પાણી જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે અને તે ડીહાઈડ્રેશન અને સંબંધિત રોગોના રોકથામમાં મુખ્ય પરિબળ છે. તે કેલરી રહિત અને સુગર રહિત છે તેમજ મનુષ્યને અનેક પ્રકારના લાભ કરે છે. પાણીના કેટલાક સ્વાસ્થ્ય લાભોમાં શારીરિક કાર્યક્ષમતામાં સુધારો, શરીરના તાપમાનમાં ઘટાડો, ઓક્સિડેટીવ તણાવમાં ઘટાડો, મગજની કામગીરીમાં સુધારો, કિડનીમાં પથરીનું જોખમ ઘટાડવું અને કબજિયાત જેવી જઠરાંત્રિય સમસ્યાઓનો ઘટાડો સામેલ છે.
પાણીના મહત્વના ફાયદાઓમાં શરીરમાં બ્લડ પ્રેશરને સામાન્ય બનાવવું અને માથાનો ગંભીર દુખાવો, થાક, છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવા તેના લક્ષણોના જોખમને રોકવાનો સમાવેશ થાય છે. યોગ્ય પ્રમાણમાં પાણીનું સેવન હૃદય અને શરીરના અન્ય અવયવો માટે સારું છે, પરંતુ જ્યારે વ્યક્તિ વધુ પડતું પાણી પીવે ત્યારે શું થાય છે? વધુ પ્રમાણમાં પાણી પીવાથી કોઈ આડઅસર થઈ શકે ખરી? વધુ પ્રમાણમાં પાણીના સેવનથી બ્લડ પ્રેશર પર કેવી અસર પડી શકે?
મનુષ્ય માટે પાણીનું યોગ્ય પ્રમાણ કેટલું?
એક અભ્યાસ મુજબ પુરુષો ૩ હજાર મિલિ લીટર અને મહિલાઓ માટે ૨,૨૦૦ મિલિ લીટર પ્રવાહીનું સેવન યોગ્ય પ્રમાણ માનવામાં આવ્યું છે. એમાં પાણી સહિત ફળોનો રસ અને ચા કોફી પણ સામેલ છે.
વ્યક્તિના સ્વાસ્થ્યની સ્થિતિને આધારે વપરાશમાં લેવાયેલા પાણીની માત્રા બદલાઈ શકે છે.
ઓવરહાઈડ્રેશન શું છે?
ઓવરહાઈડ્રેશન એટલે ભલામણ કરતાં વધુ પ્રમાણમાં પાણીનું સેવન. ઓવરહાઈડ્રેશન બે પ્રકારના હોય છે. પહેલા પ્રકારમાં વ્યક્તિ જ્યારે એટલું પાણી સેવન કરે છે કે તેની કિડની તેનો નિકાલ પણ નથી કરી શકતી અને તેનો સંગ્રહ પણ નથી થઈ શકતો. પરિણામે આ પાણી લોહીના પ્રવાહમાં ભળી જાય છે.
બીજા પ્રકારના ઓવરહાઈડ્રેશનમાં શરીર કિડનીની સમસ્યા, અનિયંત્રિત ડાયાબીટીસ અને લિવરની સમસ્યાને કારણે વધારાના પાણીનો નિકાલ નથી કરી શકતું. ઓવરહાઈડ્રેશનના લક્ષણોમાં માથાનો ગંભીર દુખાવો, ઉલટી, અરૂચિ, સ્નાયુઓની નબળાઈ અને હાથ તથા પગ ફીકા પડવા જેવા લક્ષણો સામેલ છે.
ઓવરહાઈડ્રેશનની બ્લડ પ્રેશર પર કેવી અસર પડે છે?
ભલામણ કરેલ કરતા વધુ પ્રમાણમાં અને ઓછા પ્રમાણમાં પાણીનું સેવન બ્લડ પ્રેશર પર વિપરીત અસર કરે છે. વધુ પ્રમાણમાં પાણીનું સેવન એટલે કે ઓવરહાઈડ્રેશન કિડની સ્ટોન એટલે કે પથરીમાં તો લાભદાયક છે પણ હૃદયના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.
વધુ માત્રામાં પાણીના સેવનથી લોહીમાં પાણીનું પ્રમાણ વધી જાય છે જે લોહીમાં રહેલા સોડિયમ સહિતના ઈલેક્ટ્રોલાઈટ્સને પાંખા કરે છે. ઈલેક્ટ્રોલાઈટ્સ પ્રવાહીના સ્તરને જાળવવામાં સહાય કરે છે અને શરીરમાં એસિડ અને બેઝ જેવા કેમિકલના સંતુલન માટે જવાબદાર છે. સોડિયમ સ્નાયુઓ અને નસની યોગ્ય કામગીરી માટે પણ જરૂરી છે.
લોહીમાં સોડિયમના સ્તર જ્યારે ૧૩૫ મીલીઈક્વીવેલન્ટ્સ પ્રતિ લિટરથી ઓછું થાય છે ત્યારે હાઈપોનેટ્રેમિયા નામની સમસ્યા થાય છે જેમાં પાણી શરીરના કોષોમાં પ્રવેશીને તેમાં સોજા ઉત્પન્ન કરે છે. કોષના સોજા બ્લડ પ્રેશરને અસર કરે છે અને ધમનીની જડતા અને હાર્ટ અટેક જેવી સમસ્યા સર્જાઈ શકે છે તેમજ ખેંચ અને કોમાના જોખમ પણ વધી જાય છે.
કોમ્પ્લીકેશન
હાઈપોનેટ્રેમિયાની જો લાંબા સમય સુધી સારવાર ન થાય તો સેરેબ્રલ ઓડેમા અને ઓસ્મોટીક ડેમાઈલિનેશન સીન્ડ્રોમ (મગજના કોષોની નિષ્ક્રિયતા) જેવા કોમ્પ્લીકેશન ઊભા થાય છે.
ઓવરહાઈડ્રેશનની સારવાર
એનો શ્રેષ્ઠ ઉપાય છે યોગ્ય પ્રમાણમાં જ પાણી અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું. મૂત્રવર્ધક દવાથી શરીરમાંથી પાણી ઓછું થઈ શકે છે પણ આવી કોઈ દવાનો ઉપયોગ કરવા અગાઉ ડોકટરની સલાહ લેવી જરૂરી છે.
આપણા વજનનો ૬૦ ટકા હિસ્સો પાણી છે. એનાથી જ આપણા શરીર માટે પાણી કેટલું મહત્વનું છે તે સમજી શકાય છે. જો કે વધુ પ્રમાણમાં પાણી પીવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી અનેક પ્રકારની આડઅસર થાય છે.