Anand,તા.24
આણંદના ૮૦ ફૂટ રોડ ઉપર મારૂતિ સદય કોમ્પ્લેક્સમાં આવેલી એરીસ ઓવરસીઝના માલિક સહિત ત્રણ શખ્સોએ નડિયાદમાં રહેતા અને રીટ્રાવેલો કન્સલ્ટિંગના બંને ભાગીદારો સાથે ગ્રાહકોને ન્યુઝીલેન્ડના વર્ક પરમીટ વિઝા અપાવવાના નામે રૂ.૧૦ લાખ મેળવી લઈ છેતરપિંડી આચરી હતી. આ અંગે આણંદ ટાઉન પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નડિયાદમાં રહેતા અને વિઝા કન્સલ્ટિંગ તરીકે કામ કરતા શિવ પ્રતાપ સોની શહેરના જ જલ્પેશભાઈ ઠક્કર સાથે રીટ્રાવેલો કન્સલ્ટિંગમાં ભાગીદાર છે. ગત એપ્રિલ મહિનામાં ચિરાગકુમાર અશ્વિનભાઈ પંચાલ (રહે. સુરત) અને પ્રિયંકાકુમારી શાંતિલાલ પટેલ (રહે. ભરૂચ) ન્યુઝીલેન્ડના વર્ક પરમીટ વિઝા માટે શિવ સોનીને મળ્યાં હતાં. બંનેના વિઝાના કામ માટે વ્યક્તિ દીઠ રૂ.૧૦ લાખ ફી નક્કી કરવામાં આવી હતી. જેથી જલ્પેશભાઈના મિત્ર અને આણંદના ૮૦ ફૂટ રોડ પર આવેલા મારૂતિ સદય કોમ્પ્લેક્સમાં આવેલી એરીસ ઓવરસીઝમાં વિઝાનું કામ કરતા દિવ્યેશ કિશોરભાઈ ગોહિલ (રહે. ત્રિવેણી વિશ્વ સોસાયટી, બાકરોલ)ને મળ્યા હતા. ત્યારે તેણે ઓછી ફી થી કામ કરવાની અને વ્યક્તિ દીઠ અલગથી રૂ.૨.૫૦ લાખ આપવાનું જણાવી એરીસ ઓવરસીઝના માલિક અમીતભાઈ ઘનશ્યામભાઈ પટેલ (રહે. કેયુર બંગલો, બાકરોલ) અને અન્ય કર્મચારી કૌશલ બટુક ચુડાસમા (રહે. મધુરમ પાર્ક સોસાયટી, આણંદ) સાથે મુલાકાત કરાવી હતી. તેમણે વિઝાના વ્યક્તિદીઠ રૂ.૭ લાખ નક્કી કરતા તેમણે કરાર કર્યો હતો. જેથી શિવ અને જલ્પેશે પ્રિયંકા પાસેથી રૂ.૫ લાખ અને ચિરાગ પાસેથી રૂ.૫.૫૦ લાખ લીધા હતા. બાદમાં એરીસ ઓવરસીઝમાં નાણાં ભરતા વિઝાની પ્રોસેસ શરૂ થઈ હતી. દરમિયાન તેમણે અમિત અને દિવ્યેશને કુલ રૂ. ૧૦ લાખ આપ્યા હતા. બાદમાં બંનેએ વિઝાની ઓરીજીનલ એપ્લીકેશન માંગતા અપશબ્દો બોલી ધમકી આપી હતી. જેથી બંને ગ્રાહકોના પાસપોર્ટના આધારે ન્યુઝીલેન્ડ વિઝા એમ્બેસીમાં તપાસ કરતા કોઈ એપ્લીકેશન મળી ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ અંગે શિવ સોનીએ અમિત પટેલ, કૌશલ ચુડાસમા અને દિવ્યેશ ગોહિલ સામે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.