Ahmedabad,તા.13
અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી 242 મુસાફરોને લઈને લંડન જવા ટેક ઑફ થયેલું બોઇંગ વિમાનના એકાએક મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થવાની દુર્ઘટનામાં મોટાભાગના પેસેન્જરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના લંડન જવા રવાના થયેલા 18 જેટલા લોકો પણ ભોગ બન્યા છે. મૃતકોમાં વિસનગર, કડી, ચંદુમાણા, ઉંઝાના ઐઠોર, ધાનેરા, પાલનપુર, મોડાસા, ખંભીસર, બાયડ, દાંતા વિસ્તારના મુસાફરોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ઍરપોર્ટ ઉપર લંડન જવા માટે સબંધીઓને મૂકવા માટે આવેલા મોટાભાગના સ્વજનો પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન જ પ્લેન ક્રેશની તેમને જાણ થઈ હતી.અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાએ ગુજરાત સહિત દેશભરના લોકોને સ્તબ્ધ કરી દીધા છે. લંડન જવા રવાના થયેલા વિમાનમાં 12 ક્રૂ મેમ્બર, રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કુલ 242 મુસાફરો સવાર હતા. ટેક ઑફ બાદ આ બોઇંગ વિમાન મેઘાણીનગરમાં એકાએક ક્રેશ થઈ જતાં કરુણાંતિકા સર્જાઈ હતી.વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વિસનગરના દિનેશકુમાર પટેલે આખી જિંદગી ખેતી કરી હતી. તેમનો દીકરો લંડન હોવાથી માતા પિતાને ફરવા માટે બોલાવ્યા હતા. પહેલી વખત વિદેશયાત્રાએ જતાં હોવાથી મિત્રોએ દિનેશકુમાર પટેલને ખેતરમાં પાર્ટી આપી હતી. અહીં જૂના મિત્રોએ હિન્દી ફિલ્મનું ગીત ‘તુ કલ ચલા જાયેગા તો મે ક્યા કરુંગા’ વગાડ્યું હતું. ત્યારે મિત્રોને ક્યાં ખબર હતી કે વિદેશ જતાં મિત્ર સાથેની આ છેલ્લી મુલાકાત હશે.અમદાવાદના મેઘાણીનગર પાસે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાની સર્જાયેલી દુર્ઘટનામાં કડીથી પોતાના પુત્રને યુકે મળવા માટે જઈ રહેલા કરણપુર વિસ્તારના 71 વર્ષીય સિનિયર સિટીઝનનું મોત થતાં પરિવારમાં શોક ફેલાયો હતો.
કડીના દેત્રોજ રોડ ઉપર રહેતા રતિલાલ પટેલના ત્રણ દીકરા પૈકી તેજસ છેલ્લા 18 વર્ષથી યુકેમાં સિટીઝન તરીકે પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. તેણે ત્યાં નવું મકાન લીધું હોવાથી પોતાના પિતા રતિલાલ પટેલને બોલાવ્યા હતા. તેમને મૂકવા માટે તેમનો પુત્ર તેમજ તેમના પરિવારજનો ગુરુવારે અમદાવાદ ઍરપોર્ટ જવા નીકળ્યા હતા. લંડન જવા તેઓ જે વિમાનમાં સવાર થયા હતા તે એકાએક અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડતાં વયોવૃદ્ધ રતિલાલ પટેલ પણ ભોગ બન્યા હતા. તેમના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતકના સંબંધી શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં રહેતા રતિભાઈ તેમના દીકરાને મળવા માટે આજે સવારે નીકળ્યા હતા.
લંડનમાં રહેતા પોતાના દીકરાએ પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે રહેતા સિનીયર સિટીઝન કુબેરભાઈ પટેલ અને તેઓને ધર્મપત્ની બબીબહેનને ફરવા માટે બોલાવ્યા હતા. જેથી તેઓ પોતાના પુત્રને મળવા માટે ઉત્સાહભેર લંડન જવા માટે ઘરેથી નીકળ્યા હતા. બપોરે અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી ટેક ઑફ થયેલા એર ઇન્ડિયાના બોઇંગ વિમાનમાં તેઓ બેઠા હતા અને થોડાક કલાકોમાં લંડન જઈ દીકરાને મળીશું તેવું વિચારતા હશે ત્યાં જ વિમાન ક્રેશ થઈ જતાં કરુણાંતિકા સર્જાઈ હતી.
વિસનગરના ગંજી વિસ્તારના અંકિતાબહેન પટેલના લગ્ન હજુ છ મહિના પહેલાં જ લંડનમાં રહેતા વસંતકુમાર પટેલ સાથે થયા હતા. ત્યારબાદ લંડનના વિઝા મળતાં પતિને મળવા જવા માટે ઉત્સુક હતા. ફ્લાઇટની ટિકિટ કન્ફર્મ થતાં ગુરુવારે ગંજીના નાકે આવેલા ઉંચી ફળીના માઢ પાસે યુવતીના સ્નેહીજનોએ હોંશેહોંશે વિદાય આપી હતી. પરંતુ સ્નેહીજનોને ક્યાં ખબર હતી કે દીકરીને આપેલી આ વિદાય છેલ્લી હશે.
પાલનપુરની લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં રહેતા રમેશભાઈ ઠક્કરના લંડન રહેતા પુત્રની ધર્મપત્નીનો સીંમતનો પ્રસંગ હોવાથી તેમાં હાજરી આપવા માટે તેઓ પોતાના પત્ની લાભુબહેન સાથે સવારે અમદાવાદ ઍરપોર્ટ ઉપર ગયા હતા. અહીં તેઓ એર ઇન્ડિયાના લંડન રવાના થયેલા વિમાનમાં બેઠા જ હતા ત્યાં થોડીક વારમાં આ પ્લેન ક્રેશ થઈ ગયું હતું.
અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અનેક મુસાફરોના મોત વચ્ચે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામના નવ યુગલનું મૃત્યુ થયું હતું. ધાનેરા તાલુકાના થાવર ગામનો કમલેશ ચૌધરી અને તેની પત્ની ધાપુબહેન ચૌધરી વિમાનમાં સવાર હતા. આ નવ યુગલ લંડન જઈ રહ્યા હતા અને આ દુર્ઘટનામાં તેમના મોત થતાં પરિવારજનો પર જાણે આ આભ તૂટી પડ્યું હતું.