Nagpur ,તા.૨૨
૧૭ માર્ચે નાગપુર વિસ્તારમાં થયેલા રમખાણો બાદ સરકારે પંચનામા અને વળતરની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પંચનામા રિપોર્ટ મુજબ, રમખાણોમાં કુલ ૬૨ વાહનોને નુકસાન થયું હતું, જેમાં ૩૬ કાર, ૨૨ ટુ-વ્હીલર, ૨ ક્રેન અને ૨ થ્રી-વ્હીલરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક ઘરને પણ નુકસાન થયું હતું. મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી અને નાગપુરના પ્રભારી મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ પંચનામા શરૂ કરવાનો આદેશ આપ્યો હતો, જેના પગલે નાગપુર જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રક્રિયા અમલમાં મૂકી.
નાગપુરના જિલ્લા વહીવટીતંત્રે પણ વળતર વિતરણની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને જેમના વાહનો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા છે તેમને ૫૦,૦૦૦ નું વળતર મળશે. આ ઉપરાંત, જે વાહનોને ઓછું નુકસાન થયું છે તેમના માટે ? ૧૦,૦૦૦ નું વળતર નક્કી કરવામાં આવ્યું છે. જેમણે પહેલાથી જ વીમા લાભો મેળવી લીધા છે તેમને વળતર આપવામાં આવશે નહીં. રમખાણો દરમિયાન જેમની મિલકતોને નુકસાન થયું હતું તેમના પંચનામા તૈયાર કરવાની પ્રક્રિયા હવે શરૂ કરવામાં આવી છે. વહીવટી કર્મચારીઓ અને અધિકારીઓ ઘરે ઘરે જઈને નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને બધાનો હિસાબ તૈયાર કરી રહ્યા છે.
ઔરંગઝેબની કબર દૂર કરવા માટે જમણેરી જૂથ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પવિત્ર શ્લોકો લખેલી શીટ સળગાવી દેવામાં આવી હોવાની અફવાઓ બાદ નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી. હિંસાના આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૧૦૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, નાગપુર હિંસાના સંબંધમાં ૧૦ કિશોરોની પણ અટકાયત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હિંસા દરમિયાન ૩ ડીસીપી સ્તરના અધિકારીઓ સહિત ૩૩ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે મુખ્ય આરોપી અને માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટીના શહેર એકમના વડા ફહીમ ખાન અને અન્ય પાંચ લોકો સામે રાજદ્રોહ અને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવાનો કેસ નોંધ્યો છે.