સ્કંદપુરાણના નાગરખંડમાં યાજ્ઞાવલ્કયનું ચરિત્ર આપવામાં આવ્યું છે. યાજ્ઞાવલ્કયના ગુરૂ વિદગ્ધ શાકલ્ય હતા. તે વર્ધમાનપુરમાં રહેતા હતા. અને શિષ્યોને ઋગ્વેદ શિખવતા હતા. યાજ્ઞાવલ્કય અસાધારણ જ્ઞાાની હતા. તે જેટલા સહનશીલ હતા એટલા જ સ્વમાની હતા. એક વખત અર્મતનગરનો રાજા સુપ્રિય ચાતુર્માસ ગાળવા વર્ધમાનપુરમાં આવ્યો. રાજા સુપ્રિયનો જ્યાં ઉતારો હતો ત્યાં રોજ એક યજ્ઞાકાર્ય થતું. રાજાની આજ્ઞાા પ્રમાણે ગુરૂ શાકલ્ય રોજ એક શિષ્યને યજ્ઞાકાર્ય કરવા મોકલતા. એક દિવસ યાજ્ઞાવલ્કયનો વારો આવ્યો. યાજ્ઞાવલ્કય યજ્ઞાવિધિ પતાવી મંત્રેલું જળ અને અક્ષત લઈ રાજાના ઉતારે ગયા. રાજાએ કહ્યું – “હું હમણાં જ ઊંઘમાંથી ઊઠયો છું. મારી સ્નાનાદિ ક્રિયા પણ બાકી છે. તું એક કામ કર ! આ મંત્રજળ અશ્વશાળાના થાંભલા પર છાંટી દે !! યાજ્ઞાવલ્કય ચકિત થઈ ગયા. તેમને આવા નાસ્તિક એદી રાજાને ત્યાં યજ્ઞાકાર્ય માટે આવવું સમય વેડફવા જેવું લાગ્યું. જે રીતે રાજાએ હુકમ કર્યો તેનાથી યાજ્ઞાવલ્કયને ખોટું લાગ્યું. દેવો માટે થતું યજ્ઞાકાર્ય પૂરી લગ્ન અને શ્રદ્ધાથી થવું જોઈએ. પણ આ રાજાને આવા પવિત્ર કાર્યની કદર જ નથી ! તે સમસમી ગયા. પણ ગુરૂનું માન રાખવા તેમણે રાજાની આજ્ઞાા સહન કરી લીધી. હુકમ પ્રમાણે તેમણે અશ્વશાળાના થાંભલા પર મંત્રજળનો છંટકાવ કરી દીધો. જળનો સ્પર્શ થતાં જ સૂકો થાંભલો લીલા પાંદડાંથી ખીલી ઊઠયો. થાંભલો વૃક્ષની લીલી ડાળીની માફક રંગીન ફૂલો અને ફળોથી સમૃદ્ધ થઈ ગયો. આ વાતની જાણ રાજાને થઈ. તેણે તરત યાજ્ઞાવલ્કપને પાછો બોલાવ્યો. “યાજ્ઞાવલ્કય, હવે હું સ્નાન કરી તૈયાર થયો છું. ચલ, એ મંત્રજળનો મારા પર અભિષેક કર !!” રાજાના આવા ઉદ્ધત વર્તનથી યાજ્ઞાવલ્કયનું સન્માન ઘવાયું. તેમની ઈચ્છા થઈ કે તેના આવા અભિમાનનો ઉત્તર આપી તેની બુદ્ધિ ઠેકાણે લાવી દે ! પણ તે ગમ ખાઈ ગયા. એક પણ શબ્દ બોલ્યા વગર પગ પછાડતા ગુરૂના આશ્રમમાં આવી ગયા.
ત્યાર પછી બીજા અનેક શિષ્યો રાજાને ત્યાં પ્રાત:વિધિ કરવા ગયા પણ કોઈના મંત્રજળથી થાંભલો નવપલ્લવિત ના થયો. ત્યારે રાજા ખુદ ગુરૂના આશ્રમે ગયો. અને યાજ્ઞાવલ્કયને ફરી મોકલવા હુકમ કર્યો. આ તો રાજાનો હુકમ ! ગુરૂએ યાજ્ઞાવલ્કયએ રાજાને ત્યાં જવા કહ્યું. યાજ્ઞાવલ્કયે ઈનકાર કર્યો. “ગુરૂજી, આવા નિરંકુશ ઘમંડી રાજાનો અધાર્મિક હુકમ માની લેવો એ કાયરતા છે. આપ ગુરૂ છો. આપનું સ્થાન રાજાથી પણ ઉપર હોવું જોઈએ. ગુરૂએ આવા રાજાના દાબમાં રહેવાની જરૂર નથી. કશું સહન કરવાની જરૂર નથી. ગુરૂજી, સહનસીલતા એ માત્ર વૃત્તિ નથી. આચરણ વડે સિદ્ધ થયેલી શક્તિ છે. કાયરતા અને નિર્બળતા પર જીત મેળવ્યા બાદ સહનશીલતાનો ગુણ શોભે છે. અધર્મના પ્રતિકાર માટે સહનશીલતા નહિ આક્રમક મિજાજની જરૂર છે. જે રાજા યજ્ઞાના મંત્રજળની પવિત્રતા ના સમજે એનો હુકમ હું ના માની શકું !” આ સાંભળી ગુરૂએ કહ્યું, “જો યાજ્ઞાવલ્કપ રાજાની આજ્ઞાાનો આપણાથી અનાદર ના થાય. તારે જવું પડશે.” છતાં યાજ્ઞાવલ્કપ એ ના કહી – એટલે ગુરૂએ શાપ આપવાની ધમકી આપી. શાસ્ત્રો કહે છે વાદ-વિવાદ ખૂબ વધી ગયો. ગુરૂએ યાજ્ઞાવલ્કયને ક્ષુરિકામુંડ કલ્પથી મંત્રેલું જળ પાયું અને યાજ્ઞાવલ્કયનું ઋગ્વેદનું સંપૂર્ણ જ્ઞાાન ઓકાવી દીધું. યાજ્ઞાવલ્કયે આશ્રમનો ત્યાગ કર્યો. ત્યારબાદ તેમણે તેમના માતામહ પાસે તથા સૂર્યનારાયણ પાસે વેદોનું જ્ઞાાન લીધું.
આપણે સહનશીલ બનીએ તે સારૃં છે પણ પૂરતું નથી. સહનશીલતા ધીરે ધીરે આપણને કાયર બનાવી દે તેનું ધ્યાન રાખવું પડે છે. બીજાના પગ નીચે કચડાતા માણસોને સહનશીલ માનવાની ભૂલ ના કરાય. એવા માણસો અંદરથી કાયર હોય છે. આમ તો ધૂળ પણ પગ નીચે કચડાતી હોય છે, પણ હવા સાથે ઊડીને આંખમાં પડે ત્યારે સમજાય છે કે ધૂળનેય ‘હું પણા’નો ગર્વ હોય છે. એમનેય ખુદનું સન્માન જાળવવાની ફિકર હોય છે. સમાજ કઈ વ્યક્તિ સહનશીલ છે તેનું ધ્યાન નથી રાખતો. હા, તે નિર્બળ કે ડરપોક છે કે નહિ તેની નોંધ અવશ્ય રાખે છે. જેનામાં અન્યાય અને અધર્મનો સામનો કરવાની હિંમત ના હોય તે સહનશીલતાનો દાવો ના કરી શકે. આત્મજ્ઞાાની વ્યક્તિ દુ:ખી નથી થતો. તેનામાં સહન કરવાની વૃત્તિ પ્રબળ હોય છે. કારણ કે તે ખુદને તન-મનથી ભિન્ન જાણે છે.
ઈ.સ. ૧૯૦૮માં કાશીના રાજાને એપેન્ડિક્સનું ઓપરેશન કરવાનું હતું. કાશીનરેશે કલોરોફોર્મ લેવાની ના પાડી. ડોકટરોએ શરીરની અસહનીય પીડા વિષે ચેતવ્યા. પણ તે ના માન્યા. ક્લોરોફોમ લીધા વગર રાજાએ ઓપરેશન થવા દીધું. આ તેમની આત્મજાત સહનશીલતા હતી. જેને પરમ સુખની ઉપલબ્ધિ થઈ જાય છે તેમને દુ:ખ એમ જ સહન થઈ જાય છે. હરેક સ્થિતિમાં તેઓ ખુશ રહે છે. ભમ્રજીત રાજા બાલીકના પ્રધાનમંત્રી હતા. રાજ્ય-દરબારીઓની કાનભંભેરણીને કારણે રાજા તેમને નાની નાની વાતે અપમાનિત કરતા. છૂપી ઉશ્કેરણી વધી જાય અને સહનશીલતા સીમા ઓળંગી જાય તે પહેલાં તે પદ પરથી હટી ગયા. ત્યારબાદ તેમનો સમય સત્સંગ અને લોકસેવામાં વ્યતિત થવા લાગ્યો. લોક સેવાથી એમની ખ્યાતિ રાજા કરતાંય વધી ગઈ. રાજાએ આ વાત જાણી. રાજા તેમને મળવા ગયા. “રાજન, જો હું દરબારમાં જ રહ્યો હોત તો લોકસેવાનો અવસર ના મળત. હું તમારો આભારી છું.” રાજ્ય બાલીક ભદ્રજીતની વિનમ્રતા અને સહનશીલતા આગળ નમી પડયો.
લાચારીથી ભોગવેલું અપમાન મનને વિચલિત કરી કાયર બનાવે છે. કોઈપણ સંબંધ હૂંફ આપવાના બદલે અવિચારી વર્તનથી દઝાડે ત્યારે સમજવું હવે સહન કરવાની હદ આવી ગઈ છે. (There is limit at which forbearance to be a Virtue) એક હદ પછી સહનશીલતાનો ગુણ નથી રહેતો. કારણ કે સહનશીલતાનો અર્થ કાયરતા નથી.