Nadiad,તા.09
નડિયાદ શહેરમાં માય મંદિર રોડ પર ગટર ઉભરાવાની સમસ્યા કાયમી બની ગઈ છે. ઉભરાતી ગટરના પાણી ગરનાળામાં ભરાતા લોકો ગંદુ પાણી ખૂંદીને અવર જવર કરવા મજબૂર બન્યા છે.
નડિયાદ માય મંદિર રોડ વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે. વૈશાલી ગરનાળુ બંધ હોવાથી તમામ વાહન ચાલકો આ ગરનાળામાં થઈને અવરજવર કરી રહ્યા છે. ત્યારે માય મંદિર રોડ ઉપર આવેલી ગટર ઉભરાતા લોકો કફોડી હાલતમાં મુકાયા છે. ગરનાળામાં ગટરના ગંદા પાણી ભરાઈ જવા પામ્યા છે. જેના કારણે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાય છે. વાહન ચાલકો સહિત લોકોને ગંદા પાણી ડહોળીને અવરજવર કરવાની ફરજ પડી રહી છે. ગંદા પાણી ભારે દુર્ગંધ મારતા હોવાથી આજુબાજુના લોકો ત્રસ્ત બન્યા છે. આ રોડ ઉપર ગટર ઉભરાવવાની સમસ્યા કાયમી બની ગઈ છે. આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં ગટર ઉભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતા માઈ મંદિર વિસ્તારની સોસાયટીના રહીશોમાં મહાનગરપાલિકા સામે ભારે આક્રોશ વ્યાપ્યો છે.