Veraval, તા. 17
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ અને સામાજિક આર્થિક વિકાસમાં ગુજરાતને અગ્રેસર રાખવાના વિઝનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમુચિત ઉપયોગ કરવાની જાહેરાત રાજ્ય સરકારની તાજેતરની વાર્ષિક ચિંતન શિબિરમાં સોમનાથ ખાતે કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે ‘જે કહેવું તે કરવું’ની કાર્યસંસ્કૃતિ વિકસાવી છે તેનું તાદશ્ય ઉદાહરણ મુખ્યમંત્રીની તાજેતરની જ આ જાહેરાતને પગલે રાજ્ય સરકારે એઆઇ ટાસ્કફોર્સની રચનાથી પૂરું પાડ્યું છે. નાગરિકોને યોજનાઓ, સેવા-સુવિધાઓનો લાભ અસરકારક રીતે અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે ઝડપથી મળી રહે તે માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો વિનિયોગ એ હાલના સમયની માંગ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ દિશામાં આગળ વધતા ગિફ્ટ સિટીમાં આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે તાજેતરમાં માઈક્રોસોફ્ટ સાથે એમઓયુ કરેલા છે.
આ સેન્ટરમાં મશીન લર્નિંગ, કોગ્નિટિવ સર્વિસીસ અને બોટ સર્વિસ જેવી મુખ્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નોલોજીઓ વિવિધ ક્ષેત્રોના પાયલોટ પ્રોજેક્ટ્સ, સફળ પાયલોટ પ્રોજેક્ટ્સનું રોલઆઉટ અને વિવિધ તાલીમ કાર્યક્રમો યોજશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર નાગરિકોને અસરકારક, સમયબદ્ધ સેવા પહોંચાડવા, મૂળભૂત સ્તરે નવીનતાને પ્રોત્સાહન આપીને અને ઉત્પાદન, હેલ્થકેર અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ટેક્નોલોજીકલ પ્રગતિને વેગ આપી સરકાર અને ઉદ્યોગ એમ બંને માટે વિસ્તૃત સાથ સહકાર પ્રદાન કરશે.
રાજ્ય સરકારની સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબીરમાં મુખ્યમંત્રીએ સુશાસનની વ્યાપકતાથી સોશિયલ ચેલેન્જીસના ઉપાયો માટે એઆઇનો હોલીસ્ટિક એપ્રોચ સાથે વ્યૂહાત્મક ટેકનોલોજી તરીકે ઉપયોગ કરીને નિર્ણય પ્રક્રિયામાં ગતિ અને પારદર્શીતા લાવવા સાથે સેચ્યુરેશન એપ્રોચ પાર પાડવામાં એઆઇનો ઉપયોગ ઉપકારક બને તેવી આપેલી પ્રેરણાને પગલે હવે આ એઆઇ ટાસ્કફોર્સની રચના કરી છે.
રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ આ ટાસ્ફોર્સના અધ્યક્ષ તરીકે તેમજ સભ્યસચિવ તરીકે આઇસીટી અને ઈ-ગવર્નન્સના નાયબ નિયામક સેવાઓ આપશે.
પ્રારંભિક તબક્કે એક વર્ષના સમયગાળા માટે રચાયેલા આ ટાસ્કફોર્સની વાર્ષિક સમીક્ષા કરીને તેના સ્કોપ ઓફ વર્ક અને ફંક્શનીંગ વધુ સમય માટે લંબાવવા સાથે યોગ્ય સુધારાઓ પણ કરાશે.
આ ટાસ્કફોર્સના સભ્યોમાં ICT અને ઈ-ગવર્નન્સના ડિરેક્ટર, IIT ગાંધીનગરના ડિરેક્ટર અને IIITના ડિરેક્ટર ઉપરાંત ઇન્ડિયા A.I. મિશનના વરિષ્ઠ તજજ્ઞ તેમજ NIC, C-DAC, NVIDIA તથા ISPRITના વરિષ્ઠ તજજ્ઞોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે રચેલી આ એઆઇ ટાસ્કફોર્સના સ્કોપ ઓફ વર્કમાં જે બાબતો આવરી લેવામાં આવી છે તેમાં
– સ્ટ્રેટજિક પ્લાનિંગ: સર્વગ્રાહી એ.આઈ. રોડમેપ અને એના અમલીકરણ માટેની સ્ટ્રેટજીઝ તૈયાર કરવી.
– એ.આઈ. એડોપ્શન: સરકારી અને બિન-સરકારી ક્ષેત્રના વિવિધ સેક્ટર્સમાં એ.આઈ.ના ઉપયોગની ઓળખ કરવી
– પોલિસી એડવોકેસી: ઈન્ડિયા.એ.આઈ. મિશન સહિતના રાષ્ટ્રીય એ.આઈ. ફ્રેમવર્ક અને નીતિઓ સાથે સુસંગતતા સુનિશ્ચિત કરવી.
– કોલાબ્રેશન: શિક્ષણ વિદો અને ઔદ્યોગિક આગેવાનો, સ્ટાર્ટઅપ્સ અને ઈન્ટરનેશનલ એ.આઈ. ઈકોસિસ્ટમના સહભાગીઓ સાથે ભાગીદારી કરવી.
– કેપેસિટી બિલ્ડિંગ: ગુજરાતમાં એ.આઈ. લિટરસી, રિસોર્સ મોબિલાઈઝેશન અને સ્કીલ ડેવલપમેન્ટને વધુને વધુ પ્રોત્સાહિત કરવું.
– ડેટા સિક્યોરિટી: ડેટા સિક્યોરિટી સહિતની એ.આઈ. એડોપ્શન-સંબંધિત તમામ બાબતોને આવરી લેવી.
– મોનિટરિંગ એન્ડ ઈવોલ્યુશન: એ.આઈ. સોલ્યુશનના અમલીકરણનું નિરીક્ષણ, કોર્સ-કરેકશન માટે સલાહસૂચનો આપવાં અને નૈતિક તથા અસરકારક એ.આઈ. પ્રેક્ટિસિસ સુનિશ્ચિત કરવી.
– ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર: એ.આઈ. ટેક્નોલોજીથી સજ્જ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને સહાયક થવું તથા ડેટા સિક્યોરિટીની બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી.
– ગુજરાતની જરૂરિયાતો માટે ખાસ તૈયાર કરવામાં આવેલ એ.આઈ. મોડલની તાલીમ અને માર્ગદર્શન આપવું.
– એ.આઈ. ટેક્નોલોજીથી સુસજ્જ સ્ટેટ ડેટા સેન્ટર સહિતના એ.આઈ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે એક્સપર્ટ એ.આઈ. સલાહ પૂરી પાડવી વગેરે મહત્વ પૂર્ણ જવાબદારીઓ પણ આ ટાસ્કફોર્સ નિભાવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એઆઇ ટાસ્કફોર્સની રચનાને અનુમોદન આપ્યું છે અને DST દ્વારા આ એઆઇ ટાસ્કફોર્સની રચના સંદર્ભનો વિસ્તૃત ઠરાવ પણ બહાર પાડવામાં આવ્યો છે.