Maharashtra,તા.૧૨
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને એનસીપીના વડા અજિત પવાર આજે એનસીપી એસપીના વડા શરદ પવારને તેમના જન્મદિવસે મળ્યા હતા. આ અંગે શિવસેનાના વિધાનસભ્ય સંજય શિરસાટે કહ્યું કે, ’શરદ પવાર સાહેબ ક્યારેય કોઈ પાર્ટી સાથે જોડાયેલા નથી, તેમણે ઘણી વખત કોંગ્રેસ છોડી અને સાથે રહ્યા, તેથી ભવિષ્યમાં તેઓ સાથે આવે તેવી શક્યતા છે. એવું લાગે છે કે વાતચીત ચાલી રહી છે અને તમામ નેતાઓ એક સાથે આવી શકે છે.
રાજ્યમાં કેબિનેટ વિસ્તરણના પ્રશ્ન પર સંજય શિરસાટે કહ્યું કે, અજિત દાદાએ આજે કહ્યું હતું કે કેબિનેટ વિસ્તરણ થશે અને તે આજે રાત્રે કે કાલે મળનારી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની બેઠકમાં નક્કી કરવામાં આવશે.
વાસ્તવમાં એનસીપી ચીફ અજિત પવાર ગુરુવારે એસીપી એસપીના વડા અને તેમના કાકા શરદ પવારને મળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે તેમના સાંસદ પત્ની સુનેત્રા પવાર, એનસીપીના નેતા પ્રફુલ પટેલ અને છગન ભુજબળ સહિત અન્ય પાર્ટીના નેતાઓ પણ હાજર હતા. તમામ નેતાઓએ શરદ પવારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ બેઠક શરદ પવારના ૬ જનપદ નિવાસસ્થાન, દિલ્હી ખાતે થઈ હતી. આ પછી, મીડિયા સાથે વાત કરતા ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું કે તેમણે શરદ પવારને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન પારિવારિક વાતોની સાથે રાજકીય વાતો પણ થઈ હતી.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અજિત પવારની એનસીપીએ ૪૧ બેઠકો જીતી હતી. જ્યારે તેમના કાકા શરદ પવારની પાર્ટી એનસીપી એસપીને માત્ર ૧૦ બેઠકો મળી છે. વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો મહાયુતિ અને મહા વિકાસ આઘાડી ગઠબંધન વચ્ચે હતો.