Jamnagar તા ૧૦
સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નજીક આવતો જાય છે તેમ ઉજવણીઓ શરૂ થઇ ચુકી છે, ત્યારે આયુષ મંત્રાલય ભારત સરકારના જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન જામનગર દ્વારા અરબી સમુદ્રના કિનારે અને રાષ્ટ્રના પશ્ચિમ છેવાડાના સમુદ્ર તટ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બ્લુફ્લેગ બીચ ખાતે તા. ૧૦ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુમોદન આપવા તેમજ લોકોમાં યોગ થકી સ્વાસ્થ્ય સક્ષમ બનાવવાના હેતુસર કોમન યોગ પ્રોટોકોલનું નિદર્શન કરવામાં આવ્યું હતું!
આ નિદર્શનમાં ઇટ્રાના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરી સહિત ઇટ્રા શૈક્ષણિક-બીન શૈક્ષણિક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અને સ્વસ્થવૃત્ત-યોગ વિભાગના કર્મચારીઓ સહિત ૨૫૦ની સંખ્યામાં સહભાગીઓએ ભાગ લઇ શિવરાજપુર બીચનું વાતાવરણ યોગમય બનાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૫માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને એક દાયકો થવા જઇ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં એક અનેરો ઉત્સાહ અને યોગ પ્રત્યે લોકોની અભિરૂચિ વધી રહી છે, ત્યારે પ્રખ્યાત એવાં શિવરાજપુર બીચ ખાતે થયેલું નિદર્શન લોકોને વધુ યોગમય બનવા પ્રેરિત કરશે.