Ahmedabad,તા.13
ગુજરાત માટે ગુરૂવાર (12 જૂન) સૌથી કરૂણ દિવસ હતો. અમદાવાદથી લંડન જતું વિમાન ક્રેશ થતા 265થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે તારીખે તેમનું મૃત્યુ નિપજ્યું તે તારીખ હતી 12/06/2025, જે ટૂંકમાં 12/06 થાય. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનો પ્રિય નંબર હતો આ 1206. તેમની કાર, ટુવ્હીલર વાહન દરેકના નંબર તેમણે 1206 જ રાખ્યા હતા. યોગાનુયોગ તેમનું પ્લેન ક્રેશમાં નિધન પણ 12-06 તારીખે જ થયું હતું. જોકે, જે વિમાન ક્રેશ થયું તેમાં તેમનો પેસેન્જર નંબર પણ 12 હતો. કહેવામાં આવે છે કે, 1206 રૂપાણીનો લકી નંબર હતો.રાજકોટમાં નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરી પણ બે દિવસ પહેલા લંડન પહોંચી ગયા હતા અને વિજયભાઈ ગુરૂવારે લંડન પહોંચીને ત્યાં 22 દિવસ સુધી રહેવાનો, ફરવાનો કાર્યક્રમ અગાઉથી નક્કી થયો હતો. અંજલિબહેન રૂપાણી તેમની પહેલા ગયા હતા અને વિમાન અકસ્માતની ઘટના બાદ તેઓ તાત્કાલિક ધોરણે ગુજરાત આવવા નીકળી ગયા હતા. વિજયભાઈ જે વિમાનમાં પ્રવાસ કરતા હતા તે તૂટી પડ્યાની દુર્ઘટના બાદ સોશ્યલ મિડીયામાં એક અન્ય વ્યક્તિએ લીધેલી સેલ્ફીમાં તેઓ સીટ પર બેઠેલા દેખાતા હોય તેવી તસવીર તેમજ અમદાવાદ એરપોર્ટ પર તેઓ અંદર જતા હોય તેના વિડીયો વાઈરલ થયા હતા.વિજયભાઈની એર ટિકિટની વિગતો મૂજબ બપોરે 1:10 વાગ્યાનો ડિપાર્ચર ટાઈમ હતો જે ફ્લાઇટ 28 મિનિટ મોડી હતી. સાંજે 6:14 વાગ્યે તે લંડન પહોંચવાની હતી. વિજયભાઈ સવારે 11:30 વાગ્યે એરપોર્ટ પહોંચ્યા હતા અને ચેકઇન કરીને 12:30 વાગ્યે બોર્ડિંગ કરાવ્યું હતું. તેઓ સીટ નં. 2-D પર બેઠા હતા. રાજકોટના નિર્મલા રોડ પર સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર પાસે પ્રકાશ સોસાયટી શેરી નં.4માં વિજય રૂપાણીનું નિવાસસ્થાન આવેલું છે. જેનું નામ તેમના સદ્દગત પુત્ર પુજીત પરથી રાખવામાં આવેલું છે.