માણેકચંદ શેઠ પોતાની હવેલીમાં હિંચકા પર બેઠા હતા, તે સમયે તેમના મિત્ર રાયચંદ શેઠ એક વ્યક્તિ સાથે હવેલીમાં પ્રવેશ કરે છે.
રાયચંદ શેઠ સાથે આવેલ વ્યક્તિની ઓળખાણ આપતાં જણાવે છે કે, ‘આ મહાનુભવ વિદ્યાપાળ શાસ્ત્રી છે જે વ્યક્તિના ચહેરાને જોઈને એટલે કે ફેસ રીડિંગ કરીને અને હાથની રેખાઓ જોઈને તેના ભવિષ્યનું કથન કરે છે.’
માણેકચંદ શેઠને થયું કે, ‘આ જ્યોતિષી પંડિત જરૂરિયાતવાળા હશે, જેથી મારા મિત્રને સાથે લઈને આવ્યા. જો હું ખાલી હાથે જવા દઈશ તો મારી શેઠાઈ લાજશે’. એટલે એમણે રૂપિયા કવરમાં નાખીને શાસ્ત્રીજીને આપ્યું. શાસ્ત્રીજીએ સ્વીકારવાની ના પાડી. માણેકચંદ શેઠ કહે, ‘આ તો મારા તરફથી ભેટ છે, તમે ના કેમ પાડો છો ?’
‘મેં આપનું કોઈ કામ કર્યું નથી કે નથી કર્યો મારી વિદ્યાનો ઉપયોગ. એમ ને એમ રૂપિયા લઉં તો આ રૂપિયા મારું કાંઈ જ કલ્યાણ ન કરી શકે. માણેકચંદ શેઠ કહે, ‘શાસ્ત્રીજી, આ વાતમાં હું સંમત નથી. ભાગ્યમાં હોય તે મળે જ છે. તેમાં પુરુષાર્થ કરવાની જરૂર નથી.’ શાસ્ત્રીજી કહે, ‘પૂર્વે પુરુષાર્થ કર્યો હોય તો જ તે ભાગ્ય બનીને ફળ આપે છે, અન્યથા નહીં.’ શેઠ કહે, ‘ચાલો, હું એક વ્યક્તિ આપની સમક્ષ લાવું છું. તેનું ભાગ્ય આપ કહો.’
શેઠ હવેલીના પાછળના ભાગમાંના બગીચામાં જાય છે ને થોડીવાર પછી સુંદર વસ્ત્રો અને આભૂષણથી સજ્જ એક યુવાનને લઈને આવે છે અને કહે છે, ‘આનું ભાગ્ય કહો’. શાસ્ત્રીજી તેના મુખારવિંદનું નિરીક્ષણ કરીને હસ્તરેખા જોઈને કહે છે કે, ‘આ યુવાન ગરીબીમાં જન્મ્યો છે અને આગામી દીપાવલી સુધી ગરીબીમાં જ જીવશે’ તેવું સ્પષ્ટ જણાય છે.’
શેઠ કહે, ‘શાસ્ત્રીજી, હું આ તમારું કથન જૂઠું સાબિત કરી દઈશ. માત્ર એક જ માસમાં આ વ્યક્તિ લાખોપતિ બની જશે.’ શાસ્ત્રીજી કહે, ‘ભલે, હું એક મહિના પછી આવીને આપને મળીશ.’ શેઠે તો પોતાના બગીચામાં દેખરેખ રાખતા છગન માળીને સારાં વસ્ત્રો પહેરાવીને ઊભો રાખ્યો હતો. તેમણે છગનને એક પત્ર આપ્યો અને કહ્યું કે, ‘મુંબઈ જા અને મારા મિત્રને આ પત્ર આપજે.’ પંદર-વીસ દિવસ તારે એ કહે ત્યાં રોકાવું પડશે. પછી મારો મિત્ર જે પત્ર આપે તે લઈને પાછો આવજે.’ છગન વિચારે છે કે, ‘આ નવી ઉપાધિ આવી. ટ્રેનમાં આટલી લાંબી મુસાફરી કરીને રખડપટ્ટી કરીને પાછા આવવું, કેટલી હાલાકી. અહીં બે ટાઈમ રોટલા મળે છે ને બગીચામાં આરામ, ને આ નવી બલા ક્યાંથી આવી ?’ રસ્તામાં તેનો મિત્ર રમેશ મળ્યા. કહે, ‘આમ દુ:ખી કેમ દેખાય છે, શું થયું ?’ છગન કહે, ‘આ મુંબઈની રામાયણ છે, શું કરવું સૂઝતું નથી.’ રમેશ કહે, ‘શેઠે સોંપેલું કામ તો કરવું જ જોઈએને ? મને આવું કામ સોંપે તો હું રાજી થાઉં. શેઠને ખર્ચે મુંબઈ તો જોવા મળેને ! નવો અનુભવ થાય.’ છગન કહે કે, ‘ભાઈ, તો તું જ જાને. આ લે ટિકિટ અને ખર્ચના પૈસા. પત્ર આપી આવ. હું મારી રૂમમાં આરામ કરીશ.’
રમેશ તો મુંબઈ ગયો અને શેઠને પત્ર આપ્યો. પત્રમાં માણેકચંદ શેઠે લખ્યું હતું કે, આ પત્ર લઈને આવનાર યુવાન ખૂબ જ બુદ્ધિશાળી, મહેનતુ અને પ્રામાણિક છે. તેને તારી અમદાવાદની બ્રાંચમાં આસિસ્ટંટ મેનેજર તરીકે રાખી લેજે અને અમદાવાદમાં આપણો સહિયારો ફ્લેટ છે તે તેના નામે કરીને ચાવી એને આપજે એ બે માસના એડવાન્સ પગાર પેટે રૂપિયા એક લાખ રોકડા આપજે. વિશ્વાસુ છે.
ભાનપ્રસાદ શેઠ તેની આગતા-સ્વાગતા કરીને શેઠે કહ્યા પ્રમાણે અમદાવાદનો રૂપિયા પચ્ચીસ લાખનો ફ્લેટ તેને નામે કરી રૂપિયા એક લાખ રોકડા આપી અમદાવાદની ફ્લાઈટની ટિકિટ આપે છે, કારણ કે તેની પેઢીમાં માણેકલાલ શેઠનું મોટું રોકાણ હતું અને તેના પર બહુ જ મોટો ઉપકાર હતો. તેણે શેઠને જણાવી દીધું કે, ‘આપે કહ્યા પ્રમાણે યુવાનને અમદાવાદ મોકલી દીધો છે.’
પચ્ચીસેક દિવસ પછી શેઠ છગનની રૂમ પર તપાસ કરવા ગયા. છગનને આરામ કરતો જોઈ શેઠ પૂછયું કે ‘મુંબઈથી તું શું લાવ્યો ?’ કહે કે, ‘હું મુંબઈ ગયો જ નથી. મારો મિત્ર લઈને ગયો છે. તે ઘણો જ હોંશિયાર છે. આપનો પત્ર પહોંચાડી દીધો હશે.’
શેઠને તેના પર ગુસ્સો આવ્યો, ‘તારી આળસ અને પ્રમાદને કારણે તેં જીવનની અમૂલ્ય તક ગુમાવી.’ થોડા દિવસ પછી રમેશ છગનને મળવા આવીને આભાર માની કહે છે કે, ‘હું અમદાવાદ સેટ થઈ ગયો છું. આ મીઠાઈ તારા માટે લાવ્યો છું.’ છગન શું બોલે ?
મહિનો પૂરો થતાં શાસ્ત્રીજી આવ્યા. માણેકચંદ શેઠ કહે છે કે, ‘શાસ્ત્રીજી, તમારું કથન સત્ય થયું. હું સમજ્યો છું કે ‘પ્રારબ્ધને પામવા પુરુષાર્થ જરૂરી છે’ અને આગ્રહપૂર્વક શાસ્ત્રીજીએ પુરસ્કાર આપે છે.