સુભાષિતોનાં વિશ્વમાં અન્યોક્તિનાં સુભાષિતોનો એક આગવો મિજાજ-આગવો અંદાજ છે. આ પ્રકારનાં સુભાષિતો પોતાની કથનીય બાબતને કોઈ અન્ય વસ્તુ-વ્યક્તિ વગેરેનાં માધ્યમે અસરકારકપણે પ્રસ્તુત કરે. આવું એક વિખ્યાત સંસ્કૃત ભાષામાં આ છે કે
કોઈ મહાનુભાવ વ્યક્તિ સૃષ્ટિ પરથી ચિરવિદાય લે ત્યારે ખોટ-નુકસાન એ મહાનુભાવો નહિ, સૃષ્ટિને થતું હોય છે. આ બાબત સમજાવવા સુભાષિત મસ્ત પ્રસ્તુતિ કરે છે કે હંસો દુનિયાના અન્ય પ્રદેશો શોભાવવા જ્યારે સરોવર છોડીને ચાલ્યા જાય છે ત્યારે નુકસાન સરોવરને થાય છે, હંસને નહિ. કેમ કે હંસો જ્યાં જશે તે પ્રદેશને શોભા બક્ષશે, જ્યારે સરોવર હંસ વિના વિલખું-શોભાવિહીન થઈ જશે. અમારે આંગળી મૂકીને એ દર્શાવવું છે કે આ અન્યોક્તિશ્લોકમાં હંસને કેવું માન-મરતબાભર્યું સ્થાન અપાયું છે ! માટે જ અમે ગત લેખમાં જણાવ્યું હતું કે હંસ ગ્રન્થકારો-કવિઓ-ચિંતકો માટે પ્રિય પક્ષી છે- માનાર્હ પક્ષી છે.
હંસની આ મહત્તાનું કારણ એની કેટલીક મૌલિક વિશેષતાઓ છે. એ પૈકી ચાર મુખ્ય વિશેષતાઓ આપણે ગત લેખથી વિચારી રહ્યા છીએ. એમાં આજે વિચારીશું ત્રીજા-ચોથા ક્રમાંકની વિશેષતાઓ.
(૩) હંસ પાસે અદ્ભુત વિવેક હોય છે :- સંસ્કૃત ભાષાનુસાર ‘વિવેક’ શબ્દનો અર્થ થાય છે વિભાગીકરણ. સારું-નરસું જ્યાં મિશ્ર થઈ ગયું ત્યાં સારાં અને નરસા વચ્ચે ભેદ કરી સારાને સ્વીકારવું-સાર તારવી લેવો એનું નામ છે વિવેક. આ વિભાગીકરણ દ્વારા સાર ગ્રહણ કરવાની શક્તિ હંસને એક બાબતમાં જન્મજાત બક્ષિસરૂપે મળી છે. એનાથી જ હંસ વિવેકનો પર્યાય કે પ્રતીક બની ગયો છે. એ બાબત છે નીર-ક્ષીરવિવેક. કોઈ અતિ વિશિષ્ટ ઘટનાને બાદ કરતાં આવું વલણ વિવેકભર્યું ન ગણાય. ત્યારે ખૂબ શાંત ચિત્તે નરસી બાબતનું નિવારણ કરવું તે વિવેક કહેવાય. આવા વિવેકપૂર્ણ અભિગમથી અનિષ્ટનું નિવારણ કરનાર પુણ્યાત્માનો અદ્ભુત કહી શકાય તેવો પ્રસંગ જાણવો છે ? તો યાદ કરીએ ગત લેખથી જેમની સત્ય ઘટનાઓ આવરી લેવાનો ઉપક્રમ અપનાવ્યો છે તે વડોદરાના દિવંગત પુણ્યાત્મા જે. એમ. શાહને.
જયંતિભાઈ ચુસ્ત જૈન હોવાથી એમના ઘરમાં કંદમૂલનો સખત વિરોધ હતો. કંદમૂળ કદી એમનાં ઘરે આવી જ ન શકે. કારણ કે જૈન દર્શનની વાસ્તવિક નક્કર માન્યતા મુજબ કંદમૂળમાં અનંત જીવો હોવાથી એનાં ભક્ષણમાં અનંત જીવોની હિંસાનું પાપ લાગે. માટે કોઈ પણ ચુસ્ત જૈનના ઘરમાં અને જીવનમાં કંદમૂલ ભોજનને સ્થાન હોય જ નહિ. જયંતિભાઈના ચુસ્ત જૈન ઘરમાં પણ આ પ્રણાલિકા જ હતી.
પરંતુ એમના પુત્રવધૂ ઉષાબેનને એવા વિચારો આવી જતા કે ‘સસરાજી કંદમૂળ ન વાપરે તે એમનો નિયમ. પણ મારે ક્યારેક વાપરવું હોય તો એમાં શું વાંધો ? રોજ કંદમૂળ વાપરવાની તો મારે ય ઈચ્છા નથી.’ પિતૃ પક્ષનું અલગ ઘડતર અને વિશેષ તો યુવાન વય: એટલે આવો સ્વતંત્ર વિચાર એમને આવ્યો. છતાં મર્યાદા અને શરમ જેવાં તત્વ હતાં. એટલે ઉષાબેને એમ વિચાર્યું કે સસરાજીને જરા ય ખબર ન પડે તે રીતે એક વાર આ શોખ પૂર્ણ કરવો.
એ માટે એમણે ઘરના એક સમવયસ્ક સ્વજનને સાથે રાખ્યાં. પુરુષવર્ગ ધંધાર્થે નીકળી જાય અને સસરાજી જમીને ઉપરના મજલાની રૂમમાં જતા રહે પછી આ પ્લાન અમલમાં લેવાનો એ બન્નેએ નિર્ણય કર્યો. જયંતિભાઈ એટલા નિયમિત-શિસ્તબદ્ધ હતા કે ક્યારે ય સાંજના ભોજનસમય પૂર્વે નીચે ન આવે. પણ… ઉષાબેનના કમનસીબે (ખરેખર તો સદ્નસીબે) જે દિવસે ભોજાઈ-નણંદે કંદમૂળ શોખનો પ્લાન અમલમાં લીધો તે દિવસે અચાનક ઉપરના મજલે ગયેલ જયંતિભાઈ અર્ધા કલાકમાં કોઈ કાર્યવશ નીચે રસોડામાં આવ્યા. કંદમૂળ આરોગતા પુત્રવધૂ-પુત્રીને જોઈ એ સ્તબ્ધ થઈ ગયા. એમનાથી વધુ સ્તબ્ધતા અને આઘાત પુત્રવધૂ-પુત્રીને લાગ્યો ! કેમ કે આવું બનવાની કોઈ ધારણા જ ન હતી. એ ભય અનુભવી રહ્યા કે હમણાં જયંતિભાઈનો પુણ્યપ્રકોપ દુર્વાસાઋષિના ક્રોધની જેમ ફાટી નીકળશે.
એક જ ક્ષણ… અને સ્તબ્ધ જયંતિભાઈ એક અક્ષર બોલ્યા વિના ઉપર ચડી ગયા. બન્નેએ રડતી આંખે-ફફડતા હૈયે અધૂરું કંદમૂળ ભોજન પુરું તો કર્યું. પરંતુ મન પર મણ-મણનો બોજ વ્યાપી ગયો. સાંજ પડી. રાત થઈ. પરંતુ જયંતિભાઈએ ઘરના અન્ય કોઈ સભ્ય સાથે આ ઘટનાની ન ચર્ચા કરી, ન બીજી રીતે આક્રોશ વ્યક્ત કર્યો. બીજા દિવસે સવારે નવકારશી (સવારના નાસ્તા) માટે એ ઉપરથી નીચે ન આવ્યા. સમય ખૂબ ગયો. એથી ઉષાબેન એમને બોલાવવા ઉપર ગયા. તો કહે : “આજે મારે ઉપવાસ છે. મારાં ઘરમાં આ ઘટના બની. એટલે પ્રાયશ્ચિત મારે કરવાનું છે.” ઘણું સમજાવ્યા. પણ ન માન્યા. શરમિંદા બની નીચે ઉતરી ગયેલ ઉષાબેનને આ ઘટનાએ એવી ચોટ લગાવી કે એમણે આજીવન કંદમૂળ ત્યાગ કર્યો ! આજે દાયકાઓ પછી ઉષાબેન ધર્મ-આરાધના માર્ગે ખુબ આગળ વધ્યા છે. ઉપધાનાદિ આરાધનાઓ એમણે અમારી નિશ્રામાં કરી છે, તો અમારી પાસે ભવઆલોચના પણ એમણે લીધી છે. કિંતુ ધર્મ તરફ વળવાની પ્રક્રિયાનાં મંડાણ એમનાં જીવનમાં આ ઘટનાથી વિશેષરૂપે થયા.
કલ્પના કરો કે ઘરની મર્યાદા તોડતી ઉપરોક્ત ઘટનામાં જયંતિભાઈએ આવેશ-ક્રોધ વગેરે હાથવગા હથિયારો અજમાવ્યા હોત તો ? તો ઉષાબેનમાં જે આ સમ્યક્ પરિવર્તન આવ્યું તે ન આવ્યું હોત અને સંકલેશ-મનદુ:ખ વધી ગયા હોત. આવું કાંઈ ન બન્યું એનું કારણ જયંતિભાઈનો વિવેક હતો કે જે હંસની એક આગવી વિશેષતારૂપ છે…
(૪) હંસ માનસરોવરમાં મહાલે છે : હિમાલયની ગિરિમાળાઓ વચ્ચે આવેલ માનસરોવર સૃષ્ટિનું એવું શાંત-શીતલ-પ્રકૃતિરમ્ય સ્થાન છે કે જે અન્ય સ્થાનો-સરોવરો કરતાં એને અલગ-અદ્ભુત વિશેષતા બક્ષે. રાજહંસો આ માનસરોવરમાં મહાલતા હોય છે. હંસો-રાજહંસો કદી છિલ્લરમાં-નાના નાના ખાબોચિયામાં ન રમે. એજ રીતે જેઓ હંસ જેવું ઉત્તમ વ્યક્તિત્વ ધરાવે છે તેઓ જીવનમાં આવતી આસમાની સુલતાનીઓ-કસોટીઓ-મુસીબતો સામે દેવ-ગુરૂ-ધર્મની નિતાંત શુદ્ધ શ્રદ્ધાના માનસરોવરમાં મહાલે, અશ્રદ્ધાના છિલ્લરમાં નહિ. ક્યાંક છિછરૂ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓને એવું બોલતા સાંભળીએ છીએ કે “મેં આટલી પ્રભુભક્તિ કરી, ધર્મ કર્યો. છતાં મને આવી તકલીફ આવી. તો ભગવાને મારૂં ધ્યાન શું રાખ્યું ? ભક્તિ કર્યાનો કોઈ અર્થ નથી.” આ શબ્દો અશ્રદ્ધાના દ્યોતક છે. હકીકત એ છે કે આવી આકાંક્ષાથી ઉપર ઊઠી પરિપકવ ધર્મી તરીકે યોગ્યતા કેળવી ધર્મસાધના કરવી અને તકલીફ આવે ત્યારે આર્તધ્યાનમાં-હાયવોયાં ન જતા પૂર્ણ શ્રદ્ધાથી ધર્મનાં શરણે જવું. પૂર્વોક્ત જયંતિભાઈમાં આ રીતે શ્રદ્ધાના માનસરોવરમાં મહાલવાનો અભિગમ કેવો મસ્ત હતો તે એમના આ અદ્ભુત પ્રસંગ દ્વારા નિહાળીએ:
તેઓ પૂના હતા અને એમના ધર્મપત્નીને ગોધરામાં પ્રસુતિ હતી. ગર્ભકાળના છેલ્લા દિવસો હતા અને અચાનક બાળક ગર્ભમાં જ મૃત્યુ પામી ગયું. એ યુગમાં વિજ્ઞાન આજના જેવું ‘એડવાન્સ’ ન હતું. એથી મૃત બાળકની ‘ડિલીવરી’ કરાવી માતાને બચાવવી લગભગ અશક્ય વાત હતી. કોઈ ઉપાય સૂઝતો ન હતો. ધર્મપત્ની હોસ્પિટલમાં હતા. સ્વજનો ચિંતાતુર હતા. કેમ કે ડોકટરોએ કહ્યું હતું કે “સમય જશે તેમ તેમ મૃત બાલકનાં કારણે શરીરમાં ઝેર ફેલાતું જશે. માતાનો બચાવ અશક્ય છે.”
જયંતિભાઈ પૂનાથી નીકળી ગયા હતા. ગોધરા આવતાંવેંત હોસ્પિટલબેડ રહેલ ધર્મપત્નીનો હાથ પોતાના હાથમાં લીધો અને પૂર્ણ શ્રદ્ધાથી જૈન જગતના સુપ્રસિદ્ધ બૃહત્શાંતિસ્તોત્રનો પાઠ બંધ આંખે તન્મયભાવે કરવા માંડયો. કેટલોક સમય થયો અને અચાનક ધર્મપત્ની બાલબાલ બચી ગયા ! જયંતિભાઈની નિર્મલ શ્રદ્ધાનો આ ચમત્કાર હતો.
અહીં સમજવાની ખાસ વાત એ છે કે માત્ર ભૌતિક લાલસા પોષતા મંતર-જંતરને અમે ક્યાં ય પુરસ્કૃત નથી કરતા. બૃહત્શાંતિ એ સ્તરનું સ્તોત્ર નથી. એ તો શુદ્ધ પ્રભુભક્તિનાં માધ્યમે શાંતિ પ્રસરાવતું સાત્ત્વિક સ્તોત્ર છે કે જેને પૂર્વાચાર્ય ભગવંતોએ પ્રતિક્રમણ જેવાં અનુષ્ઠાનમાં સ્થાન આપ્યું છે. આવા સાત્ત્વિક ઉપાયો પરની શ્રદ્ધાને અમે શ્રદ્ધાનું માનસરોવર કહીએ છીએ. આ માનસરોવરમાં જંયતિભાઈ જેવા રાજહંસ આપણે બનીએ.