Gandhinagar,તા.૨
નવી શિક્ષણ નીતિનો અમલ શરુ થઈ ગયો છે પરંતુ ગુજરાતમાં કઈ સદીની શિક્ષણ પ્રથા ચાલી રહી છે તે સમજી શકાતું નથી. સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણનો વહીવટી સદંતર ખાડે ગયો છે. સત્તાવાર આંકડા સામે આવતા લાગી રહ્યું છે કે, શિક્ષણ મંત્રીના સઘળા દાવા પોકળ સાબિત થઈ શકે છે. રાજ્યમાં ૨૫૭૪ સરકારી સ્કૂલો ખંડેર હાલતમાં છે. ૭૫૯૯ સ્કૂલોની મકાન કાચી દીવાલો અને છતથી ઢંકાયેલા છે.
આજે પણ ૧૪૬૦૦ સ્કૂલો એક વર્ગખંડથી ચાલે છે. શાળા પ્રવેશોત્સવના તાયફા થાય છે અને ૧૦૦ ટકા નામાંકનના દાવા કરવામાં આવે છે પરંતુ ૧૦ લાખ વિદ્યાર્થીઓ સ્કૂલે ગયા જ નથી. ૧૬૦૬ સ્કૂલમાં એક જ શિક્ષક છે. સ્થિતિ એ છે કે ધોરણ-૩થી ધોરણ-૮ સુધીના ૮૧ ટકા વિદ્યાર્થીઓને ગુજરાતી વાંચતા-લખતાં આવડતું જ નથી. ૫૬૧૬ સ્કૂલ બંધ કરી દેવાઈ છે. ૮૬ સ્કૂલોમાં માત્ર પાંચથી દસ વિદ્યાર્થી છે. રાજ્યમાં ૨૦ હજાર વર્ગ ખંડોની અછત છે. ખેલ મહાકુંભની મોટા ઉપાડે વાતો થાય છે પરંતુ ૪૦૦૦ સ્કૂલો પાસે મેદાન જ નથી.
ગુજરાતી માતૃભાષાનું ગૌરવ અને અસ્મિતાની મોટી મોટી વાતો કરતી સરકાર ખુદ તેના બનાવેલા નિયમનું પાલન કરાવી શકતી નથી. મુંબઈ કે મહારાષ્ટ્રમાં જઈએ તો પ્રથમ ભાષા મરાઠીમાં બોર્ડ જોવા મળે છે. પંજાબમાં પંજાબી અને દક્ષિણમાં જે તે રાજ્યની ભાષામાં બોર્ડ અચૂક હોય છે, પરંતુ ગુજરાતમાં ગુજરાતી ભાષાની જ અવગણના કરવામાં આવે છે.
૨૦૨૨માં રાજ્યના સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે સરકારી કચેરીઓ, ખાનગી કે કેન્દ્રીય સંસ્થાઓ, શોપિંગ સેન્ટર, મોલ્સ, જાહેર સ્થળો, દુકાનો, મલ્ટીપ્લેક્સ અને મનોરંજનના સ્થળો એમ બધી જગ્યાએ લગાવેલા બોર્ડમાં નામ, સરનામું, સૂચના, માહિતી, દિશાનિર્દેશમાં અંગ્રેજી અને હિન્દીની સાથે ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવાનો આદેશ બહાર પાડ્યો હતો.