Rajkot,તા.13
સોની બજારમાં મહિલા લેક્ચરરના મકાનમાં થયેલ ચોરીનો ભેદ એ.ડિવિઝન પોલીસે ઉકેલી નાંખી કુબલીયાપરાના ત્રણ સગીરને પકડી પાડી મુદામાલ રિકવર કરવાં તજવીજ આદરી છે. એકલા રહેતાં વૃધ્ધા કોચિંગ ક્લાસમાંથી ઘરે પરત આવતાં ૩.૭૭ લાખના સોના-ચાંદીના દાગીના ચોરી થયાનું સામે આવ્યું હતું.
બનાવ અંગે સોની બજારમાં ગેબી પીરના ઓટા પાસે જૂની ગધીવાડમાં રહેતાં મલેકાબેન સૈફુદીનભાઈ ગાંધી (ઉ.વ.૬૧) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ હાલ એકલાં રહે છે અને પાર્ટ ટાઈમ આસી.લેકચરર તરીકે કલાસીસમાં નોકરી કરે છે.
કબાટના ખાનામાં રાખેલ સોનાની બંગડી નંગ-૦૨ રૂ. ૧.૪૦ લાખ, સોનાની વીંટી નંગ-૨ રૂ.૬૦ હજાર, સોનાની કાનની કાવી નંગ-૨ રૂ. ૭૦ હજાર, સોનાની કાનની બુટી ૨ જોડી રૂ. ૨૫ હજાર, સોનાની કાનની ચુક રૂ. ૧૦ હજાર, તુટેલ બુંટીયા તેમજ હીરા અને ડુલ પરચુરણ, ચાંદીનો બંગડી સાથેનો સોનાનો ગ્લેડ ચડાવેલ ઝાંઝર, હીરાનો ચાંદીનો સેટ, ચાંદીના બુટીયા, ચાંદીના બીસ્કીટ નંગ-૪, ચાંદીની માળા, ચાંદીનું પતરૂ, ચાંદીના સીકકા નંગ-૬ મળી કુલ રૂ.૩.૭૭ લાખના સોના ચાંદીના દાગીના કબાટમાં જોવામાં આવેલ નહી.
ત્યારબાદ તેઓને ચોરીની જાણ થતાં તેણીએ તેમના ભાઈ શબીરભાઈને ઘરે બોલાવી તપાસ કરતાં ઘરની પાછળની દીવાલ તુટેલ હાલતમાં હોય જેમાથી કોઈ અજાણ્યો શખ્સ ઘરની પાછળની દીવાલની વાટે ઘરની અંદર પ્રવેશ કરી સોના ચાંદીના દગીનાની ચોરી કરી નાસી છૂટતાં ફરિયાદ નોંધાવી હતી. સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ આદરી હતી અને ગણતરીની કલાકોમાં જ કુબલીયાપરાના ત્રણ સગીરને સકંજામાં લઈ મુદામાલ રિકવર કરવાં તજવીજ હાથ ધરી હતી.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી ત્રણેય સગીર વૃધ્ધાના મકાન પાસેથી નીકળ્યાં અને મોકો મળતાં હાથ ફેરો કર્યો હતો. આરોપીઓએ મોજ શોખ માટે ચોરી કર્યાની પ્રાથમિક કબૂલાત સામે આવી છે.