New Delhi,તા.6
દેશભરમાં ચલાવવામાં આવેલ વિશેષ અભિયાન અંતર્ગત અધિકારીઓએ જીએસટી અંતર્ગત રજીસ્ટર્ડ લગભગ 18000 બોગસ કંપનીઓનો પતો મેળવ્યો છે. આ કંપનીઓ લગભગ 25 હજાર કરોડ રૂપિયાની કરચોરીમાં સામેલ છે.
આ કંપનીઓએ દેખીતી રીતે જ કોઈ સામાનનું ખરીદ વેચાણ નહોતું કર્યું.માત્ર કાગળ પર સામાનનું ખરીદ વેચાણ દેખાડીને ઈનપુટ ટેકસ ક્રેડીટ (આઈટીઓ) તૈયાર કરી અને તેના નામે સરકાર પાસેથી મોટી રકમ લઈ લીધી હતી.
16 ઓગસ્ટથી શરૂ કરાયેલ વિશેષ અભિયાન દરમ્યાન કર ઝુંબેશમાં અધિકારીઓએ હજારો આવી કંપનીઓ અને ફર્મની ઓળખ કરી હતી. જેના બારામાં શંકા હતી કે તે કરચોરીમાં લીપ્ત છે કે પછી કારોબારમાં હેરફેર કરીને બોગસ રીતે ઈનપુટ ટેકસ ક્રેડીટનો લાભ લઈ રહી છે.વિભાગે આ કંપનીઓનું વેરીફીકેશન કર્યુ હતું. આ દરમ્યાન 18000 કંપનીઓનું તો અસ્તિત્વ જ નહોતું મળ્યુ ઘણી કંપનીઓના ગોદામ પુરી રીતે ખાલી જોવા મળ્યા.
સરકારે સખ્તાઈ વધારી
ગત વર્ષે 16 મેથી 15 જુલાઈ સુધી ચાલેલા પહેલા અભિયાન અંતર્ગત 21791 બોગસ કંપનીઓનો પતો મળ્યો હતો આ દરમ્યાન 24010 કરોડ રૂપિયાની શંકાસ્પદ કરચોરી મળી આવી હતી.
કરચોરી હવે સંભવ નહિં
કર વિશેષજ્ઞોનું કહેવુ છે કે જીએસટી વિભાગ હવે પુરી રીતે ઓટોમેટેડ રીતે કામ કરી રહ્યું છે. તેમાં ઈ-ઈન્વોઈસીંગ, ઈ-વે બિલ, આઈટીસી અને ઓટોમેડ કિલોકીંગની મહત્વની ભુમિકા છે. જીએસટીમાં આ સુધારાને લઈને હવે કરચોરી કરવી કે ભ્રષ્ટાચાર કરવો સંભવ નથી.