નવી કોઈ નોટિસ મળી નથી.
એઈએસએલના જણાવ્યાં અનુસાર, વર્તમાન ત્રિમાસિક ગાળા દરમિયાન અમને કેટલાંક શેરહોલ્ડર્સનું પબ્લિક શેરહોલ્ડર્સ તરીકે ખોટી રીતે વર્ગીકૃત કરવાની કથિત ગેરરીતિના મામલે અમને કારણ દર્શાવો નોટિસ મળી છે.
કંપની આ નિયમનકારી અને કાનૂની સત્તાવાળાઓને લાગુ પડતી યોગ્ય માહિતી, પ્રતિક્રિયા, દસ્તાવેજો અને/અથવા સ્પષ્ટતા સાથે નિર્ધારિત સમયમાં પ્રતિભાવ આપશે. સેબીના લિસ્ટિંગ નિયમો અનુસાર, લિસ્ટેડ કંપનીઓમાં ન્યૂનતમ 25 ટકા ઈક્વિટીની માલિકી પબ્લિક શેરહોલ્ડર્સની હોવી જોઈએ.
કંપની દ્વારા અગાઉ સ્ટોક એક્સચેન્જમાં રજૂ કરેલા નિયમનકારી ફાઈલિંગમાં જણાવ્યાં અનુસાર, 31 માર્ચના રોજ પૂર્ણ થયેલાં ત્રીજા ત્રિમાસિક ગાળા સુધીમાં અદાણી જૂથની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી સાત કંપનીઓને સેબી તરફથી રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેકશન્સ તથા લિસ્ટિંગ નિયમોના ઉલ્લંઘન બદલ કારણ દર્શાવો નોટિસો પાઠવવામાં આવી હતી.
અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસ લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ તથા અદાણી ટોટલ ગેસ લિમિટેડે મે મહિનામાં જણાવ્યું હતું કે, સેબી દ્વારા તેમની પેરેન્ટ અથવા હોલ્ડિંગ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ તથા અદાણી વિલ્મરને નોટિસ પાઠવવામાં આવી હતી.
અમેરિકન શોર્ટ સેલર હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી જૂથ વિરુદ્ધ કોર્પોરેટ છેતરપિંડી તથા શેરના ભાવમાં ગેરરીતિ સહિતના કરાયેલા આક્ષેપો બાદ સેબી દ્વારા અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓને નોટિસો ફટકારવામાં આવી હતી. જોકે અદાણી જૂથે તેમની વિરુદ્ધ થયેલાં તમામ આક્ષેપોને પાયાવિહોણાં ગણાવી ફગાવી દીધાં હતાં.