Dhaka,તા.17
બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓ તેમની ગતિવિધિઓથી બંધ કરવાનું નામ નથી લઈ રહ્યાં. તેઓ હિંદુઓ પર સતત ઘાતક હુમલાઓ કરી રહ્યાં છે અને તેમનાં ઘરોને આગ લગાડી રહ્યાં છે. આ બધું હોવા છતાં મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની સરકાર આ અંગે મૌન સેવી રહી છે.
તાજેતરનો કિસ્સો પંચગઢ જિલ્લાનાં અટોવારી ઉપજિલ્લાના રાધાનગર યુનિયન હેઠળનાં ઘોરંદગા ગામનો છે, જ્યાં મુસ્લિમ કટ્ટરપંથીઓએ હિન્દુઓનાં ઘરોને આગ લગાવી દીધી હતી.
સોશિયલ મીડિયા એક્સ પર ’હિન્દુ વોઈસ’ હેન્ડલની પોસ્ટ અનુસાર, આ ઘટના 16 ડિસેમ્બરે રાત્રે લગભગ 8 વાગ્યે બની હતી. અહેવાલ મુજબ સ્થાનિક હિંદુઓ દ્વારા આગને બાદમાં બુઝાવી દેવામાં આવી હતી. પરંતુ, બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા હિંદુઓ પર હુમલા અને તેમનાં ઘર સળગાવવાનાં બનાવો સામાન્ય બની ગયાં છે.
બીજી આવી જ ઘટના 13 ડિસેમ્બરે બની હતી, જ્યારે અજ્ઞાત હુમલાખોરોએ છત્રગ્રામ જિલ્લાનાં અમતાલી ગામમાં એક હિન્દુના ઘર, ગૌશાળા અને ગાયોને જીવતી સળગાવી દીધી હતી. અહેવાલ મુજબ, અમતાલી ગામનાં રહેવાસી બાબુ કાંતિ ડે નામનાં હિન્દુ વ્યક્તિનાં ઘરને હુમલાખોરોએ નિશાન બનાવ્યું હતું.