New Delhi,તા.૯
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો હવે મતદારોને આકર્ષવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. નોંધનિય છે કે, દિલ્હીમાં આગામી ૫મી ફેબ્રુઆરીએ મતદાન યોજાનાર છે અને ૮મીએ પરિણામ જાહેર થશે. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, ભાજપ પોતાના ચૂંટણી ઢંઢેરામાં મફત વીજળીની જાહેરાત કરી શકે છે. આ સાથે ભારતીય જનતા પાર્ટી મંદિરો અને ગુરુદ્વારા જેવા ધાર્મિક સ્થળો પર ૫૦૦ યુનિટ સુધી મફત વીજળી આપવાનું પણ આયોજન કરી રહી છે.
આવતા મહિને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે કમર કસી ગઈ છે. એવા સમાચાર છે કે ભાજપ દિલ્હીના લોકો માટે મફત વીજળીની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ દિલ્હીના લોકો માટે ૩૦૦ યુનિટ સુધી મફત વીજળીની જાહેરાત કરી શકે છે. ભાજપ મહિલાઓ માટે લાડલી બહેના યોજના જેવી વિશેષ યોજનાની પણ જાહેરાત કરી શકે છે. આ સાથે ભાજપ પાઇપલાઇન દ્વારા મફત શુદ્ધ પાણી આપવાનું વચન પણ આપી શકે છે.
દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી લગભગ એક મહિનાથી ચૂંટણી વચનો અને જાહેરાતો કરી રહી છે. પાર્ટીએ મહિલાઓથી લઈને વૃદ્ધો, ઓટો ડ્રાઈવરો અને પૂજારી-ગ્રંથીઓ સુધી દરેકને મદદ કરવા માટે મોટી યોજનાઓની જાહેરાત કરી છે. જેમાં વૃદ્ધો માટે સંજીવની સ્કીમ, મહિલાઓ ચૂંટણી જીતે તો ૨૧૦૦ રૂપિયા, ઓટો ડ્રાઇવરો માટે ૧૦ લાખ રૂપિયાનો વીમો અને પૂજારીઓ અને ગ્રંથીઓ માટે ૧૮,૦૦૦ રૂપિયાના પગારનું વચન સામેલ છે.
કર્ણાટક ચૂંટણીની જેમ દિલ્હીમાં પણ કોંગ્રેસે પાંચ ગેરંટી આપવાની તૈયારી કરી છે. પાર્ટી શ્રેણીબદ્ધ જાહેરાતો કરી રહી છે. રાજસ્થાનની તર્જ પર કોંગ્રેસે પણ દિલ્હીમાં ચિરંજીવી યોજનાની જેમ આરોગ્ય ક્ષેત્રે જીવન રક્ષા યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ કોંગ્રેસે ૨૫ લાખ રૂપિયાના સ્વાસ્થ્ય વીમાનું વચન આપ્યું છે. દિલ્હીની ચૂંટણીમાં કોંગ્રેસ જે પાંચ ગેરંટી આપવા જઈ રહી છે તેમાં પ્યારી દીદી યોજના (મહિલા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર), જીવન રક્ષા યોજના (આરોગ્ય વીમો), યુવાનોને નોકરીની ગેરંટી, મજૂર વર્ગ આવક ગેરંટી યોજના અને બધા માટે રાશન યોજનાની જાહેરાતનો સમાવેશ થાય છે. પણ કરી શકે છે.
આ સાથે જ કોંગ્રેસે મહિલાઓ માટે પ્યારી દીદી યોજનાનું વચન પણ આપ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે, તે કર્ણાટકની જેમ દિલ્હીમાં પણ મહિલાઓને લાભ આપશે. દિલ્હીમાં સત્તામાં આવ્યા બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં આ યોજના લાગુ કરવામાં આવશે. કર્ણાટકમાં કોંગ્રેસે આ મોડેલ પર મહિલાઓ માટે ગૃહ લક્ષ્મી યોજના લાગુ કરી છે. કર્ણાટકના ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે કહ્યું કે, અમે ગૃહ જ્યોતિ અને ગૃહ લક્ષ્મીની ગેરંટી પૂરી કરી છે. કર્ણાટકમાં મહિલાઓને ૨,૦૦૦ રૂપિયા મળી રહ્યા છે. તેઓ બસમાં મફત મુસાફરી કરી રહ્યા છે અને મફત રાશન મેળવી રહ્યા છે. અમે બેરોજગાર લોકોને ૩,૦૦૦ રૂપિયા આપી રહ્યા છીએ. કુલ ૧ કરોડ ૨૨ લાખ લોકોને લાભ મળી રહ્યો છે. કોંગ્રેસ જ્યાં પણ અને ગમે તે વચન આપે છે તે હંમેશા તેને પૂર્ણ કરે છે. બાકીની ગેરંટી અમે પછીથી જાહેર કરીશું.
નોંધનિય છે કે, ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીમાં કોંગ્રેસની હાર થઈ છે. કોંગ્રેસ ૨૦૧૫ અને ૨૦૨૦માં ખાતું પણ ખોલાવી શકી નથી. કોંગ્રેસે રાષ્ટ્રીય રાજધાનીમાં ૧૯૯૮ થી ૨૦૧૩ સુધી ૧૫ વર્ષ સુધી સત્તા સંભાળી હતી અને શીલા દીક્ષિત મુખ્ય પ્રધાન હતા.