Mumbai,તા.27
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. પરંતુ વિરાટ કોહલીની પોતાની ટેસ્ટ કેપ્ટન્સી દરમિયાન ટીમમાં ઘણા ફેરફાર કર્યા હતા. એવામાં શિખર ધવને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વર્ષ 2016માં તેને ટીમમાંથી કેમ બહાર કરવામાં આવ્યો, તેમજ તે સમય તેના કરિયર માટે સૌથી મુશ્કેલ સમયને યાદ કર્યો. આ સાથે ધવને એ પણ જણાવ્યું કે મેચમાં ઈજાગ્રસ્ત થવા છતાં તે ટીમ માટે કેવી રીતે રમ્યો.
વર્ષ 2016માં કોલકાતામાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચને યાદ કરતાં ધવને કહ્યું કે, ‘મારી હતાશા અને ઈજાએ મારા પ્રદર્શનને અસર કરી. કોલકાતામાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં, હું પ્રથમ ઇનિંગની શરૂઆતમાં જ આઉટ થઈ ગયો હતો. બીજી ઇનિંગમાં ટ્રેન્ટ બોલ્ટનો બોલ વાગતાં મારો હાથ ફ્રેક્ચર થયો હતો. આમ છતાં, મેં રમવાનું ચાલુ રાખવાનું નક્કી કર્યું, કારણ કે મને ડર હતો કે જો હું બહાર બેસીશ તો ટીમમાંથી મારું સ્થાન ગુમાવી દઈશ.’
ધવને કહ્યું કે, ‘ઇડન ગાર્ડન્સ ખાતે ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા મેં આઠ ટેસ્ટ મેચમાં એક પણ સેન્ચુરી ફટકારી ન હતી. ફક્ત એક જ ફિફ્ટી ફટકારી હતી. આ કારણોસર, વિરાટ કોહલી અને પસંદગીકારો બીજા કોઈને તક આપવા માંગતા હતા. હું તૂટેલા હાથ સાથે રમ્યો. 15-20 રન બનાવ્યા અને તે પછી મને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. પછી મને ખ્યાલ આવ્યો કે હું તે જગ્યા વિશે ખૂબ ચિંતિત હતો. આ એક ખૂબ જ ખાસ જગ્યા છે, ત્યાં લોકો રાજાઓની જેમ રહે છે. મને થોડી ચિંતા થઈ. મેં ખૂબ મહેનત કરી, પણ હું દબાણમાં કામ કરી રહ્યો હતો. તેથી મને પરિણામો મળ્યા નહીં. પછી મેં મારી જાતને પૂછ્યું કે જીવનમાં મારા માટે સૌથી મહત્ત્વનું શું છે? ખુશી, હું ખુશ રહું એ સૌથી મહત્ત્વપૂર્ણ છે.’શિખર ધવન હવે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. તેણે પોતાના 12 વર્ષના ઈનટરનેશનલ કરિયરમાં 34 ટેસ્ટ, 167 વનડે અને 68 T-20 મેચ રમી હતી. આમાં તેણે અનુક્રમે 2315, 6793 અને 1759 રન બનાવ્યા.
એક ઈન્ટરવ્યૂમાં ધવને તેના ક્રિકેટ કરિયરના મુશ્કેલ સમયને યાદ કરતા કહ્યું કે, ‘જ્યારે વિરાટ કોહલી કેપ્ટન હતો ત્યારે ટીમમાં સતત ફેરફાર થતા હતા. મારે પણ ટીમ છોડવી પડી હતી.’ વર્ષ 2016 માં કોલકાતામાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચ વિશે વાત કરતા, શિખર ધવને કહ્યું કે, ‘હું ઇજાગ્રસ્ત હોવા છતાં, ટીમ માટે રમ્યો હતો. તેમાં છતાં બાદમાં મને હાંકી કાઢવામાં આવ્યો હતો.’