New Delhi, તા.5
બદનક્ષીના કેસમાં કેન્દ્રીય પ્રધાન એલ મુરુગનની અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે બુધવારે અવલોકન કર્યું હતું કે, રાજકારણમાં પ્રવેશ કરનાર વ્યક્તિએ તમામ પ્રકારની બિનજરૂરી અને અણછાજતી ટીપ્પણીનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ.
તેઓએ લોકો સમક્ષ લડાઈ લડવી જોઈએ. આજકાલ મહારાષ્ટ્રમાં એવું કહેવામાં આવે છે કે, જો તમારે રાજકારણમાં આવવું હોય તો તમારી પાસે ગેંડા જેવી ચામડી હોવી જોઈએ.
માહિતી અને પ્રસારણ રાજ્ય પ્રધાન મુરુગને મદ્રાસ હાઈકોર્ટના 5 સપ્ટેમ્બર, 2023ના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે તેમની સામેની માનહાનિની કાર્યવાહીને રદ કરવાનો ઈનકાર કર્યો હતો. ડિસેમ્બર, 2020માં એક પ્રેસ કોન્ફરન્સમાં તેમના કથિત બદનક્ષી ભર્યા નિવેદનો માટે ચેન્નાઈ સ્થિત મુરાસોલી ટ્રસ્ટે તેમની સામે માનહાનિની ફરિયાદ કરી હતી.
અગાઉ સપ્ટેમ્બર 2023માં સર્વોચ્ચ અદાલતે મુરુગન સામે ફોજદારી બદનક્ષીની કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો. જસ્ટિસ બી આર ગવાઈ અને કે વી વિશ્વનાથનની ખંડપીઠે બુધવારે આ કેસની સુનાવણી કરતાં મુરુગનના વકીલને પૂછ્યું હતું કે શું તમે એવું નિવેદન આપવા તૈયાર છો કે તમારો બદનક્ષી કરવાનો કોઈ ઈરાદો નહોતો?
ટ્રસ્ટ વતી હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે, હોદ્દો ધરાવતા વ્યક્તિઓએ જવાબદારીપૂર્વક વર્તન કરવું જોઈએ. તેઓ રાજકારણમાં નથી. જોકે ખંડપીઠે જણાવ્યું હતું કે મુક્ત વાણીના મુદ્દા, તમારે થોડો અવકાશ રાખવો જોઈએ. તમે રાજકારણમાં પ્રવેશ કરો છો, ત્યારે તમારે તમામ પ્રકારની બિનજરૂરી, અનુચિત ટીપ્પણીનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ.
અરજીકર્તા નિવેદન આપી રહ્યાં છે કે, તેમનો તમારી ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો. આ મુદ્દે ટ્રસ્ટના વકીલે સૂચનાઓ મેળવવા માટે ગુરુવાર સુધીનો સમય માંગ્યો હતો.