Ahmedabad, તા.9
રાજકોટના વેપારીને રોકાણ કરાવવાના બહાને તેમના ડોક્યુમેન્ટનો દુરૂપયોગ કરી રૂ. 64 કરોડની લોન લેવાના કેસમાં અમદાવાદ પોલીસે ઠગ ત્રિપુટી પૈકી બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જય હર્ષદ ચોટલિયા અને મિતેશ સંઘવીની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે. વેપારીના ડોક્યુમેન્ટના આધારે લેવાયેલી લોન ભરપાઈ નહીં થતાં બેંકે વેપારીની મિલકત ટાંચમાં લેવાની કવાયત શરૂ કરી.
ત્યારે વેપારીને જાણ થઈ કે તેના નામે લોન લેવાઈ ગઈ છે. જેને પગલે વેપારીએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. બન્ને CAની પૂછપરછમાં બેંકના કર્મચારીઓની પણ સંડોવણી છતી થાય તેવી સંભાવના છે.
પોતાના માણસો પર આંધળો વિશ્વાસ કરવા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સાની જાણવા મળતી વિગતો એવી છે કે, રાજકોટના વેપારી કેશુભાઈ બોદરને તેમના રોકાણ પર ઊંચુ વળતર અપાવવાની લાલચ આપીને તેમના CA જય ચોટલિયા અને તેના અમદાવાદના CA મિત્ર મિતેશ સંઘવીએ ટર્નારેસ્ટ રિસોર્સીસ પ્રા. લિ.માં રોકાણ કરાવ્યું હતું.
આ કંપની કોલસાના ધંધામાં રોકાણ કરીને ઊંચુ વળતર મેળવશે તેવી લાલચ કેશુભાઈને આપવામાં આવી હતી. જુદા જુદા કરાર માટે વેપારના ડોક્યુમેન્ટસ પણ મેળવી લેવામાં આવ્યા હતા અને તે ડોક્યુમેન્ટને આધારે જય ચોટલિયા અને મિતેશ સંઘવી તથા તેમના એક CA મિત્ર મનિષ ડાંગીએ મોટો કાંડ કર્યો હતો.
આ ત્રિપુટીએ કાલુપુર કોમર્શિયલ કો.ઓ. બેકમાંથી વેપારી કેશુભાઈ બોદરના ડીડ ઓફ ગેરંટી તરીકે કેવાયસીના દસ્તાવેજો અને નોમિનલ સભાસદની અરજીમાં ખોટી સહીઓ કરી તેમને જામીનદાર બનાવી રૂ. 64 કરોડની લોન કેશુભાઈની જાણ બહાર લઈ લીધી હતી. જ્યારે આ લોન નહીં ભરાતાં બેંકે તપાસ શરૂ કરી અને જામીનદાર કેશુભાઈની મિલકતો ટાંચમાં લેવાની કવાયત કરી ત્યારે કેશુભાઈને આ બાબતે જાણ થઈ હતી.
જેને પગલે કેશુભાઈએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. ઈન્ચાર્જ ડીસીપી જયરાજસિંહ વાળાની ટીમે તેની તપાસ શરૂ કરી હતી. જેમાં આ ભાંડો ફૂટ્યો હતો. જેમાં જય ચોટલિયા કેશુભાઈનો CA છે જેથી તે અમદાવાદના CA મિતેશ સંઘવી અને મનિષ ડાંગીના સંપર્કમાં હતો. તેણે CA મિત્રો સાથે મળીને આ કંપની શરૂ કરી હતી અને તેઓ કોલસાનો વેપાર કરતા હતા.
તેમણે આ કાંડ કરવાનું નક્કી કરી કેશુભાઈના ડોક્યુમેન્ટને આધારે તેમને જામીનદાર બનાવી રૂ. 64 કરોડની લોન લીધી હતી. પોલીસે ઠગાઈ કેસમાં જય ચોટલિયાની ધરપકડ કરીને કોર્ટમાંથી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
જ્યારે મિતેશ સંઘવીના રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે. આ ઠગાઈ કેસમાં બેંકના કર્મચારીઓની સંડોવણી છે કે નહીં અને આરોપીઓએ 64 કરોડની ધિરાણનું શું કર્યું છે. તેમજ અન્ય કેટલા રોકાણકારો સાથે છેતરપિંડી કરી છે તે સહિતના મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.
લોન કાંડના આરોપી
► જય હર્ષદકુમાર ચોટલિયા (રહે. સ્વાતિ ક્રિમશન એન્ડ ફ્લોવર, શિલજ, અમદાવાદ)
► મિતેશ કિરીટકુમાર સંઘવી (રહે. જનતા સોસાયટી, મહિલા કોલેજ પાસે, રાજકોટ)
► મનિષ ગોવિંદભાઇ ડાંગી (અમરનાથ વિલાસ, સોલા-ભાડજ રોડ, અમદાવાદ)