vadodara,તા.29
મધ્ય ગુજરાતની વિશ્વામિત્રી, ઓરસંગ, મહિ, સૂર્યા, જાબુઆ, એરણ અને નર્મદાના પાણીમાં ચોમાસામાં વહી આવતા મગરોની મોટી સંખ્યા માનવ વસાહતમાં પણ જોવા મળી રહી છે. છેલ્લા બે મહિનામાં વડોદરા, ખેડા, આણંદ અને નડિયાદના વિસ્તારોમાં 110 જેટલા મગરોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. છેલ્લા ચાર મહિનામાં વન વિભાગ દ્વારા નદી કાંઠા અને શહેરમાં પાણી ભરાયેલા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે.
110 મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે
આ બે મહિનામાં મગર દ્વારા ખેંચી જવામા આવતા સાત લોકોના મૃત્યુ નોંધાયા છે. આ અંગે વલ્લભ વિદ્યાનગરમાં મગર રેસ્ક્યુ ઓપરેશનમાં સક્રિય અને વન વિભાગ સાથે કાર્ય કરતા નેચર હેલ્પ ફાઉન્ડેશનના અલ્કેશ મુરલી જણાવે છે કે આ સિઝનમાં અમારી ટીમ દ્વારા 110 મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ વર્ષે લગભગ 1200 જેટલા મગરો મધ્ય ગુજરાતની નદીઓમાં ફરી રહ્યા છે. જે સામાન્ય કરતા વધારે છે.
મધ્ય ગુજરાતની નદીઓમાં 1200 મગરની વસતી
ખાસ તો વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી વધારે છે ત્યાં પણ તેમની સંખ્યા વધારે છે. આવા સમયે સવારના પહોરમાં નદી કિનારે કુદરતી હાજતે જતાં લોકો, માછીમારી કરવા નદીમાં જતા લોકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. છતાં પણ ઘણીવાર અજાણતા ભૂલથી નદીમાં માછીમારી કરતા લોકો મગરનો શિકાર બની રહ્યા છે.
ખાસ કરીને સવારના સમયે જ્યારે શાંતિ હોય અને એકલ દોકલ વ્યક્તિ હાજતે જતાં હોય અથવા તો નદી ઓળંગતા હોય ત્યારે મગરનો ખતરો વિશેષ રહે છે.
ચોમાસા દરમ્યાન મગરો વધુ સક્રિય
જ્યાં સુધી નદીમાં પાણી ના ઉતરે ત્યાં સુધી પાણીમાં ન જવાની સૂચના છતાં સેલ્ફી લેવા માટે પણ ઘણાં યુવાનો નદીઓમાં જાય છે. બીજું આ સમય મગર બ્રિડિંગ પણ કરતાં હોય છે. જેમાં માદા વધુ સક્રિય હોય છે. જે વધુ જોખમી છે.
મધ્ય ગુજરાતની દસ નદીઓના કિનારાના 1500 જેટલા ગામોમાં નદીઓ ઓળંગીને શાળાએ જતાં બાળકો, નદી ઓળંગીને ખેતરમાં કામ કરવા જતાં ખેડૂતો અને માછીમારી કરતાં માછીમારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ચોમાસા દરમ્યાન આ વિસ્તારોમાં મગરો વધુ સક્રિય છે.
આણંદ જિલ્લમાં દેવા અને મલાતજમાં પણ તળાવોમાં પાંચસો જેટલા નાના-મોટા મગરોનો વસવાટ છે પરંતુ અહીં બંધ તળાવ અને લોકજાગૃતિને કારણે કોઈ અનિચ્છનીય બનાવો બનતા નથી.