Maharashtra, તા.7
મહારાષ્ટ્રમાં તોતીંગ બહુમતી સાથે ચૂટાયેલી મહાયુતિ સરકારમાં મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીના શપથગ્રહણ થઇ ગયા હોવા છતાં હજુ મહત્વના પદ મામલે આંતરિક જંગ જારી રહ્યો છે. મહામહેનત બાદ મુખ્યમંત્રીપદનો દાવો જતો કરનારા શિવસેના નેતા એકનાથ શિંદે ગૃહમંત્રાલય મામલે બાંધછોડ કરવા કે નમતુ જોખવા તૈયાર ન થતા પ્રધાન મંડળની રચનામાં ઢીલ થઇ રહી છે.
માહિતગાર સૂત્રોએ કહ્યું છે કે શિવસેનાએ ગૃહ મંત્રાલય મેળવવાનો દાવો કર્યો જ છે અને તેમાં કોઇ બાંધછોડ નહીં કરવાનું સ્પષ્ટ કરી દીધું છે. ગૃહ મંત્રાલય ભાજપ પોતાની પાસે રાખવા માંગે છે. આ મહત્વપૂર્ણ પદ મામલે ખેંચતાણ વચ્ચે શિવસેનાના ધારાસભ્ય ભરત ગોગાવલેએ કહ્યું કે મહાયુતિ સરકારના ત્રણેય પક્ષો મંત્રાલયોની ફાળવણી મુદ્દે વાતચીત કરી રહ્યા છે.
તેઓએ કહ્યું કે ગત સરકારમાં દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે ગૃહમંત્રાલય તેમને જ સોંપવામાં આવ્યું હતું. ફડણવીસ મુખ્યમંત્રી છે અને નાયબ મુખ્યમંત્રી શિંદે છે ત્યારે ગત સરકાર જેવી વ્યવસ્થા કરીને આ પદ શિવસેનાને આપવું જોઇએ. જો કે, આ મામલે વાટાઘાટોનો દોર ચાલુ હોવાનો તેમણે દાવો કર્યો હતો.
રાયગઢથી ચૂંટાયેલા આ ધારાસભ્યએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમીત શાહ સમક્ષ પણ આ માંગ કરવામાં આવી હતી. આવતા બે દિવસમાં મંત્રાલયોની ફાળવણીની વાતચીત પુરી થઇ જશે અને આવતા સપ્તાહમાં પ્રધાન મંડળની રચના થઇ જવાની આશા છે.
એમ કહેવાય છે કે શિવસેના નેતા એકનાથ શિંદે વાસ્તવિકમાં નાયબ મુખ્યમંત્રી બનવા પણ તૈયાર નહતા. પરંતુ પાર્ટી નેતાઓએ સામૂહિક દબાણ કરીને તેમને મનાવ્યા હતા. હવે ગૃહ મંત્રાલયની માંગ પર અડગ છે. ગૃહમંત્રી હસ્તક સમગ્ર રાજ્યની પોલીસનો હવાલો રહેતો હોવાનું ઉલ્લેખનીય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ, શિવસેના તથા એનસીપીના મહાયુતિ ગઠબંધને ગત મહિને યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જોરદાર જીત હાંસલ કરી હતી. જંગી બહુમતી છતાં મુખ્યમંત્રીપદ માટે પેચ ફસાયો હતો. 10 દિવસે ફડણવીસના નામ પર સહમતિ બન્યા બાદ હવે પ્રધાન મંડળ મામલે ખેંચતાણ છે.