New Delhi,તા.07
તમામ લોકોને સુરક્ષિત ખોરાકની જરૂર હોય છે, પરંતુ તે બેક્ટેરિયા, ફૂગ અથવા સૂક્ષ્મજંતુઓ દ્વારા દૂષિત થઈ શકે છે અને 200 થી વધુ વિવિધ રોગોનું કારણ બની શકે છે, એમ એક અભ્યાસમાં જણાવાયું છે. અસુરક્ષિત ખોરાક દૈનિક સરેરાશ 1.60 લાખ લોકોને બીમાર કરી રહ્યો છે.
ખાદ્ય સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 7 જૂને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રનું ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને આ દિવસને સમગ્ર વિશ્વમાં ઉજવે છે.
સારવાર પાછળ દર વર્ષે 1.25 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ
દર વર્ષે, વિશ્વભરમાં લગભગ 600 મિલિયન લોકો ખોરાકજન્ય રોગોથી બીમાર પડે છે. આ રોગોની સારવારમાં દર વર્ષે આશરે 1.25 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. ભારત સહિત ગરીબ અને મધ્યમ આવક ધરાવતાં દેશોને બગડેલા અને ચેપગ્રસ્ત ખોરાકજન્ય રોગોને કારણે દર વર્ષે 110 લાખ કરોડ રૂપિયા (110 અબજ ડોલર)થી વધુનું નુકસાન થાય છે.
કેટલાક બેક્ટેરિયાઓ પર દવાઓની અસર થતી નથી
કેટલાક બેક્ટેરિયા છે જેનાં પર દવાઓની અસર થતી નથી. આવા બેક્ટેરિયા ખોરાકમાં પણ ભળી શકે છે. ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા લોકોએ દવાઓનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ.
જેથી તે ખોરાક દ્વારા માણસો સુધી ન પહોંચે. આ સિવાય કેટલાક જીવતાં બેક્ટેરિયા કે વાઇરસ પણ છે જે આપણે જોઇ શકતાં નથી. કેટલાક રાસાયણિક તત્વો છે જે ઓછી માત્રામાં શરીરમાં જાય તો નુકસાન પહોંચાડી શકે છે.
આ વર્ષની થીમ સાયન્સ ઇન એક્શન છે
આપણાં ખોરાકને સુરક્ષિત બનાવવામાં વિજ્ઞાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ વર્ષની થીમ ‘સાયન્સ ઇન એક્શન’ છે.
કેવી રીતે બચાવ કરવો
જો ખોરાકને ખૂબ જ ગરમ અથવા ખૂબ ઠંડો રાખવામાં આવે, તો બેક્ટેરિયા વધશે નહીં. સાફ રાખો, યોગ્ય રીતે રાંધો, ચોખ્ખા પાણીનો ઉપયોગ કરો.
આવું ક્યારેય ન કરો
ગંદા હાથથી ભોજનને અડવું નહીં, કાચો અને રાંધેલો ખોરાક એક જ જગ્યાએ ન રાખવો, ગંદા પાણીથી બનેલી વસ્તુઓ ન ખાવી.