Jamnagar ,તા.15
જામનગરની અદાલતના પરિસરમાં વકીલ મંડળની ઓફિસમાં જ સોમવારે સાંજે બે વકીલો વચ્ચે મોબાઈલ ફોન તોડી નાખવાનો શક વહેમ રાખીને તકરાર થઈ હતી, અને 76 વર્ષના એક બુઝુર્ગ એડવોકેટ ઉપર અન્ય વકીલે હુમલો કરી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં ભારે ચકચાર જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં જામનો ડેલો વિસ્તારમાં રહેતા અને વકીલાત તરીકેનો વ્યવસાય કરતા નૂદ્દીનભાઈ ફિદાઅલી કાદીયાણી નામના 76 વર્ષના એડવોકેટ ગત સોમવારે સાંજે 6.00 વાગ્યાના અરસામાં વકીલ મંડળની ઓફિસમાં બેઠા હતા.
જે દરમિયાન આસિફભાઇ જીકરભાઈ શેરજી નામના અન્ય એક એડવોકેટ તેઓની પાસે આવ્યા હતા, અને તમે મારો મોબાઇલ ફોન શા માટે તોડી નાખ્યો છે, તેમ કહી તકરાર કરી હતી.
જેમાં ફરિયાદી નુરુદ્દીનભાઈએ કહ્યું હતું કે મેં તમારો મોબાઈલ ફોન તોડ્યો નથી. જેથી તેઓ ઉસ્કેરાયા રહ્યા હતા, અને તેઓએ નુરુદ્દીનભાઈ નામના બુઝુર્ગ વકીલ ઉપર હુમલો કરી દીધો હતો, અને તેઓને ગાળો ભાંડી જપાજપી કરી છાતીના ભાગે ઢીકા માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ વેળાએ અન્ય વકિલોએ બંનેને છોડાવ્યા હતા. પરંતુ સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને વકીલ નુરુદ્દીનભાઈની ફરિયાદના આધારે તેઓ પર હુમલો કરવા અંગે આસિફ જીકરભાઈ શેરજી નામના એડવોકેટ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવે જામનગર બાર એસોસિએશનમાં ભારે ચકચાર જગાવી છે.