દેવદિવાળીના દિવસ સાથે અનેક કથાઓ જોડાયેલી છે.ભગવાન લાંબા સમય બાદ શયનમાંથી બહાર આવતા હોઈ ભક્તજનોએ આનંદિત થઈ એકાદશીના ચાર દિવસ બાદ એટલે કે કારતક સુદ પૂર્ણિમાને દિવસે પ્રભુ જાગૃત થયાનો ઉત્સવ ધામધૂમથી ઉજવ્યો.આ ઉત્સવ પ્રભુ માટે ઉજવવામાં આવતો હોવાથી સ્વર્ગના દેવો પણ પૃથ્વીવાસીઓના આ આનંદમય તહેવારમાં જોડાઈ ગયાં.આમ સર્વે દેવતાઓએ સાથે મળીને આ ઉત્સવ ઉજવ્યો હોવાથી તે દેવદિવાળીના નામે પ્રખ્યાત થયો.
બીજી કથા અનુસાર આ દિવસે ત્રિપુરાસુરના વધથી પ્રસન્ન થયેલા દેવતાઓએ આ દિવસની ઉજવણી દીપ પ્રગટાવી કરી હોવાથી આ દિવસ દેવદિવાળી તરીકે પ્રખ્યાત થયો.ત્રીજી કથા અનુસાર ગૌરીપુત્ર કાર્તિકેયજીએ સ્વર્ગનાં સેનાપતિ બનીને તારકાસૂરનો વધ કર્યો.તારકાસૂરના વધથી પ્રસન્ન થયેલા દેવોએ કૈલાશમાં દિવાઓ પ્રગટાવી જે દિવસે ઉત્સવ મનાવ્યો જે દેવદિવાળી તરીકે પ્રખ્યાત થયો.આ દિવસનાં વિજયની ખુશાલીમાં કાર્તિકેયજીને કાર્તિક મહિનાના સ્વામી બનાવવામાં આવ્યાં હતાં.આજનાં દિવસે તુલસી વિવાહ રચાય છે તેથી ‘‘તુલસીવિવાહ દિવસ’’ તરીકે ઓળખાય છે.
આ દિવસે શીખોના ગુરૂ નાનક સાહેબે શીખ સંપ્રદાયની સ્થાપના કરી હોઈ આ દિવસને ‘‘ગુરૂ નાનક જયંતિ’’ તરીકે પણ ઉજવવામાં આવે છે.
શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંધના દશમા અધ્યાયમાં ત્રિપુરારીની કથા આવે છે.મયદાનવે તારક અને વિદ્યુન્માલિ બંનેની સહાયથી અસુરોને સુવર્ણ-રજત અને લોટનાં ત્રણ ઊડતાં નગર બનાવી આપ્યાં હતાં.આ ઊડતાં નગરો લઈને અસુરો ગમે ત્યાં ઊતરે.જ્યાં આ નગરો ઊતરે તે નગર અને તેની સંસ્કૃતિનો નાશ થઇ જતો.દેવોની વિનંતીથી ભગવાન શંકરે ત્રણે પુરાનો નાશ કર્યો તેથી તેઓ ત્રિપુરારિ કહેવાયા. દેવો રાજી થઇ ગયા અને તેમણે વિજયોત્સવ ઊજવ્યો તેથી આ દિવસને દેવદિવાળી કહે છે.હિંદુઓ ભક્તિભાવપૂર્વક દેવદિવાળીની ઉજવણી કરે છે.
પુરાણો અનુસાર દેવદિવાળીના દિવસે ભગવાન વિષ્ણુએ પ્રલયકાળમાં વેદોની રક્ષા કરવા માટે તથા સૃષ્ટિને બચાવવા માટે મત્સ્યાવતાર ધારણ કર્યો હતો.દેવદિવાળીના દિવસે ભગવાન વિષ્ણુ વામન અવતાર બાદ એટલે કે બલિને પાતાળલોકમાં પહોંચાડીને પોતાના નિવાસસ્થાન વૈકુંઠ પધાર્યા હતા.
મહાભારત અનુસાર મહાભારત કાળમાં અઢાર દિવસ લાંબા ચાલેલા વિનાશકારી યુદ્ધમાં યોદ્ધાઓ અને સગાં-સંબંધીઓને જોઈને જ્યારે યુધિષ્ઠિર વિચલિત થયા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ પાંડવો સહિત ગઢખાદરનાં વિશાળ રેતીલાં મેદાનોમાં આવ્યા.કારતક સુદ અષ્ટમીના દિવસે પાંડવોએ ગંગા નદીમાં સ્નાન કર્યું અને કારતક સુદ ચૌદશ સુધી ગંગાકિનારે યજ્ઞ કર્યો ત્યારબાદ રાત્રે દિવંગત આત્માઓની શાંતિ માટે દીપદાન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેથી આ દિવસથી ગંગાસ્નાન અને ખાસ કરીને ગઢમુક્તેશ્વર તીર્થમાં આવીને સ્નાન કરવાનું વિશેષ માહાત્મ્ય છે.
દેવદિવાળીના દિવસે ગંગાસ્નાન,દીપદાન,હવન-યજ્ઞ વગેરે કરવાથી સાંસારિક પાપ તથા તાપનું શમન થાય છે.આ દિવસે કરવામાં આવેલ અન્ન-ધન અને વસ્ત્ર દાનનું ઘણું મહત્વ આપણાં શાસ્ત્રોમાં જણાવાયું છે.આ દિવસે જે પણ દાન કરવામાં આવે તેનું અનેક ગણું ફળ મળે છે.એક એવી માન્યતા પણ છે કે કારતક પૂર્ણિમાના દિવસે વ્યક્તિ જે કંઈ પણ દાન કરે છે તે તેના માટે સ્વર્ગમાં સંગ્રહાયેલું રહે છે જે મૃત્યુલોકનો ત્યાગ કર્યા પછી સ્વર્ગમાં મળે છે.આપણાં શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે કારતક પૂર્ણિમાના દિવસે પવિત્ર નદી અથવા સરોવર અને ધર્મસ્થાનમાં જેમ કે પુષ્કર ગંગા યમુના ગોદાવરી નર્મદા ગંડક કુરૂક્ષેત્ર અયોધ્યા કાશીમાં સ્નાન કરવાથી વિશેષ પુણ્ય મળે છે.
વર્તમાન સમયમાં માનવીમાં વધુને વધુ ધર્મભાવના લાવવી જરૂરી છે.આપણામાં જો ધર્મભાવના હશે તો જ ઘરમાં અને સમાજમાં સદભાવના રહેશે.આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાં ચારેબાજુ નઠારા અને આપણી ધીરજ અને સજ્જનતાની કસોટી કરનારા લોકો રહે છે,તેઓ ખોટા વિચારોનો કચરો આપણા પર ઠાલવે છે તેનાથી બચતાં રહેવા ચારિત્ર્ય વધુ બળવત્તર બનાવવું પડશે.જો સતત સારા વિચારો મળતા રહેશે તો જ આપણે સારા બની શકીશું.
પૌરાણિક કથા મુજબ ઈંદ્રના અભિમાન પ્રેરીત ગેરવર્તનથી કોપાયમાન થયેલા શિવજીએ ત્રીજુ નેત્ર ખોલ્યું પરંતુ ઈંદ્રે દેવતાઓના ગુરૂ બૃહસ્પતિની સ્તુતિ કરી અને બચી ગયો પરંતુ શિવજીનાં ત્રીજા નેત્રમાંથી પ્રગટ થયેલાં ક્ષારથી જલંધર નામનો બાળક ઉત્પન્ન થયો.તેનો જન્મ ક્ષીરસાગરમાંથી થયો હતો.મોટો થતાં વૃંદા નામની કન્યા સાથે તેના લગ્ન થયાં હતા.વૃંદા પતિવ્રતા સ્ત્રી હતી.વૃદાના સતીપણાના કારણે જલંધર તમામ સામે વિજય પ્રાપ્ત કરતો ગયો અને ચોમેર ત્રાસ ફેલાવતો ગયો.સમુદ્ર પુત્ર જલંધર લક્ષ્મીમાતાનો ભાઈ હોવાથી લક્ષ્મીમાતાએ પોતાના ભાઇને ન મારવા વચન લીધું હતું.જલંધર માયાવી શક્તિથી શિવજીનું રૂપ ધારણ કરી પાર્વતીજીને વારંવાર હેરાન કરતો હતો.આથી ગુસ્સે થયેલા ભગવાન શંકરે જલંધર સાથે યુધ્ધ કરવા માટે રણનાં મેદાને ઉતર્યા પરંતુ જલંધરને જીતવો સહેલો ન હતો તેથી ભગવાન શંકરે ભગવાન વિષ્ણુની મદદ માંગી.જ્યારે જલંધર રણમેદાનમાં ભગવાન શિવ સાથે યુધ્ધ કરવામાં વ્યસ્ત હતો ત્યારે વિષ્ણુ ભગવાને જલંધરનું સ્વરૂપ ધારણ કરી વૃંદા સાથે કપટથી પતિવ્રત ખંડિત કર્યું.વૃંદાનું સતીત્વનું ખંડન થતાં જ જલંધરનું રણમેદાનમાં મૃત્યુ થયુ.આ વાતની જ્યારે વૃંદાને ખબર પડી કે પોતાનું પતિવ્રત ભંગ કરવામાં ભગવાન વિષ્ણુનો હાથ છે તેથી તેણે ભગવાન વિષ્ણુને શ્રાપ આપતાં કહ્યું કે એક સમયે તમારી સ્ત્રીને મારો પતિ હરણ કરી લઇ જશે અને ત્યારે તમે પણ સ્ત્રીના વિયોગથી દુઃખી થશો.આપ આ બ્રહ્માંડના સંચાલક હોવા છતાંયે આપ લાગણી વગરનાં પથ્થર જેવા છો અને આપના આ કાળાકર્મને કારણે આપ કાળા પથ્થરમાં ફેરવાઇ જાઓ વળી આપે અવિચારી મર્કટો (વાનરો) જેવું કાર્ય કર્યુ છે તેથી હું આપને શ્રાપ આપું છુ કે આપની પત્નીને પીડામાંથી બચાવવા માટે આપે આજ અવિચારી મર્કટોની મદદ લેવી પડશે.આ પ્રસંગ આપણે રામાયણમાં જોઇએ છીએ.જેવાં કર્મ હોય તે પ્રમાણે ફળ ભોગવવું જ પડે છે.આટલું કહી વૃંદા પોતાના પતિ પાછળ સતી થયા.વેદોમાં કથા છે કે વૃંદાના શ્રાપની સામે ભગવાન વિષ્ણુએ કહ્યું કે પતિવ્રત ધર્મમાં પતિને કુકર્મોથી પાછો વાળવો જોઇએ પરંતુ વૃંદાએ કયારેય પોતાના પતિને કુકર્મોથી પાછો વાળવા પ્રયત્ન કર્યો ન હતો તેથી આપ પણ શ્રાપને પાત્ર છો અને ભગવાન વિષ્ણુએ વૃંદાને સજીવ છતાંયે નિર્જીવ એવી વનસ્પતિ થવાનો શ્રાપ આપ્યો.વૃંદાનું પ્રાગટ્ય વનસ્પતિમાં તુલસી રૂપે થયું અને ભગવાન વિષ્ણુએ આ શ્રાપને કારણે ‘‘શાલિગ્રામજી’’નું રૂપ ધારણ કર્યુ.પત્ની વૃંદાના અણીશુદ્ધ ચારિત્ર્યને કારણે જ અસુરને દેવતા હાથ લગાવી શકતા ન હતા.દેવદિવાળીએ આ વૃંદાના ચારિત્ર્યને જ માત્ર યાદ રાખો કે જો એકવીસમી સદીની સ્ત્રી તેનું ચારિત્ર્ય અખંડ રાખશે તો તેના પતિનું જ નહીં સમગ્ર સમાજનું કલ્યાણ કરી શકશે.
આલેખનઃ વિનોદ માછી નિરંકારી