આજે તો સૌ કોઈ ટેન્શન-તણાવ, માનસિક દબાણ, ચિંતા, ભય, નિરાશા તથા કાલ્પનિક ડરથી બહુ જ પરેશાન છે. આજના ભૌતિક યુગની તથા લગાતાર પરિવર્તનશીલ દુનિયાની પેદાશ છે ટેન્શન. નાના-મોટા, જુવાન-ઘરડાં બધા તણાવના તાપથી પીડિત છે. શેરબજારમાં ઉથલપાથલ, ભીષણ મોંધવારી, હોમલોન વ્યાજદરની માથાકૂટ, આતંકવાદીઓનો ભય, ત્રાસવાદીઓનાં બોંબ વિસ્ફોટ, સલામતીના જુઠા બણગા ફૂંકનારા બેશરમ રાજકારણીઓ, દહેજપ્રથા, પર્યાવરણની ઉપેક્ષા, મંદીગ્રસ્ત અર્થતંત્ર, અંગત સ્વાર્થ સિદ્ધ કરવા જાહેરમાં એકબીજા પર આક્ષેપબાજી, બધાની પૈસા પાછળ આંધળી દોડ, રોકેટગતિએ આગળ વધતો ભૌતિકવાદ માનવજાત માટે વિનાશક વૈજ્ઞાનિક શોધો તથા સાધનો, લોકોની જીવન જીવવાની પદ્ધતિમાં ને આહારવિહારમાં લગાતાર થતું આમૂલ પરિવર્તન-આ બધા પરિબળો માણસને માનસિક દબાણ કરનારા ચિંતાજનક, નિરાશાજનક, ડરાવનારાને સતત ઉશ્કેરાટ ઉપરાંત આકુળ-વ્યાકુળ કરનારા છે.
શારીરિક અને માનસિક રોગોના વિવિધ કારણોમાંથી એક કારણ તણાવ પણ હોય છે. જે તણાવગ્રસ્ત છે તેને ખુશી નથી. તેને જીવવામાં ને કામ કરવામાં જરા પણ રસ હોતો નથી. તે ઊંઘી શકતો નથી અને ખાઈ પણ શકતો નથી. સતત ભયમાં, નિરાશામાં ને ગભરામણમાં જીવે છે. તે ઉદાસ, ગમગીન રહે છે. ચહેરો ફિક્કો પડી ગયો હોય છે. તે કોઈની વાત માનતો નથી. જિદ્દી અને ચિડિયલ સ્વભાવનો બની જાય છે. વારંવાર ક્રોધ કરે છે ગુસ્સામાં મોટેથી બરાડા પાડી ઝઘડો કરે છે, ઘરની વસ્તુઓ પછાડે, તોડી નાંખે અને ફેંકી દે છે. બબડવાની આદત પડી ગઈ છે. તણાવગ્રસ્ત વ્યકિતની વર્તણૂંક તેની માનસિક વિકૃતિ દર્શાવે છે. તણાવગ્રસ્ત વ્યકિતનો ઈલાજ આલ્ફાવેલ થેરોપી દ્વારા પરિણામલક્ષી રહે છે.
મનનું કાર્ય, શરીરનું કાર્ય તણાવને પરિણામે ડામાડોળ થઈ જાય છે પરિણામે સંચાલનમાં ગરબડ થાય છે. ઉર્જાશકિત, જીવનીશકિત, શરીરની વિવિધ શકિતઓના હ્રાસ થાય છે. શરીરના કોષો તથા જ્ઞાનતંતુઓની ક્રિયામાં વિક્ષેપ થાય છે. ધીમે ધીમે આ પ્રક્રિયાં જેમ જેમ કાર્યન્વિત રહે, પરિણામે તણાવગ્રસ્ત વ્યકિત શરીરના તથા મનના વિવિધ રોગોનો શિકાર બને છે. જ્યારે વ્યકિત દબાણમાં કે તણાવમાં હોય ત્યારે શરીરના હોર્મોન વિરુદ્ધ કામ કરવા લાગે છે. પરિણામે વિવિધ શારીરિક તથા માનસિક રોગો તેને લાગુ પડી જાય છે. બ્લડસુગર, એસિડીટી વધી જાય છે. પાચનશકિત નબળી પડે છે, ભૂખ લાગતી નથી, લોહીના દબાણની તથા પરિભ્રમણની સમસ્યા પેદા થાય છે. હૃદય તેનું ફંકશન સામાન્યતઃ કરી શકતું નથી. હૃદયરોગની શકયતા વધી જાય છે, હૃદયના, લીવરના, કિડનીના મૂત્રપિંડના, મગજના રોગોનો તણાવગ્રસ્ત વ્યકિત શિકાર બની જાય છે. બ્રેઈન હેમરેજ થઈ જાય, વ્યકિત કોમામાં આવી જાય, આંખોના રોગ, વિશેષ નેત્રપટના રોગો થાય છે. લોહીના પરિભ્રમણમાં અવરોધ થતાં લકવો થઈ જાય છે. વધુ પડતા માનસિક દબાણને કારણે શારીરિક, માનસિક તથા વિવિધ શકિતઓની ક્ષમતા તથા રોગપ્રતિકારક શકિત ઘટતા માણસ રોગી બનતા આખરે મરી જાય છે. ‘તણાવ લાવે છે રોગોની બિમારીને કરે છે પાયમાલી’ માટે તણાવથી ખુદ બચો ને બીજાને તણાવ ન દઈને બચાવો.
તણાવગ્રસ્ત વિઘાર્થી ભણવામાં નબળો પડતો જાય છે. તણાવગ્રસ્ત વેપારી તેના વેપારમાં ખોટ કરતો જાય છે. કુદરત સર્જિત, માનવસર્જિત જ્યાં તણાવ છે ત્યાં શાંતિ નથી, જ્યાં શાંતિ નથી ત્યાં વિકાસ નથી ને જ્યાં વિકાસ નથી ત્યાં આબાદી નથી. માટે આપણે સૌ તણાવની ગંભીરતા સ્વીકારીએ.
તણાવનું નિવારણ જો તમે એના કારણો જાણી લો અને તમે તમારી જીવવાની પદ્ધતિ બદલી નાંખો તો તે શકય પણ છે. તણાવનું મૂળ કારણ છે કમજોર, નબળું મન. આ ઉપરાંત સંસારની આધિ, વ્યાધિ ને ઉપાધિ. મનના મજબૂત રહો. ચિંતા ન કરો. આવેલી વિપરીત પરિસ્થિતિ સમય જતા જતી રહેશે. કર્મ જરુર કરો જ. પોતાના કર્મમાં વિશ્વાસ ને ભગવાન પર ભરોસો રાખો. જરુરિયાત જેટલું, પોતાની સુવિધા માટે ને સલામતી માટે બીજાના કલ્યાણ પૂરતું જો મળી રહે તો પછી લોભ ન કરો. સંસારના પદાર્થોરુપી ચાદર જેટલી લાંબી રાખશો તો તેટલી રોજ નવી નવી સમસ્યાઓ, વિવિધ તકલીફો સામે આવશે. સંતુષ્ટિના ગુણ સાથે સંતોષી બનો. વધુ પડતી ઇચ્છાઓ માણસનું શરીર અને તેના સારા દિવસોને બગાડી નાંખે છે. મને મળેલી એકએક પળ ભગવાનનું વરદાન છે. તેમાં હું ખુશી શોધું અને આનંદપૂર્વક જીવું. જે મળ્યું છે મને, તેનું સન્માન કરું, ને તેનાથી આનંદ લઉં. અતિમહત્વાકાંક્ષી બનવું એટલે દબાણમાં જીવવું બહુ જ ટૂંકાગાળામાં બધું જ મેળવી લઉં એ ગાંડપણ છે ને સાથે સાથે ખતરનાક પણ છે.
પૂરું ને સાચું સુખ છે નિરોગી કાયા ને નિર્મળ મન.. આ છે તો બધું જ છે. જો આ નથી ને તેની સામે સંસારનું બધું હશે તો પણ તે બેકારને વ્યર્થ છે. માટે જરુરી એ છે કે શરીર નિરોગી અને મન ચોખ્ખું રહે. બન્નેનેએ રીતે રાખો. આહારવિહારમાં સંયમ રાખો. સાદો, પૌષ્ટિક ને સમતોલ આહાર લો. શરીરને માફક આવે તે જરુર જમો. વિહારમાં મર્યાદા જાળવો. શરીર નિરોગી રાખવા વ્યાયામ કરો. પ્રાણને મજબૂત રાખવા પ્રાણાયામ કરો, શરીરને નિરોગી રાખવા પ્રાણાયામને યોગા જરુર કરો. મનને સ્થિર-એકાગ્ર (મનને મજબૂત બનાવવા) કરો. ધ્યાન ધરો. ધ્યાન લગાવો. મનને શાંત રાખો. તણાવથી બચવા ઊંઘ પૂરતી લો. ઓછામાં ઓછાં છ કલાકની ઊંઘ તો જરુર લો. દિવસ દરમ્યાન પાણી વધુ પીવો. દિવસમાં પાંચછ વાર કારણવગર ખડખડાટ હસવાની ટેવ જરુર પાડો. સવાર-સાંજ બગીચામાં જાવ. સવારે વહેલા ઊઠો, ખુલ્લી હવામાં રહો, ઊંડા શ્વાસ લો, શાંત વાતાવરણમાં, કુદરતના સાન્નિધ્યમાં રહો પ્રકૃતિનો આનંદ લો. લૂર્ય નમસ્કાર કરો. તમે તમારી જીવવાની વિશેષ યોજના બનાવી જીવન જીવો. કર્મ કરતા રહો જ. કોઈપણ કામ કાલ પર ન રાખો. જાતે જ પોતાનું કામ કરો. તમારા જીવનમાં સામે આવતા નાના-મોટા પ્રશ્નોને સમજણપૂર્વક ધ્યાનમાં લો. આ તો સંસાર છે અહીં આવું જ ચાલે. જતું કરી દો, ક્ષમા દો, ભૂલી જાવ ને જિંદગીની મજા લો.તમારી વાણી નિરાશાજનક, ડરાવનારી, ભડકાવનારી દુઃખદાયી, સાચી પણ કડવી કે ચોટદાર ન જ હોવી જોઈએ. નહીં તો સાંભળનાર તણાવમાં આવી જશે. જો તે ઉતાવળો બની ખોટા પગલા લે તો તેને પારાવાર નુકશાન થાય છે માટે આ વાતને ખાસ ધ્યાનમાં રાખવી.તું હસ ને હસાવ. તું ડર નહીં ને બીજાને ન ડરાવ. ન દબાણમાં તું આવ, ને બીજાને દબાણમાં ન લાવ. તું ગા ને બીજાને ગવડાવ. તું શાંતિગીત ગા. જીવવાનો આનંદ લે, ને બીજાને લેવા દે. દરેક પરિસ્થિતિમાં શાંત રહો ધીરજ રાખો -’’ શીખો ને બીજાને પણ શીખવાડો. તણાવ છે ખતરનાક વાયરસ તે ઘાતક છે. માટે ચાલો આપણે સૌ અનેક રોગોની બીમારીનું મૂળ તણાવથી બચીએ અને બીજાને પણ બચાવીએ.