મ્યાંમારના મ્યાવાડી ક્ષેત્રનું સાઇબર અપરાધના ગઢ રૂપે ઉભરવું ભારત માટે ચિંતાની વાત છે. ત્યાંથી સાઇબર અપરાધી ઓડિયો/વીડિયો કોલ કરીને ભારતવાસીઓને ચૂનો તો લગાવી જ રહ્યા છે, તેઓ કેટલાય નાગરિકોને નોકરીની લાલચ આપીને તેમનું શોષણ પણ કરી રહ્યા છે. આ મામલે ત્યાં કેટલાય ડઝન ભારતીયોને સાઇબર અપરાધીઓના સકંજામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ લોકો ‘સારી નોકરી’ મેળવવા માટે ‘વિદેશ’ ગયા હતા, જ્યાં તેમનો સામનો ખતરનાક સાઇબર અપરાધીઓ સાથે થયો. તેમણે તેમને સાઇબર અપરાધના ધંધામાં લગાડી દીધા હતા. જેમણે વિરોધ કર્યો, તેમની સતામણી થઈ. સાઇબર અપરાધીઓની આ ટોળકીઓ ચીની ઠગો ચલાવી રહ્યા છે. ચીની લોકો ભારતીય ભાષાઓમાં પારંગત નથી હોતા, એવામાં ચીની ઠગોએ પહેલાં પાકિસ્તાનીઓની ખૂબ ભરતી કરી હતી. પાકિસ્તાનના લોકો હિંદી આસાનીથી સમજી શકે છે. જ્યારે તેઓ નકલી પોલીસ બનીને વીડિયો કોલ કરે છે તો તેમના પર જલ્દી શંકા નથી જતી અને લોકો તેમની જાળમાં ફસાઈ જાય છે.
જોકે પાકિસ્તાનીઓ અમુક શબ્દોના ઉચ્ચારણમાં પકડાઈ જાય છે. ચીની સાઇબર અપરાધીઓ આ વાત સમજી ચૂક્યા છે. તેથી તેઓ ભારતીય યુવાઓની ભરતી કરવા લાગ્યા છે! જે લોકોને સાઇબર અપરાધીઓની ચુંગાલમાંથી કાઢવામાં આવ્યા, તેમનો સંબંધ ગુજરાત, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તેલંગણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, કર્ણાટક જેવા રાજ્યો સાથે છે. સાઇબર ઠગાઈ સંબંધી કોલ્સની ભાષાઓ પર ધ્યાન આપીએ તો છેલ્લા કેટલાક મહિનામાં પ્રાદેશિક ભાષાઓનો પ્રયોગ વધ્યો છે. તેનું કારણ એ હતું કે હવે સાઇબર ઠગ એ લોકોને નોકરીની લાલચ આપીને બોલાવી રહ્યા છે, જેમને હિંદી ઉપરાંત બીજી કોઈ સ્થાનિક ભાષા પણ આવડતી હોય. આ રીતે તેમનું કામ વધારે આસાન થઈ જાય છે. સામાન્ય રીતે પાકિસ્તાની સાઇબર અપરાધી પંજાબ, સિંધ અને કેપીકેના હોય છે, જેમને આપણી મોટાભાગની પ્રાદેશિક ભાષાઓનું જ્ઞાન નથી હોતું. એટલે ચીની ઠગોના નિશાના પર ભારતીય યુવાઓ છે. તેમને મ્યાંમાર ઉપરાંત કંબોડિયામાં એવી ટોળકીઓ પોતાની જાળમાં ફસાવી ચૂકી છે. મોટી કમાણીની લાલચ આપીને બોલાવવામાં આવેલા આ ભારતીય યુવકો જ્યારે ત્યાં પહોંચે છે તો તેમના પગ તળેથી જમીન ખસી જાય છે. તેમણે વિભિન્ન રીતોથી પોતાના જ દેશવાસીઓને દગો કરવાનો હોય છે. જો કોઈ એવું કરવાનો ઇનકાર કરે તો તેમને ભોજન નથી આપવામાં આવતું, તેમને મારવામાં આવે એ અલગ. સાઇબર અપરાધીઓની આ ટોળકીઓ વિરુદ્ઘ સંબંધિત દેશોની સરકારોએ કાર્યવાહી કરવી જોઇએ. તેની સાથે જ ભારતીય યુવકોએ વિદેશમાં ભારે કમાણીની લાલચમાં ન આવવું જોઇએ. પહેલાં પૂરતી તપાસ કરવી જોઇએ. જે કંપનીમાં નોકરીનો વાયદો કરાઈ રહ્યો છે, તેના વિશે ઓનલાઇન માહિતી ભેગી કરવી જોઇએ. જો કોઈ કંપનીનો પ્રતિનિધિ બધું જ સારું-સારું કહેવા લાગે, જલ્દી ધનવાન બનવાનો વાયદો કરે, બધી આર્થિક સમસ્યાઓ દૂર કરી દેવાની લાલચ આપે તો તેને ખતરાની ઘંટડી સમજો. એવું હોય તો એ કંપનીઓ પોતાના જ દેશના નાગરિકોનું ભલું કેમ નથી કરી દેતી, જ્યાં તેમની ઓફિસો છે? તેને ભારતથી જ લોકો શું કામ જોઇએ? સ્પષ્ટ છે કે આ એક જાળ બિછાવેલી છે, જેમાં જે ફસાશે, તે નુક્સાનમાં રહેશે.