એક ભાઇ પોતાની અતિશય ક્રોધી પત્નીથી તંગ આવીને તેને એક ખીલીઓથી ભરેલો થેલો આપે છે અને કહે છે કે તને જ્યારે પણ ક્રોધ આવે ત્યારે તારે આ થેલામાંથી એક ખીલી કાઢીને સામેની દિવાલ ઉપર લગાવી દેવાની.બીજા દિવસે પત્નીને ક્રોધ આવે છે ત્યારે એક ખીલી દિવાલ ઉપર લગાવી દે છે અને આ પ્રક્રિયા લગાતાર ચાલુ રહે છે.એક દિવસ તેને વિચાર આવે છે કે દિવાલ ઉપર ખીલીઓ લગાવવાની ખોટી મહેનત કરવી તેના કરતાં મારે ક્રોધ ઉપર કાબૂ કરવો છે.આમ કરવાથી ખીલીઓ લગાવવાની સંખ્યા ઓછી થઇ જાય છે.
એક દિવસ એવો આવ્યો કે તેને દિવાલ ઉપર એક પણ ખીલી મારી નથી અને આ ખુશીની વાત તે પોતાના પતિને કહે છે ત્યારે પતિ ખુશ થઇને કહે છે કે હવે જ્યારે તને એમ લાગે કે આજે મને બિલ્કુલ ક્રોધ આવ્યો નથી તે દિવસે દિવાલમાં લગાવેલ એક એક ખીલી કાઢી નાખવાની.પત્નીએ પતિની આજ્ઞાનુસાર કર્યું તો એક દિવસ એવો આવ્યો કે દિવાલમાં એકપણ ખીલી રહી નથી.
પતિ પોતાની પત્નીને દિવાલ પાસે લઇ જઇને કહે છે કે ખીલીના લીધે દિવાલમાં જે કાણા પડ્યા છે તેને તૂં ભરી શકીશ? ત્યારે પત્ની કહે છે કે એ તો મારાથી શક્ય નથી.પત્નીના ખભા ઉપર હાથ મુકીને પતિ કહે છે કે હવે સમજી જા..ક્રોધના આવેશમાં તમારા દ્વારા બોલાયેલા કઠોર શબ્દો બીજાના હ્રદયમાં ઘા કરે છે જેની ભરપાઇ તમે જીવનભર કરી શકતા નથી.જ્યારે પણ આપણને ક્રોધ આવે ત્યારે વિચારવાનું છે કે શું હું ક્રોધ કરીને સામાવાળાના દિલમાં ઘા તો નથી કરી રહ્યોને? કારણ કે તલવારના ઘા સમય આવે રૂઝાઇ જાય છે પણ કટુ શબ્દથી કરેલ ઘા રૂઝાતો નથી.
ગુસ્સે થવું સ્વાભાવિક છે પરંતુ બિનજરૂરી વધુ પડતો ગુસ્સો કરીએ તે સારૂં નથી.ક્રોધ એ માણસનો સૌથી ખરાબ શત્રુ છે.જે સ્ત્રીમાં ગુસ્સો ઓછો હોય છે તેનો પતિ ખૂબ નસીબદાર હોય છે કારણ કે આવા લોકોના ઘરમાં કકરાટનું વાતાવરણ હોતું નથી જેના કારણે પરિવારમાં હંમેશા પ્રગતિ રહે છે.
ક્રોધ કરવાથી અશાંતિ તથા તનાવ વધે છે,ક્રોધી વ્યક્તિને ક્યારેય શાંતિ પ્રાપ્ત થતી નથી તેથી આ ક્રોધથી થનાર નુકશાન અને દુઃખથી બચવાનો ઉપાય કરવો જોઇએ.જ્યારે જ્યારે અમોને ક્રોધ આવે છે ત્યારે તે કોઇને કોઇ ઉ૫ર તો ઉતરે જ છે તેનાથી અમારૂં અને અમારાઓનું મન દુઃખી થાય છે તથા ઘરનું વાતાવરણ બગડે છે.જો ક્રોધની આ ક્ષણને સાચવી લેવામાં આવે તો ઘરમાં જે હાસ્યનું વાતાવરણ હોય છે તેને કાયમ રાખી શકાય છે અને જે પોતાનાં હોય છે તેમની ઉ૫ર ગુસ્સો કેવો ? પોતાનાં તો પોતાનાં જ છે કે જે અમોને દિલથી પ્રેમ કરે છે કદાચ તેમની કોઇ ભૂલ થાય તો ક્ષમા આપવી.
ક્રોધ આ૫ણા ઘરમાં ક્યારેય સુખ શાંતિ આવવા દેતો નથી.ક્રોધ કરવાથી બીજાઓને દુઃખ ૫હોચે છે અને સાથે સાથે અમારામાં ૫ણ અશાંતિ આવે છે.ક્રોધમાં આપણે ઘણીવાર એવા અનર્થ કરી દઇએ છીએ કે જીવનભર ૫છતાવું ૫ડે છે.
કામ અને ક્રોધ આવેગજન્ય દોષ છે.રોગમાં તથા વૃધ્ધાવસ્થામાં કામવેગ સમાપ્ત થઇ જાય છે.જ્યાં ભય હોય ત્યાં ક્રોધ આવતો નથી.કામ અને ક્રોધ ક્યારે ઉત્પન્ન થઇ જાય તેની ખબર પડતી નથી.આવી ગયા પછી જો બુધ્ધિથી સાવધાની રાખીએ તો તેને દબાવવાનો પ્રયત્ન કરી શકાય છે.કામ-ક્રોધને આવવા જ ના દેવાય તેવી અગાઉથી કોઇ વ્યવસ્થા કરવી સંભવ નથી.આપણે જો સ્થાઇ દોષો ઉ૫ર વધુ ધ્યાન આપીએ તો તેનું ઉન્મૂલન કરી દઇએ તો આવેગજન્ય દોષો આપણું કશું જ બગાડી શકતા નથી.
જેનું મન ઇન્દ્રિંયોના વશમાં હોય છે તે મનુષ્ય વિવેક શક્તિ ખોઇ બેસે છે અને પોતાને કામ,ક્રોધ વગેરે શત્રુઓના હાથમાં સોંપીને અધોગતિ પ્રાપ્ત કરે છે એટલે તમામ પ્રકારના સંકલ્પોનો નાશ કરીને ચિત્તને સુક્ષ્મ-બુધ્ધિમાં લીન કરવું.કામ ક્રોધ લોભ મોહ મત્સર મદ અને મત્સર..આ મનમાં નિત્ય રહેવાવાળા શત્રુઓ છે,આને જે વશમાં કરી લે છે તે જીતેન્દ્રિય પુરૂષ પા૫માં લિપ્ત થતો નથી.જેને ક્રોધ આવે તે બીજાનું સાંભળતો નથી.
ક્રોધ માત્ર ક્ષણભર ટકે છે,વિયોગ અલ્પ સમય લાગે છે પરંતુ મહાત્માઓનો પ્રેમ આજીવન ટકી રહે છે.ક્રોધ ધર્મનો નાશક છે,ક્રોધ પ્રયત્નશીલ સાધકને અત્યંત દુઃખથી ઉપાર્જિત કરેલ ધર્મનો નાશ કરી દે છે.
મારૂં મનગમતું થાઓ..આ જ કામના છે.ઉત્પત્તિ વિનાશશીલ જડ પદાર્થોના સંગ્રહની ઇચ્છા, સંયોગજન્ય સુખની ઇચ્છા,સુખની આસક્તિ..આ બધા “કામ” ના જ રૂ૫ છે.પાપ કર્મ ક્યાંક “ક્રોધ” ને વશીભૂત થઇને કરવામાં આવેલું દેખાય છે.બન્નેથી અલગ અલગ પાપો થાય છે.વાસ્તવમાં “કામ” એટલે કે ઉત્પત્તિ વિનાશશીલ પદાર્થોની કામના..પ્રિતિ અને આકર્ષણ જ તમામ પાપોનું મૂળ છે.કામનાની પૂર્તિ થતાં “લોભ” ઉત્પન્ન થાય છે.”જિમિ પ્રતિ લાભ લોભ અધિકાઇ” અને કામનામાં વિઘ્ન પહોંચતાં વિઘ્ન પહોચાડનાર ઉપર “ક્રોધ” ઉત્પન્ન થાય છે.જો વિઘ્ન પહોચાડવાવાળો પોતાથી અધિક બળવાન હોય તો ક્રોધ ઉત્પન્ન ન થતાં “ભય” ઉત્પન્ન થાય છે.
ક્ષમા કરવા છતાં ૫ણ કોઇ અપકાર કરે તેમ છતાં ક્રોધ ના કરવો.દૈવવશ ક્રોધ ઉત્પન્ન થાય તો ૫ણ તેને રોકવો.પોતાના મનોરથોમાં વિધ્ન નાખનાર પ્રત્યે ૫ણ ચિત્ત નિર્વિકાર રાખવું.આપણો અ૫કાર કરનારના પ્રત્યે ૫ણ ક્રોધ ના કરવો.
ચોવીસ કલાક ક્રોધમાં રહેનાર,નાની નાની વાતોમાં ક્રોધ કરનાર મૃતક સમાન છે.ક્રોધના કારણે મન-બુદ્ધિ ઉપર તેનું નિયંત્રણ રહેતું નથી.પૂર્વજન્મના સંસ્કારના કારણે જીવ ક્રોધી બને છે.આ મન જ્યારે હું પણા મારા-પણાનું કારણ એવા કામ-ક્રોધ વગેરે વિકારોથી મુક્ત અને શુદ્ધ થઇ જાય છે ત્યારે તે સુખ અને દુઃખમાંથી છુટીને સમ-અવસ્થામાં આવી જાય છે.
કામ ક્રોધ અને લોભ..આ ત્રણ નરકના દરવાજા જીવાત્માનું ૫તન કરનારા છે એટલા માટે આ ત્રણેનો ત્યાગ કરી દેવો જોઇએ..
ભક્તિમાર્ગમાં વિઘ્ન કરનાર લોભ છે અને જ્ઞાનમાર્ગમાં વિઘ્ન કરનાર ક્રોધ છે.જ્ઞાનીઓને બહુ માન મળે અને ક્યારેક તેમનું કોઈ અપમાન કરે તો તે સહન કરી શકતા નથી તેથી તેમને ક્રોધ આવી જાય છે. અતિ સાવધ રહે તે કામને મારી શકે પણ કામના નાનાભાઈ ક્રોધને મારવો મુશ્કેલ છે.કામી-લોભીને તત્કાળ કદાચ થોડો લાભ થાય છે.કામી કામસુખ ભોગવે છે અને લોભી પૈસા ભેગા કરે છે પણ ક્રોધ કરનારને તો કંઇ મળતું નથી માટે આપણે બધાએ ક્રોધ છોડવો જોઈએ.
ક્રોધની કોઈ વ્યાખ્યા નથી.ક્રોધ એ કામ અને લોભની એક સાઈડનિપજ છે.કામ એટલે જે પોતાની પાસે નથી તે પામવાની ઈચ્છા અને લોભ એટલે પોતાની પાસે જે છે તે જતું ના રહે તેવી ઈચ્છા.આ બંને ‘ઈચ્છા’ પૂરી ન થાય એટલે ક્રોધ આવે છે.જે પ્રભુ પરમાત્માને જાણીને સતત બ્રહ્મચિંતન કરે તેને ક્રોધ આવતો નથી.
ક્રોધ જ તમામ પાપોનું મૂળ છે.ક્રોધને વશ થયેલો માનવ અનુચિત કૃત્યો કરે છે અને જગતથી ઉલટો ચાલે છે.જે ક્રોધ નથી કરતો,માટી,પત્થર તથા સુવર્ણને એક સમાન ગણે છે,જે શોક નથી કરતો,જે મોહ, સ્નેહ અને વેર રહિત છે,જેની ઉપર નિંદા કે પ્રસન્નતા સમાન પ્રભાવ નાખે છે,જે પ્રિય અને અપ્રિય બંનેનો ત્યાગ કરનારો છે,એવો પુરૂષ જ વાસ્તવિક સંન્યાસી છે તેને જ પુણ્યાત્મા સંત માનવો જોઈએ.
એક માત્ર ક્ષમા આપવાથી જ શાંતિ સ્થપાય છે.ક્રોધ અને વેરની ભાવના ક્યારેય હૃદયના અગ્નિને શાંત નથી કરી શકતા.કેવળ વિદ્યા જ મનુષ્યને સંતુષ્ટિ પ્રદાન કરે છે.બાકીની બધી જ જરૂરિયાતો માત્ર તૃષ્ણા જ જગાડે છે.આવી રીતે કેવળ અહિંસા જ મનુષ્યને સુખ આપે છે માટે માનવીએ પોતાના જીવનમાં ધર્મ ક્ષમા વિદ્યા અને અહિંસાને જ અપનાવવા જોઈએ.
ક્રોધને શાંતિથી જીતો.ક્રોધએ ૫તન અને ૫રાભવનું કારણ છે એટલે તેનાથી બચવું શ્રેયસ્કર છે.ક્રોધ અનેક મહાપુરૂષોના ૫રાભવનું કારણ બન્યો છે.મહર્ષિ દુર્વાસાએ ભગવાન શંકરના અંશાવતાર અને મહાન જ્ઞાની હતા પરંતુ ક્રોધી સ્વભાવના હોવાના કારણે તેમને રાજા અંબરીષને ત્યાં વિ૫ત્તિનો સામનો કરવો ૫ડ્યો હતો અને ક્રોધ જ તેમના ૫રાજ્યનું કારણ બન્યો હતો.તેવી જ રીતે ભૃગુશ્રેષ્ઠ ભગવાન ૫રશુરામજી ૫ણ શિવ ધનુષ્યભંગના પ્રસંગમાં ક્રોધના કારણે જ ૫રાભૂત થયા હતા તથા તેમને તપસ્યાથી પ્રાપ્ત પુણ્ય ગુમાવવું ૫ડ્યું હતું.
વસ્તુતઃ ક્રોધના મૂળમાં કામ છે.કામના થવી કે કામના કરવી એ મનનું કાર્ય છે.મનથી વિ૫રીત કાર્ય થતાં જ ક્રોધ આવી જાય છે.મનનો સ્વભાવ અત્યંત ચંચળ છે અને તેની પ્રકૃતિ સંકલ્પ-વિકલ્પાત્મક છે.મનના લીધેલ નિર્ણયો બુદ્ધિથી વિ૫રીત ૫ણ હોઇ શકે છે એટલા માટે મનની ઉ૫ર બુદ્ધિનું નિયંત્રણ હોવું ખુબ જ જરૂરી છે.બુદ્ધિના નિયંત્રણથી વિચારોમાં સાત્વિકતા આવે છે અને રજોગુણ તથા તમોગુણના ભાવ દબાઇ જાય છે.ક્રોધ થવાથી અવિવેક ઉત્પાન્ન થાય છે અને તેથી સ્મૃતિભ્રમ થઇ જાય છે.સ્મૃતિના નાશ થઇ જવાથી બુદ્ધિ નષ્ટ થઇ જાય છે અને બુદ્ધિનાશ એ વિનાશનો મૂળ હેતુ છે. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. અનાસક્ત ભાવથી રહેવાથી કામ-ક્રોધ રહેતા નથી.શાસ્ત્રોમાં ક્રોધને સાક્ષાત યમરાજા કહ્યો છે તથા તેનાથી બચવાની સલાહ આ૫વામાં આવી છે.
ક્રોધ જ તમામ ઝઘડાઓનું મૂળ કારણ છે અને શાંતિ તમામ વિવાદ દૂર કરે છે.જો અમે ક્રોધ જ નહી કરીએ તો ક્યારેય કોઇ વાદ-વિવાદ થશે નહી.જીવનમાં સુખ-શાંતિ ઇચ્છતા હો તો ક્રોધને નિયંત્રિત કરવો જોઇએ.ક્રોધને કાબૂમાં કરવા સદગુરૂ શરણમાં જઇ એક પ્રભુ પરમાત્માને જાણીને રોજ પ્રભુ પરમાત્માનું ધ્યાન કરવાની જરૂર છે.