Jamnagar,તા.06
જામનગરની ગુરૂ ગોવિંદસિંહ (જી જી) હોસ્પિટલના વહીવટી વિભાગનામાં ફરજ બજાવતા આઉટસોર્સ એજન્સીના બે કર્મચારી દ્વારા રૂા. ૧૭ લાખ ૨૦ હજારની રકમની ઉચાપત કરવાના કેસમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જો કે હજી સુધી બંને આરોપીઓ ફરાર હોય પોલીસના હાથમાં આવ્યા નથી.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં વહીવટી વિભાગમાં ફરજ બજાવતા આઉટસોર્સ એજન્સીના બે કર્મચારીઓ ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મૂંગરાએ રૂપિયા 17, 20,000ની રકમની ઉચાપત કરી હતી. આ કૌભાંડ તિજોરી કચેરીના ધ્યાનમાં આવતા તેમણે હોસ્પિટલ સત્તાવાળાઓનું ધ્યાન દોર્યું હતું. આ પછી ડો.ભાવિન કણસાગરા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. બીજી તરફ આ કૌભાંડ ધ્યાનમાં આવતા જ હોસ્પિટલ સત્તાવાળા ઓ દ્વારા આ બંને કર્મચારીઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા હતા. ત્યારથી આ બંને ફરાર છે, અને પોલીસ તેને શોધી રહી.છે.
જ્યારે પોલીસ સબ ઇન્સ. જે.પી. સોઢા દ્વારા આ બનાવવા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે, અને હોસ્પિટલના વહીવટી વિભાગમાં અનેક દસ્તાવેજોની ચકાસણી તેમના દ્વારા કરવામાં આવી છે. બંને આરોપીઓ દ્વારા જુદા જુદા કર્મચારીઓના પગાર અને અન્ય ભથ્થાની રકમના વાઉચર બનાવીને તેમાં પોતાના જ જુદા જુદા બેંક ખાતાનો નંબર લખવામાં આવતા હતા અને એ રકમ પોતાના ખાતામાં જમા લેવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડ ઓક્ટોબર ૨૦૨૩ થી ચાલતું હતું. જે તાજેતરમાં પ્રકાશમાં આવ્યું છે. આમ છતાં ઉચ્ચ અધિકારીઓના ધ્યાને કેમ ન આવ્યું. તે મોટો સવાલ છે.
આ પ્રકરણમાં એવા પણ સવાલો ઉઠવા પામ્યા છે કે નાણાકીય વહીવટ જેવી મહત્વની કામગીરી કાયમી કર્મચારીને બદલે આઉટસોર્સ કર્મચારીને કેવી રીતે આપવા માં આવી? ઉપરાંત આ તમામ વાઉચર બિલોમાં ફરિયાદી એવા ઉપરી અધિકારી ડો. ભાવિન કણસાગરાએ સહિઓ કરી છે. જો કે તેમના કહેવા મુજબ તેમણે કર્મચારી ઉપર વિશ્વાસ રાખીને આ સહિઓ કરી છે. પરંતુ પોતે આ કૌભાંડ બાબતે કંઈ જ જાણતા નથી, તેમ જણાવી રહ્યા છે. બન્ને ફરારી આરોપી પકડાયા પછી પોલીસ તપાસમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા દર્શાવાઇ રહી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ કૌભાંડ પ્રકાશમાં આવ્યા પછી અને પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ગાંધીનગરથી પણ તપાસનીશ ટુકડી જામનગર આવી પહોંચી હતી, અને જી.જી. હોસ્પિટલ વર્તુળનું કેટલુંક સાહિત્ય ચકાસ્યું હતું, અને તેનો રિપોર્ટ તૈયાર કરીને ગાંધીનગરની વડી કચેરીએ રજૂ કરવામાં આવી રહ્યો છે.