New Delhi,,તા.1
સુપ્રીમ કોર્ટે 13 વર્ષની બાળકીનું અપહરણ અને દુષ્કર્મના મામલે કડક ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર મામલો છે. કોર્ટે દોષિતોની જામની અરજી ફગાવી દીધી છે. બાળકીની ઉંમર માત્ર 13 વર્ષ હતી અને દોષિતોએ 2019માં પિકનિક પર લઈ જવાના બહાને તેનું અપરહણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા અને તેની માતાએ 18 નવેમ્બર 2019ના રોજ FIR નોંધાવી હતી.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે મંગળવારે આ મામલે સુનાવણી કરી અને દોષી સંજય પેકરા અને પુસ્તમ યાદવની અપીલ ફગાવી દીધી છે. આ બંનેએ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો.
કોર્ટે દોષિતોની જામીન અરજી ફગાવી દેતા કહ્યું કે, ‘આ ખૂબ જ ગંભીર મામલો છે. તમે વાન ચાલક સાથે મળીને સ્કૂલની સગીર વિદ્યાર્થીનીનું અપહરણ કર્યું અને તેની સાથે દુષ્કર્મ આચર્યું.’
દોષિતો તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, વિદ્યાર્થીનીએ આ મામલે સંમતિ આપી હતી. તેના પર કોર્ટે કહ્યું કે, તે સગીરા હતી એ સાબિત થઈ ચૂક્યું છે અને એટલું પૂરતું છે, હવે અન્ય કોઈ વસ્તુની જરૂર નથી.
આ મામલે નીચલી કોર્ટે બંનેને દોષિત ઠેરવ્યા હતા. 5 ઓક્ટોબર, 2021ના રોજ આપેલા ચુકાદામાં નીચલી કોર્ટે દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી અને આ સાથે જ 1000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. નીચલી કોર્ટે આરોપીઓને IPC અને POCSO એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યા હતા.
5 ઓગસ્ટ, 2024ના રોજ છત્તીસગઢ હાઈકોર્ટે નીચલી અદાલતના નિર્ણયને યથાવત રાખ્યો હતો. કોર્ટે સંજય પૈકરા, પુષ્તમ યાદવ અને ત્રીજો આરોપી સંતોષ કુમાર ગુપ્તા વિરુદ્ધના ચુકાદાને યથાવત રાખ્યો હતો. સંતોષ કુમાર ગુપ્તા તે શાળામાં વાન ડ્રાઈવર હતો જ્યાં છોકરી 7મા ધોરણની વિદ્યાર્થીની હતી.