ઉત્તર પ્રદેશના મામલે પણ અગાઉ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં એક લાખથી વધુ વૃક્ષો કાપવાના નિર્ણય સામે અરજી કરવામાં આવી હતી
Uttar Pradesh, તા.૨૩
ઉત્તર પ્રદેશ સરકારે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલને જાણ કરી હતી કે સરકારને કાવડ યાત્રાના પથ પર આવતા ફોરેસ્ટ વિસ્તારમાં આશરે ૧.૧૨ લાખ વૃક્ષો હટાવવાની છૂટ મળી છે. જેને પગલે રાજ્ય સરકાર આટલા વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ કરશે. જ્યારે દિલ્હીમાં પ્રદૂષણ વચ્ચે વૃક્ષો કાપવા મુદ્દે એક અરજી થઇ છે. જેને પગલે સુપ્રીમે નિષ્ણાતોની કમિટી બનાવવા કહ્યું હતું.ઉત્તર પ્રદેશના મામલે પણ અગાઉ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં એક લાખથી વધુ વૃક્ષો કાપવાના નિર્ણય સામે અરજી કરવામાં આવી હતી. જેને પગલે ટ્રિબ્યૂનલે ઉત્તર પ્રદેશના પર્યાવરણ વિભાગ પાસેથી માહિતી માગી હતી. જવાબમાં રાજ્યના પર્યાવરણ વિભાગના મુખ્ય સચીવે ટ્રિબ્યૂનલને જણાવ્યું હતું કે ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ કેન્દ્ર સરકાર તરફથી કાવડ યાત્રાના માર્ગ પર આવનારા ૧,૧૨,૭૨૨ વૃક્ષો કાપવાની રાજ્ય સરકારને છૂટ અને મંજૂરી મળી ગઇ છે. હાલમાં આ આશરે સવા લાખ જેટલા વૃક્ષોમાંથી ૨૫ હજારથી વધુ વૃક્ષોને કાપવા માટે પસંદ પણ કરી લેવામાં આવ્યા છે. જેમાંથી ૧૭ હજારથી વધુ વૃક્ષો કાપી નખાયા છે. જોકે પીડબલ્યુડી વિભાગે ગત ઓગસ્ટ મહિનામાં જ વૃક્ષો કાપવાની કામગીરી અટકાવી દીધી હતી. જે પણ વિસ્તારોમાં વૃક્ષો કાપવાના છે તેમાં ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર વગેરેનો સમાવેશ થાય છે. અગાઉ સરકારે દાવો કર્યો હતો કે જેટલા વૃક્ષો કાપવામાં આવશે તેની સામે એટલા જ નવા વૃક્ષો ઉગાડવામાં પણ આવશે.જ્યારે દિલ્હીમાં પ્રદૂષણ વચ્ચે સુપ્રીમમાં થયેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે દિલ્હીમાં દર કલાકે સરેરાશ પાંચ વૃક્ષો કાપવામાં આવે છે, દર વર્ષે આ આંકડો ૪૪ હજારથી વધુ રહે છે. જો આ જ રીતે વૃક્ષો કાપવામાં આવતા રહ્યા તો દિલ્હીમાં જે ગ્રીન કવર છે તેનો નાશ થઇ જશે. સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી કરીને દિલ્હી સરકારનો જવાબ માગ્યો હતો સાથે જ આ અંગે એક નિષ્ણાતોની કમિટી રચવાના પણ આદેશ આપ્યા હતા.