Ahmedabad,તા.13
ગઈકાલે સર્જાયેલી વિમાની દુર્ઘટનાના પગલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને તેઓએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા ઉચ્ચ અધિકારીઓ સાથે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને તેઓએ કઈ રીતે આ દુર્ઘટના સર્જાઈ તેનો ચિતાર મેળવ્યો હતો.
વડાપ્રધાને ગઈકાલે જ બપોરે આ ઘટનાના પગલે નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી નાયડુ ને અમદાવાદ પહોંચવા જણાવ્યુ હતું અને બાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ પણ અમદાવાદ પહોંચ્યા હતા. શ્રી મોદીએ દિવંગતોના પરિવાર પ્રત્યે પણ સંવેદનાનો સંદેશ આપ્યો હતો.
આજે સવારે વડાપ્રધાન અમદાવાદ વિમાની મથકે પહોંચ્યા હતા અને સીધા દુર્ઘટના સ્થળ પર જવા રવાના થયા હતા. વડાપ્રધાન એ બાદમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જે આ દુર્ઘટનામાં એકમાત્ર જીવિત મુસાફર છે. તેની મુલાકાત લીધી હતી તથા સારવારની વિગતો મેળવી હતી.
બાદમાં આ વિમાન જયાં તૂટી પડયુ તે સ્થળે મેડીકલ કોલેજ હોસ્ટેલ અને તેની આસપાસના લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેની પણ મુલાકાત લીધી હતી. બાદમાં સર્કિટ હાઉસ ખાતે શ્રી મોદીએ એક ઉચ્ચ કક્ષાની બેઠક યોજી હતી.
જેમાં એવીએશન એરઈન્ડીયા તથા એરપોર્ટના સીનીયર અધિકારીઓ હાજર હતા. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર યાદવ અને નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી નાયડુએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.
શ્રી મોદી બાદમાં આજે જ લંડનથી અમદાવાદ પહોંચેલા સ્વ. વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન તથા અન્ય પરિવારજનોને ગાંધીનગરમાં મળ્યા હતા તથા પોતાની સંવેદના દર્શાવી હતી. આ ઘટના અંગે નાગરિક ઉડ્ડયન વિભાગની ઉચ્ચ કક્ષાની તપાસ ટીમ પણ ગઈકાલે રાત્રીનાજ અમદાવાદ પહોંચી ગઈ છે અને અહી તપાસનો હવાલો સંભાળી લીધો છે.
અમદાવાદ: અમદાવાદની વિમાની દુર્ઘટનામાં મુળ મૃત્યુઆંક અંગે હજું સતાવાર કોઈ આંકડો જાહેર થયો નથી પણ ડીએનએ ટેસ્ટ પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે અને આજે ડીએનએ ટેસ્ટ બાદ પ્રથમ મૃતદેહ સુપ્રત થયો હતો.
આ દુર્ઘટનાના પગલે અમદાવાદ દોડી આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહે જણાવ્યું કે, તમામ મૃતકોના ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃત્યુનો આંકડો જાહેર કરવામાં આવશે.
આજે પ્રથમ મૃતદેહમાં ઓળખ નિશ્ચિત થતા જ તે તેમના સ્વજનને સુપ્રત કરાયા છે. હોસ્પીટલ ખાતે સ્વજનો હવે તેમના ડીએનએ સેમ્પલ આપ્યા બાદ હવે તેમના સ્વજનની ઓળખ અને તેની જોઈ રહ્યા છે. એરઈન્ડીયાએ આ હતભાગી મુસાફરના પરિવારને લાવવા અને પાર્થિવ દેહ પરત જે તેના વતનમાં લઈ જવાની ખાસ વ્યવસ્થા ગોઠવી છે.