Gandhinagar,તા.09
ગુજરાતમાં 10 જૂન સુધીમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ જાય તેવી સંભાવના હતી. પરંતુ હવે ચોમાસા માટે રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ જળસ્તરમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ 44.89 ટકા જળસ્તર છે.
હાલ બે જળાશયોમાં 90 ટકાથી વધુ, 1મા 80 ટકાથી 90 ટકા, 3મા 70 ટકાથી 80 ટકા જેટલું જળસ્તર છે. 200 જળાશયોમાં જળસ્તર હવે 70 ટકાથી ઓછું છે. હાલમાં મહીસાગરના વણાકબોરીમાં સૌથી વધુ 93.39 ટકા, મોરબીના મચ્છુ-2માં 92.99 ટકા, સુરેન્દ્રનગરના ધોળી ધજામાં 92.84 ટકા સાથે સૌથી વધુ જળસ્તર છે. આ સિવાય 70 ટકાથી વધુ જળસ્તર હોય તેમાં કચ્છના કાળાઘોઘા, રાજકોટના ભાદર-2, આજી-2, છોટા ઉદેપુરના સુખીનો સમાવેશ થાય છે. હાલ કચ્છના 20 જળાશયોમાં સૌથી ઓછું 20.78 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 28.47 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.56 ટકા જેટલું જળસ્તર છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલ 54.07 ટકા જળસ્તર નોંધાયું છે. જોકે, જળસ્તરમાં ઘટાડો છતાં કોઈ પ્રકારનું જળસંકટ નહીં સર્જાય તેવો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.